કરમસદ તાલુકા હેલ્થ કચેરી ખાતે આણંદ રોટરી કલબ દ્વારા ૫૦ ટીબી દર્દીઓને ન્યુટ્રીશન પોષણ કીટનું વિતરણ
આણંદ, ગુરૂવાર :: વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ ૨૦૨૫ સુધીમાં ટીબી રોગને નાબૂદ કરવા આહવાન કર્યું છે. જે અંતર્ગત આરોગ્ય વિભાગ દ્વારા નેશનલ ટયુબરકયુલોસીસ એલીમીનેશન પ્રોગ્રામ અંતર્ગત ટીબી રોગને નાબૂદ કરવા સઘન કામગીરી કરવામાં આવી રહી છે. ટીબીના દર્દીઓને દવાની સાથે પ્રોટીનયુકત આહાર આપવામાં આવે તો દર્દી વહેલી તકે સાજા થઈ શકે છે. આથી દર્દીઓને પોષયયુકત આહાર મળી રહે તે માટે “ટીબી હારેગા, દેશ જીતેગા” કેમ્પેઈન અંતર્ગત લોકભાગીદારીથી ટીબી દર્દીઓને પોષણ કીટ આપવામાં આવે છે.
આણંદ જિલ્લામાં ટીબી દર્દીઓનો સાજા થવાનો દર વધે અને વધુમાં વધું ટીબી દર્દીઓ સાજા થાય તે હેતુથી આણંદના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ. આર. બી. કાપડીયા તથા જિલ્લા ક્ષય અધિકારીશ્રી ડૉ. પૂર્વી નાયકના માર્ગદર્શન હેઠળ તાલુકા હેલ્થ કચેરી, કરમસદ ખાતે સારવાર હેઠળના ટીબી દર્દીઓ પૈકી ૫૦ જરૂરીયાતમંદ ટીબી દર્દીઓને “કોમ્યુનીટી સપોર્ટ ટુ ટીબી પેશન્ટ” અંતર્ગત રોટરી ઈન્ટરનેશનલ ડીસ્ટ્રીક્ટ ૩૦૬૦ ના ડીસ્ટ્રીક્ટ ગવર્નરશ્રી નિહિર દવેના માર્ગદર્શન હેઠળ રોટરી કલબ, આણંદ દ્વારા ન્યુટ્રીશન પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ. આર. બી. કાપડીયા, જિલ્લા ક્ષય અધિકારીશ્રી ડૉ. પૂર્વી નાયક, રોટરી કલબ, આણંદના પ્રમુખશ્રી પરેશભાઈ ઠકકર, સેક્રેટરીશ્રી ગગન પંજાબી, પ્રોજેકટ ચેરમેનશ્રી ડો. અમિત પટેલ સહિત મોટી સંખ્યામાં રોટરી કલબના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.