GONDALGUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Gondal: ગોંડલ ખાતે તા. ૭ મે, બુધવારે શ્રી અક્ષર મંદિરનો ૯૧મો પાટોત્સવ ધામધૂમપૂર્વક ઉજવાશે

તા.૪/૫/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

ભવ્ય કળશયાત્રા, ઠાકોરજીનો મહાઅભિષેક, અન્નકૂટ તેમજ સત્સંગ પારાયણ જેવા અનેકવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન

Rajkot, Gondal: સૌરાષ્ટ્રના પ્રવેશદ્વાર સમા ગોંડલ ખાતે આવેલ સુપ્રસિદ્ધ તીર્થધામ શ્રી અક્ષરમંદિરનો ૯૧મો પાટોત્સવ તા. ૭ મે, બુધવારે વૈશાખ સુદ ૧૦ના દિવસે ધામધૂમપૂર્વક ઉજવવામાં આવનાર છે જે અંતર્ગત શ્રી અક્ષર મંદિર દ્વારા અનેકવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. શ્રી અક્ષર મંદિરનાં ૯૧મા પાટોત્સવ અંતર્ગત તા. ૦૫/૦૫/૨૦૨૫, સોમવારે સાંજે ૪:૩૦ કલાકે ભવ્ય કળશયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કળશયાત્રાનો શુભારંભ શ્રી ભક્તિ હોસ્પિટલ, કૈલાસબાગ ખાતેથી થશે. અનેકવિધ સુશોભિત કલાત્મક રથ, બાઈકસવાર યુવકો, ભજનમંડળી, કળશધારી મહિલાઓ દ્વારા ભવ્ય કળશયાત્રા ગોંડલનાં રાજમાર્ગો પરથી પસાર થઈ, શ્રી અક્ષર મંદિર ખાતે વિરામ પામશે.

તા. ૦૬/૦૫/૨૦૨૫, મંગળવારે સાંજે ૬:૦૦ કલાકે શ્રી અક્ષર મંદિરના પરિસરમાં કળશ પૂજનનું આયોજન કરવામાં આવ્યું છે. પાટોત્સવ દિને તા. ૦૭/૦૫/૨૦૨૫, બુધવારે સવારે ૭:૧૫ કલાકે વૈદિક મહાઅભિષેકનું આયોજન કરવામાં આવ્યું છે. સવારે ૧૦:૦૦ કલાકે ઠાકોરજી સમક્ષ ભવ્ય અન્નકૂટ ધરાવવામાં આવનાર છે. સવારે ૧૧:૧૫ કલાકે ઠાકોરજી સમક્ષ અન્નકૂટ આરતી થશે. અત્રે ઉલ્લેખનીય છે કે આ પાટોત્સવનો લાભ લેવા માટે બીએપીએસના અન્ય મંદિરોમાંથી પૂજ્ય સંતોની સાથે બહોળી સંખ્યામાં હરિભક્તો પણ પધારનાર છે.

શ્રી અક્ષર મંદિરના ૯૧માં પાટોત્સવ નિમિત્તે તા. ૦૭/૦૫/૨૦૨૨, બુધવારથી તા. ૧૧/૦૫/૨૦૨૫, રવિવાર સુધી રાત્રે ૮:૩૦ થી ૧૦:૩૦ દરમ્યાન યોગી સભામંડપમ્ ખાતે પંચદિવસીય સત્સંગ પારાયણનું આયોજન કરવામા આવ્યું છે. જેમા BAPS સંસ્થાના વિદ્વાન વક્તા સંત પૂજ્ય શ્રીરંગ સ્વામી વ્યાસાસને બિરાજી કથામૃતનું પાન કરાવશે. આ પાટોત્સવ તેમજ સત્સંગ પારાયણનો લાભ લેવા માટે સમગ્ર પંથકની ધર્મપ્રેમી જનતાને શ્રી અક્ષર મંદિર હાર્દિક નિમંત્રણ પાઠવે છે.

Back to top button
error: Content is protected !!