{ડાંગ જિલ્લાનાં વઘઈ – આહવા રસ્તાના ડામરીકરણ અને નાળાના કામમાં ઇજારદાર દ્વારા બેદરકારી દાખવવામાં આવેલ હોવાનું જણાઇ રહ્યું છે.કારણ કે ચોમાસાની શરૂઆત થઈ ગઈ હોવા છતાં પણ રસ્તાનું કામ પૂર્ણ કરવામાં આવેલ નથી.જેન કારણે લોકોએ હાલાકી ભોગવવી પડે છે.ત્યારે ડાંગ જિલ્લાનાં ભાજપાનાં પૂર્વ પ્રમુખ દિલીપ ચૌધરીએ આ અંગે કાર્યપાલક ઈજનેર ને લેખિતમાં રજૂઆત કરી હતી.ડાંગ જિલ્લાના વઘઈ – આહવા રસ્તાનાં ડામરીકરણ અને નાળાનું કામ-2023નાં વર્ષમાં ઇજારદાર દ્વારા શરૂ કરવામાં આવ્યુ હતુ.પરંતુ કામ શરૂ થયાને 7 મહિના કરતાં પણ વધુ સમય વિતી ગયો હોવા છતાં ઇજારદાર દ્વારા કામ પૂર્ણ કરવામાં આવેલ નથી.તેમજ ઇજારદારની બેદરકારીને કારણે આહવા ગામના રસ્તાના કામમાં આવતા બે નાળાનું કામ ચોમાસામાં એટલે કે જૂન- 2024 માં શરૂ કરવામાં આવેલ છે.જેમાં આહવા ગ્રામ-પંચાયત સામે આવેલ નાળુ તથા હનુમાન મંદિર (મિશનપાડા) ના મુખ્ય માર્ગ ઉપરના નાળાનું કામ આજદિન સુધી પૂર્ણ થયેલ નથી.ઇજારદારના વિલંબના કારણે આહવા ખાતે આવતા વાહન ચાલકો અને સ્થાનિકો ને ભારે હાલાકી ભોગવવી પડતી હોય છે.આહવા ખાતેના બંને નાળાનાં કામ ઇજારદાર દ્વારા સમયસર ન કરવામાં આવતા સ્થાનિકોએ મુશ્કેલી વેઠવી પડી રહી છે.ત્યારે સમયમર્યાદામાં ઇજારદાર દ્વારા કામ પૂર્ણ કરવામાં આવેલ નથી અને કામની ગુણવત્તાને લઈને પણ પ્રશ્ન ઉભા થઈ રહ્યા છે.જેને લઇને ડાંગ જિલ્લા ભાજપનાં પૂર્વ પ્રમુખ દિલીપભાઈ જી.ચૌધરી એ જાહેર બાંધકામ વિભાગ (મા×મ) ના કાર્યપાલક ઇજનેર ને સંબોધતુ આવેદનપત્ર પાઠવ્યુ હતુ.જેથી યોગ્ય તપાસ કરીને ઈજારદાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી..