વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.
માંડવી,તા-૨૦ સપ્ટેમ્બર : ભારત સરકારશ્રી દ્વારા ૨જી ઓક્ટોબરનાં રોજ મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ નિમિતે સમગ્ર ભારતમાં સ્વચ્છતા માટેના જન આંદોલનની ઉજવણીનું આહવાન કરવામાં આવ્યું છે. આ વર્ષે સ્વચ્છ ભારત મિશનનાં ૧૧ વર્ષની ઉજવણીના ભાગરૂપે ‘‘સ્વચ્છતા હી સેવા ૨૦૨૫’’ ને “સ્વચ્છોત્સવ તરીકે ઉજવણી કરાઇ રહી છે. ત્યારે આ ઉજવણીના ભાગરૂપે કચ્છભરના વિવિધ ગામોમાં સામૂહિક તથા વ્યક્તિગત શૌચાલયના ખાતમુહૂર્ત તથા લાભાર્થીઓને મંજૂરી પત્રો આપવામાં આવ્યા હતા. આ સાથે જ ઠેર ઠેર સ્વચ્છતા કાર્યક્રમો તથા જનજાગૃતિની પ્રવૃતિઓ કરવામાં આવી હતી.“સ્વચ્છતા હી સેવા-૨૦૨૫” અંતર્ગત કચ્છની નગરપાલિકા માંડવી, અંજાર, નખત્રાણા, ભુજ, ગાંધીધામ, રાપર, ભચાઉ સહિતના શહેરોમાં સામાન્ય સફાઈની કામગીરી અંતર્ગત તમામ વાણીજ્ય વિસ્તાર, રહેણાંક વિસ્તારો અને સ્લમ વિસ્તારોની સફાઈ, બાગ-બગીચાઓ, ફૂટપાથ સફાઇ સહિતની કામગીરી હાથ ધરાઇ હતી. આ સાથે જ શહેરીજનોમાં જનજાગૃતિ આવે તે માટે સ્વચ્છતા રેલીનું આયોજન કરાયું હતું. પદાધિકારીઓ, અગ્રણીઓ તેમજ શહેરીજનોએ સ્વચ્છતા શપથ લીધા હતા. તો બીજીતરફ ગ્રામ્યસ્તરે પણ લોકો સક્રીયભાગીદારી સાથે જોડાઇને સ્વચ્છોત્સવની ઉજવણી કરી હતી. બીજીતરફ મનફરા, મોટી ચીરઇ, શીરવા, ઢીંઢગામ, મઉં મોટી, ભડલી સહિતના ગામોમાં સામૂહિક શૌચાલયના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા. આ સાથે વ્યક્તિગત શૌચાલયના લાભાર્થીઓને મંજૂરીપત્રો આપવામાં આવ્યા હતા.