
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
નવસારી તા. ૦૫ ફેબ્રુઆરી: નવસારી જિલ્લાનો જિલ્લા કક્ષાનો પશુપાલન શિબિર-કમ-પ્રદર્શન કાર્યક્રમ આજ રોજ પશુપાલન ખાતુ, ગુજરાત રાજ્ય ગાંધીનગર, પશુપાલન શાખા, જીલ્લા પંચાયત દ્વારા ચીખલી ખાતેની શ્રી કચ્છ કડવા પાટીદાર સમાજની વાડી ખાતે મંત્રીશ્રી નરેશભાઈ પટેલ (આદિજાતિ વિકાસ, ખાદી, કુટીર અને ગ્રામોદ્યોગ વિભાગ, ગુજરાત રાજ્ય)ના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. જેમાં ચીખલી, ખેરગામ અને વાંસદા તાલુકાના અલગ-અલગ ગામોમાંથી ૩૦૦ જેટલા પશુપાલકોએ ઉત્સાહ સાથે ભાગ લીધો હતો.
આ શિબિરમાં મંત્રીશ્રી નરેશભાઈ પટેલ દ્વારા પશુપાલકોને ખાસ અનુરોધ કરવામાં આવ્યો હતો કે પશુઓની સારવાર પશુ-ડોકટરો દ્વારા જ કરવા આવે અને તમામ પશુપાલકોને તેમના પશુઓનો વીમો ઉતારવા માટે પણ આગ્રહ કર્યો હ્તો. તેમજ, પશુપાલનને વ્યવસાય તરીકે ગણી ગાય આધારીત પ્રાકૃતિક ખેતી કરવા માટે પશુપાલકોને પ્રોત્સાહન પુરુ પાડ્યું હતું. અને ઓછા ખર્ચે વધુ આવક કેવી રીતે મેળવી શકાય અને પશુપાલન વ્યવસાયમાં કેવી રીતે આગળ વધી શકાય તે વિષય પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
કાર્યક્રમ દરમ્યાન મહાનુભાવોના હસ્તે આદિજાતિના પશુપાલકોને ન્યુ ગુજરાત પેટર્ન અંતર્ગત વાસણકીટ અને રબરમેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. સાથે, પશુપાલન વિષય-નિષ્ણાંતો ડો. એમ. જી. પ્રજાપતિ, ડો. ધર્મેશ ઠાકોર વગેરે દ્વારા પશુઆહાર, પશુસંવર્ધન, પશુમાવજત, પશુઆરોગ્ય, અને પશુપાલન ખાતાની સહાયકારી યોજનાઓની વિસ્તૃતમાં માહિતી આપવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં નવસારી જીલ્લા પંચાયત પ્રમુખશ્રી પરેશભાઇ દેસાઇ, જીલ્લા પંચાયત ઉપપ્રમુખશ્રી શ્રીમતી અંબાબેન માહલા, અધ્યક્ષશ્રી ખેત ઉત્પાદન સહકાર, સિંચાઇ અને પશુપાલન શ્રી નિકુંજભાઈ પટેલ, અધ્યક્ષશ્રી બાંધકામ સમિતિ જિલ્લા પંચાયત શ્રી બાલુભાઈ પાડવી, તાલુકા પંચાયત ચીખલીના પ્રમુખશ્રી રાકેશભાઇ એમ. પટેલ, તથા જિલ્લા પંચાયતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમનું આયોજન નવસારી જિલ્લાના પશુપાલન શાખાના વડા નાયબ પશુપાલન નિયામકશ્રી ડો. એમ.સી.પટેલ તથા પશુ દવાખાના ચીખલી, વાંસદા અને ખેરગામના પશુ ચિકિત્સા અધિકારીશ્રી ડો. મીતેશ ગામીત, ડો. હિતેશ કે. પટેલ, ડો. જે. એમ. બાલવાણી તથા પશુપાલનનાં તમામ સ્ટાફ દ્વારા કરવામાં આવ્યું હતું..





