ભરૂચમાં 400 વર્ષથી ભરાતા કોઠા પાપડીના મેળામાં માનવ મહેરામણ ઉમટ્યું, ભકતો મંદિર તથા દરગાહમાં ઢેબરા, ચણા તથા ફુલ ચઢાવે છે





સમીર પટેલ, ભરૂચ
ભરૂચમાં 400 વર્ષથી ભરાતા કોઠા પાપડીના મેળામાં માનવ મહેરામણ ઉમટ્યું, ભકતો મંદિર તથા દરગાહમાં ઢેબરા, ચણા તથા ફુલ ચઢાવે છે ભરૂચમાં 400 વર્ષ કરતા વધુ સમયથી ભરાતા કોઠા પાપડીના ઐતિહાસિક મેળામાં કોરોના બાદ ભરાયેલા મેળામાં માનવ મહેરામણ ઉમટ્યું હતું. આ વિસ્તારમાં એક બાજુ હનુમાન મંદિર આવેલું છે, તો બીજી તરફ પીર સૈયદ નવાબ સુલતાન બાવાની દરગાહ આવેલી છે. આ બે ધાર્મિક સ્થાનકની વચ્ચે મેળો ભરાય છે. તેમાં હિંદુ-મુસ્લિમ બંને કોમના લોકો દર્શન કરવા આવે છે.
ભરૂચની ભીડ ભંજન વિસ્તારમાં દર વર્ષે માગશર મહિનાના દર ગુરૂવારે કોઠા-પાપડીના નામે ઓળખાતા મેળાનું આયોજન કરવામાં આવે છે. આ મેળામાં એક અનોખું યુદ્ધ થાય છે જેને કોઠા યુદ્ધ તરીકે ઓળખાઈ છે. અહીંયા મેળો મહાલવા આવતા શ્રદ્ધાળુઓ સહ પરિવાર ટાઢું જમણ લેવાની સાથે મંદિર તથા દરગાહ માં ઢેબરા,ચણા તથા ફુલ ચઢાવે છે. ભીડભંજન હનુમાન મંદિર વિશે જોડાયેલી પ્રાચીન કથા મુજબ વર્ષો પહેલા હનુમાનજી આ વિસ્તારમાં કૂવામાં બિરાજમાન હતા.જે આજે પણ આ સ્થળે હાજર છે. મંદિરના ભોંયતળિયાના ભાગે નાના મોટા સાત હનુમાનજીની પ્રતિમાઓ જોવા મળે છે.મેળામાં કોઠા,પાપડી અને ફૂલની લારીઓ ઉભી રહે છે.
કોઠા પાપડીના મેળામાં કોઠા લડાવવાનું ચલણ હોય અહીં આવતા બાળકો, યુવકો,યુવતીઓ સહિત એકબીજા સાથે કોઠા લડાવે છે જેનું કોઠુ તુટે તે પોતાનું કોઠુ બીજાને આપી દે છે. ભીડભંજન હનુમાનના મંદિરની સામે સૈયદપીર નવાબ સુલતાન બાબાની દરગાહ આવેલી છે.જે દરગાહની સ્થાપના દરગાહ બહાર ફારસી ભાષામાં 1058 માં થયાનું દર્શાવાયું છે. કોઠા પાપડીનો મેળો ભરૂચની એક આગવી ઓળખ સમાન છે. શહેર અને જિલ્લાની હિંદુ-મુસ્લિમ પ્રજા વર્ષોથી ચાલતી આવતી પરંપરા અને સંસ્કતિને જીવંત રાખી કોમી એકતાનું અનોખું ઉદાહરણ પુરુ પાડી રહ્યાં છે.




