વલસાડ જિલ્લા પ્રભારીમંત્રી મુકેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને જિલ્લા આયોજન મંડળની બેઠક મળી
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
જિલ્લાના છ તાલુકા અને પાંચ પાલિકામાં પ્રજાલક્ષી વિકાસના ૪૯૨ કામો માટે કુલ રૂ. ૮૭૫ લાખની જોગવાઈ
વિકાસના કામો ઝડપી થાય તે માટે બાકી કામો સત્વરે પૂર્ણ કરવા તાકીદ કરાઈ
તા.૨૫ અપ્રિલ–વલસાડ જિલ્લા આયોજન મંડળની બેઠક તા. ૨૫ એપ્રિલના રોજ જિલ્લા પ્રભારી મંત્રીશ્રી અને રાજ્ય કક્ષાના વન અને પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ, જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રીશ્રી મુકેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને અને જિલ્લા કલેકટરશ્રી ભવ્ય વર્મા અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી અતિરાગ ચપલોતની ઉપસ્થિતિમાં મળી હતી. જેમાં વલસાડ જિલ્લાના ૬ તાલુકામાં વિવિધ વિકાસલક્ષી કુલ ૪૯૨ કામો માટે ૧૫ ટકા વિવેકાધીન જોગવાઈ માટે રૂ. ૭૫૦ લાખ અને પાંચ ટકા પ્રોત્સાહક જોગવાઈ માટે રૂ. ૨૫ લાખ જ્યારે જિલ્લાની પાંચ નગરપાલિકા માટે રૂ. ૧૦૦ લાખની જોગવાઈ કરવામાં આવી હતી. મંત્રીશ્રીએ તમામ અધિકારીઓને બાકી કામો સત્વરે પૂર્ણ કરવા તાકીદ કરી હતી.
૧૫ ટકા વિવેકાધીન જોગવાઈ અને પાંચ ટકા પ્રોત્સાહક જોગવાઈ હેઠળ વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકા માટે અનુક્રમે ૯૩ કામો માટે રૂ. ૧૪૭.૫૦ લાખ અને ૧ કામ માટે રૂ. ૨.૫૦ લાખ, કપરાડા માટે ૧૧૭ કામ માટે રૂ. ૧૪૭.૫૦ લાખ અને એક કામ માટે રૂ. ૨.૫૦ લાખ, પારડી તાલુકામાં ૮૪ કામ માટે રૂ. ૧૧૭.૫૦ લાખ અને બે કામ માટે રૂ. ૭.૫૦ લાખ, ઉમરગામમાં ૬૯ કામ માટે રૂ. ૧૨૨.૫૦ લાખ અને ૩ કામ માટે રૂ. ૨.૫૦ લાખ, વાપી તાલુકામાં ૩૩ કામ માટે રૂ. ૯૭.૫૦ લાખ અને ૧ કામ માટે રૂ. ૨.૫૦ લાખ તેમજ વલસાડ તાલુકામાં ૭૫ કામ માટે માટે રૂ. ૧૧૭.૫૦ લાખ અને ૪ કામ માટે રૂ. ૭.૫૦ લાખની જોગવાઈ કરવામાં આવી છે. જેમાં ગ્રામ્ય વિસ્તારમાં ડામર રસ્તા, પેવર બ્લોક રસ્તા, સીસી રસ્તા, પ્રાથમિક શિક્ષણ, પોષણ, પાણી પુરવઠા, ગ્રામ્ય વીજળીકરણ, ગંદા-વસવાટોની વાતાવરણલક્ષી સુધારણા અને સ્થાનિક વિકાસના કામોનો સમાવેશ કરાયો છે.
જિલ્લાની પાંચ પાલિકા વાપી, વલસાડ, પારડી, ઉમરગામ અને ધરમપુર વિસ્તારમાં વિકાસના કામો માટે નગરપાલિકા વિવેકાધીન જોગવાઈ હેઠળ કુલ ૯ કામો માટે કુલ રૂ. ૧૦૦ લાખની જોગવાઈ કરાઈ છે. બેઠકમાં વર્ષ ૨૦૨૫-૨૬નું આયોજન મંજૂર કરાયું હતું. ખાસ પ્લાન (બક્ષી પંચ) યોજના હેઠળ વર્ષ ૨૦૨૫-૨૬ માટે રૂ. ૫ લાખના કામોની દરખાસ્ત મંજૂર કરાઈ હતી. વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમ હેઠળ પાછલા ચાર વર્ષમાં મંજૂર કરવામાં આવેલા કામોની સમીક્ષા કરવામાં આવી હતી. જેમાં બાકી કામો તેમજ પ્રગતિ હેઠળના કામો અંગે સમીક્ષા કરી તમામ કામો સત્વરે પૂર્ણ કરવા માટે મંત્રીશ્રીએ અમલીકરણ અધિકારીઓને તાકીદ કરી હતી.
ધરમપુરના ધારાસભ્યશ્રી અરવિંદભાઈ પટેલે તમામ ગામોનો વિકાસ થાય તે મુજબ આયોજન કરવા સૂચન કર્યુ હતું. ઉમરગામના ધારાસભ્યશ્રી રમણલાલ પાટકરે ઉનાળામાં પાણીની તંગી માટે જે ગામોમાં સમસ્યા છે તેના પર ધ્યાન કેન્દ્રિત કરી લોકોને પીવાનું પાણી મળી રહે તેવું આયોજન કરવા જણાવ્યું હતું. કલેકટરશ્રીએ દરેક તાલુકામાં બાકી રહેલા કામો અંગે રિવ્યુ મીટિંગ કરવા સૂચન કર્યુ હતું.
બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી મનહરભાઈ પટેલ, વલસાડના ધારાસભ્યશ્રી ભરતભાઈ પટેલ, જિલ્લા પંચાયતની સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ મિનાક્ષીબેન ગાંગોડા, જિલ્લાની વિવિધ તાલુકા પંચાયતોના સર્વ પ્રમુખશ્રીઓ, નગરપાલિકાના પ્રમુખશ્રીઓ, નિવાસી અધિક કલેકટર શ્રીમતી અનસૂયા જ્હા, ઉત્તર વન વિભાગના નાયબ વન સરંક્ષક લોકેશ ભારદ્વાજ, દક્ષિણ વન વિભાગના નાયબ વન સરંક્ષક ઋુષિરાજ પુવાર, વલસાડ પ્રાંત અધિકારી વિમલ પટેલ અને જિલ્લા આયોજન અધિકારી ભરત પટેલ સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.