
ઝઘડિયા તાલુકાના અવિધા સ્વામિનારાયણ મંદિર ખાતે વચનામૃત જયંતિની ઉજવણી કરવામાં આવી
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના અવિધા ગામે વડતાલ તાબાના સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરમાં વચનામૃત જયંતિની ઉજવણી ભક્તિસભર માહોલમાં કરવામાં આવી હતી,આ પ્રસંગે મોટી સંખ્યામાં હરિભક્તો દ્વારા ૨૬૨ વચનામૃતનું સમૂહ પઠન કરાયું હતું,આયોજિત કાર્યક્રમમાં મંદિરના કોઠારીએ પ્રવચન કરતા જણાવ્યું હતું કે ભગવાન સ્વામિનારાયણે ગઢડા સ્થિત ગોપીનાથજી મહારાજ મંદિર ચોકમાં પ્રથમ વાર વચનામૃત ઉદબોધન કર્યું હતું,ભગવાનની પરાવાણી સ્વરૂપ રચાયેલા ગ્રંથ બધા શાસ્ત્રના સારરૂપ છે,મુમુક્ષને આદ્યયાત્મિક માર્ગે જતાં નડતી સમસ્યાઓના સહજ અને સરળ ઉકેલ પ્રશ્નોતર રૂપે શ્રીજી મહારાજે સૂચવેલા છે. આ ગ્રંથને મધ્યકાલીન સાહિત્યમાં થયેલા પ્રારંભકાલીન ગદ્યલેખનના નમૂનારૂપ ગણવામાં આવે છે.અવિધા ગામે યોજાયેલ આ ભક્તિસમભર કાર્યક્રમમાં અવિધા ઉપરાંત આસપાસના ગામોના સ્વામિનારાયણ સંપ્રદાયના હરિભક્તો જોડાયા હતા અને સમગ્ર કાર્યક્રમને ભક્તિમય બનાવ્યો હતો. ઉલ્લેખનીય છેકે અવિધા ગામે સ્વામિનારાયણ મંદિરમાં અવારનવાર વિવિધ ભક્તિમય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હોય છે,જેનો અવિધા સહિત આજુબાજુના ગામોના લોકો લાભ લેતા હોય છે.


