નર્મદા જિલ્લાના શિવરામ પરમારે બૉલીવુડની સુપરહિટ ફિલ્મોમાં વિઝ્યુઅલ ઈફેક્ટ આપીને નર્મદા જિલ્લા સહિત ગુજરાતનું ગૌરવ વધાર્યું
રાજપીપલા : જુનેદ ખત્રી
નર્મદા જીલ્લાના રાજપીપલાના વતની એવા શિવરામ ભાઇલાલભાઇ પરમાર એ બોલીવુડ ફિલ્મો જેવી કે, ગદર – ૨, ધ કેરાલા સ્ટોરી, કમાન્ડો – ૪, પૃથ્વીરાજ, જેવી મોટા બોલીવુડ ફિલ્મો સાથે છેલ્લા બે વર્ષમાં ૧૦૦ થી વધારે ફિલ્મોમાં પોસ્ટ પ્રોડકશન અને વિઝયુઅલ ઇફેક્ટ આપીને નર્મદા જિલ્લાનું નામ રોશન કર્યુ છે.
નર્મદા જિલ્લા જેવા આદિવાસી વિસ્તારમાં રાજપીપલા મુકામે રહેતા ભાઇલાલભાઇ પરમાર ના પુત્ર શિવરામ ભાઇલાલભાઇ પરમાર કે જેઓ છેલ્લા ૨૨ વર્ષથી સંગીત ક્ષેત્રે મુંબઇમાં કામ કરી રહયા છે. કોવિડના સમયમાં પણ તેઓ સંગીતની સાથે – સાથે તેઓ એ પોસ્ટ પ્રોડક્શનના કામમાં પણ હાથ આજમાવ્યો હતો. અને એક પોસ્ટ પ્રોડક્શન કંપની ટેક ઓવર કરી. જે કંપની મુંબઇમાં પીકસલ-ડી નામથી કાર્યરત છે. આ કંપનીમાં અત્યાર સુધીમાં ૩૫૦ થી પણ વધારે ફિલ્મોનું કામ થઇ ચૂકયું છે. શ્રી શિવરામ પરમાર હાલ આ કંપનીમાં ડિરેકટર તરીકે છે.
રાજપીપલા જેવા આદિવાસી વિસ્તારમાં રહીને પણ મોટા સપના સાકાર કરવા એ ખૂબ મોટી વાત છે. બસ, સંકલ્પ શકિત અને મહેનત સાથે ઇશ્વરના આર્શીવાદ અને સાથે માતા-પિતાના આર્શીવાદ હોય અને કુટુંબનો સર્પોટ પણ સાથે હોય તો દરેક સપના સાકાર કરી શકાય છે. આમ માનનાર શિવરામ પરમાર આજે એક નવી ઉંચાઇ પર કામ કરી રહયા છે. રાજપીપલાના ગુજરાત હાઉસીંગ બોર્ડમાં રહેતા શ્રી શીવરામ પરમારે વર્ષો પહેલા મુંબઇ જવાનો અને સંગીતમાં આગળ વધવાનો નિર્ણય કર્યો હતો.
રાજપીપલામાં રહીને સંગીત શીખ્યા અને ઓરકેસ્ટ્રા પાર્ટી બનાવી ને કામ કરતા હતા. ત્યાર બાદ રાજપીપલા પૂર્વ સ્ટેટના મહારાણી શ્રીમતિ રૂકમણી દેવીજી દ્વારા તેને સંગીત માટે મુંબઇ મોક્લવામાં આવ્યો. મુંબઇ ગયા બાદ શીવરામે વર્ષ-૨૦૧૪ ની લોકસભાની ચૂંટણી માટે હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ માટે એક ગીત બનાવ્યું હતુ. જે ગીત મોદી સાહેબને પણ ખૂબ ગમ્યું હતુ. ત્યાર બાદ સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ થવાનું હતુ ત્યારે પણ એક ગીત બનાવ્યુ હતુ. હાલમાં તેમના સ્ટુડીયોમાં ૧૭ થી પણ વધારે ફિલ્મોનું એક સાથે કામ ચાલી રહયું છે. જેમ કે, ક્લર ગ્રીડીંગ, વિઝ્યુઅલ ઇફેક્ટ, વોઇસ ડબીંગ, મીક્ષીંગ વગેરે..
આવનાર સમયમાં રાજપીપલાને ફિલ્મ ક્ષેત્રે કંઇક મોટુ આપવાની શિવરામની ઇચ્છા છે, એમ એમણે જણાવ્યું છે. સાથે સાથે રાજપીપલાની પ્રજાને મુંબઇ આવીને સ્ટુડીયો જોવા માટે પણ ખાસ આમંત્રણ આપવામાં આવ્યુ છે. જેથી રાજપીપલાના કલાકારોને અને ગુજરાતના કલાકારોને પ્રોત્સાહન મળે અને જીવનમાં કંઇક કરવાનો રસ્તો મળી શકે.