Rajkot: રાજકોટમાં ૨૦૧૭ના એપ્રિલમાં મહત્તમ ૪૪.૮૦ ડિગ્રીની અગનવર્ષાએ લોકોને દઝાડ્યા હતા
તા.૨/૪/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
આલેખનઃ સંદીપ કાનાણી
આગામી પાંચ દિવસમાં તાપમાન ૪૨થી ૪૩ ડિગ્રી રહેવાની આગાહીઃ હિટવેવ સામે સાવધાની રાખવા સલાહ
Rajkot: ઉનાળો હવે તાપ વરસાવી રહ્યો છે, ગરમી વધી રહી છે. દરમિયાન રાજકોટમાં ગતરોજ ૪૨.૨ ડિગ્રી ગરમી નોધાઈ હતી. આગામી છ-સાત દિવસોમાં રાજકોટમાં મહત્તમ ૪૨થી ૪૩ ડિગ્રી અને લઘુતમ ૨૨થી ૨૩ ડિગ્રી તાપમાન રહેવાની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરાઈ છે, ત્યારે ગરમી સામે સાવધાની રાખવાની સલાહો પણ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જારી કરાઈ છે.
દરમિયાન તાપમાનના આ આંકડાએ રાજકોટમાં છેલ્લા દાયકામાં પડેલી ગરમીની યાદ તાજી કરી છે. રાજકોટમાં વર્ષ ૨૦૧૭માં એપ્રિલમાં મહત્તમ ૪૪.૮૦ અને એ પછી વર્ષ ૨૦૧૯માં ૪૪.૭૦ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. આ સમયે આકાશમાંથી જાણે અગનવર્ષા વરસતી હોય તેવો અનુભવ થતો હતો અને બપોરે ગરમીનો કરફ્યૂ લાગ્યો હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી.
છેલ્લા દાયકામાં વિવિધ વર્ષોમાં એપ્રિલ મહિનામાં નોંધાયેલા તાપમાનની વિગતો જોઈએ તો, વર્ષ ૨૦૨૨માં ૪૩.૭૦ ડિગ્રી ગરમી, ૨૦૨૦માં ૪૩.૩૦ ડિ., વર્ષ ૨૦૧૦માં ૪૩.૧૦ ડિ., વર્ષ ૨૦૧૮માં ૪૩ ડિ., વર્ષ ૨૦૨૧માં ૪૨.૩૦ ડિ. તથા વર્ષ ૨૦૨૩માં ૪૧.૫૦ ડિગ્રી તાપમાન રહ્યું હતું.
આગામી દિવસો માટે હવામાન વિભાગની આગાહી મુજબ, આજરોજ બીજી એપ્રિલ માટે મહત્તમ ૪૨ તથા લઘુતમ ૨૧ ડિગ્રી, ૩ એપ્રિલે ૪૨ તથા ૨૩ ડિ., ૪ એપ્રિલે ૪૨ તથા ૨૩ ડિ., પાંચ એપ્રિલે ૪૩ તથા ૨૧ ડિ., ૬ એપ્રિલે ૪૩ તથા ૨૧ ડિ., ૭ એપ્રિલે ૪૩ તથા ૨૨ ડિ. જ્યારે ૮ એપ્રિલે ૪૩ તથા ૨૨ ડિગ્રી તાપમાન રહેવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. અલબત્ત હવામાન વિભાગની વેબસાઈટ મુજબ, આ સપ્તાહમાં હજુ સુધી ગરમીની કોઈ વિશેષ ચેતવણી નથી. પરંતુ ગરમી વધતી હોવાથી તેનાથી બચવા કેટલીક સાવધાનીઓ રાખવાની સલાહ તંત્ર દ્વારા જારી કરવામાં આવી છે.
(બોક્સ)
હીટવેવથી બચવા આટલું કરો
રેડિયો સાંભળો, ટીવી જુઓ, સ્થાનિક હવામાન સમાચાર માટે અખબાર વાંચો. હવામાનની નવીનતમ અપડેટ ભારતીય હવામાન વિભાગ (I.M.D.)ની વેબસાઇટ https://mausam.imd.gov.in પરથી મેળવી શકાશે.
બને તેટલું ઘરની અંદર રહો, હવાની અવરજવરવાળી સારી વેન્ટિલેટેડ અને ઠંડી જગ્યાએ રહેવું જોઈએ. સીધો સૂર્ય પ્રકાશ અને ગરમીના તરંગો સીધા ઘર-ઓફિસમાં ન આવે તેનું ધ્યાન રાખવું. દિવસ દરમિયાન બારીઓ અને પડદા બંધ રાખવા જોઈએ. ખાસ કરીને ઘરની સૂર્ય તરફની બાજુ, ઠંડી હવા આવવા દેવા માટે રાત્રે બારી ખુલ્લી રાખવી જોઈએ.
જો બહાર જવાનું હોય તો આઉટડોર એક્ટિવિટીને દિવસના ઠંડા સમય એટલે કે સવાર અને સાંજ સુધી મર્યાદિત રાખવી જોઈએ. દિવસના ઠંડા ભાગો દરમિયાન આઉટડોર પ્રવૃત્તિ કરી શકાય.
આટલું ના કરો
૧. તડકામાં બહાર નીકળવાનું ટાળવું જોઈએ. ખાસ કરીને બપોરે ૧૨ કલાકથી બપોરે ૩ કલાકની વચ્ચે સખત પ્રવૃત્તિઓ ટાળવી જોઈએ. ખુલ્લા પગે બહાર ન જવું જોઈએ.
૨. ઉનાળાના પીક અવરમાં (સૌથી ગરમ સમય દરમિયાન) રસોઈ કરવાનું ટાળો. રસોઈ વિસ્તારમાં હવાની પર્યાપ્ત રીતે અવરજવર થાય તે માટે દરવાજા અને બારીઓ ખુલ્લાં રાખવા જોઈએ.
૩. આલ્કોહોલ, ચા, કોફી અને કાબોનેટેડ સોફ્ટ ડ્રિક્સ અથવા મોટી માત્રામાં ખાંડવાળા પીણાં ટાળવા જોઈએ. આવા તત્વો શરીરમાં વધુ પ્રવાહીની ખોટ તરફ દોરી જાય છે અથવા પેટમાં ખેંચાણ થઈ શકે છે.
૪. ઉચ્ચ પ્રોટીન ખોરાક અને વાસી ખોરાક ન ખાવો જોઈએ.
૫. પાર્ક કરેલા વાહનમાં બાળકો અથવા પાલતુ પાણીઓને છોડશો નહીં. વાહનની અંદરનું તાપમાન જોખમી બની શકે છે.
૬. ભારે અથવા ચુસ્ત કપડાં પહેરવા નહીં.
૭.વધુ તાપમાન સમયે સખત શારીરિક શ્રમયુકત પ્રવૃત્તિઓ કરવી નહીં.
આ અંગે કોઇપણ તકલીફ જણાય તો ૧૦૮ ઇમરજન્સી અથવા ડિસ્ટ્રિક્ટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર રાજકોટના ફોન નં. ૦૨૮૧-૨૪૭૧૫૭૩ તથા ટોલ ફ્રી નં. ૧૦૭૭ પર સંપર્ક કરી શકાશે, તેમ નિવાસી અધિક કલેક્ટર શ્રી એ. કે. ગૌતમની યાદીમાં જણાવાયું છે.
*૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦*