INTERNATIONAL

નેપાળમાં ભીષણ પૂરથી 11 હાઈડ્રો પાવર પ્લાન્ટ, 40 રસ્તા, 19 પુલ, 10થી વધુ બેંકો તબાહ

નેપાળમાં આવેલા ભીષણ પૂરના કારણે દેશના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મોટો ફટકો પડ્યો છે. રસ્તાઓ, પુલો, વીજ ઉત્પાદન, બેન્કિંગ વ્યવસ્થા, ટેલિકોમ નેટવર્ક અને સરકારી ઇમારતો સુધી પૂરના કારણે ભારે નુકસાન થયું છે, જેના લીધે અનેક વિસ્તારોમાં સામાન્ય જનજીવન સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે.

પૂરના કારણે લગભગ 40 કિલોમીટર જેટલા રસ્તાઓ ક્ષતિગ્રસ્ત થયા છે અને 19 પુલોને નુકસાન પહોંચ્યું છે. આ ઉપરાંત રસુવા થી માલ્ખુ વચ્ચે 20 થી વધુ સસ્પેન્શન તેમજ મોટરેબલ પુલ ધસમસતા પ્રવાહમાં વહી ગયા છે, જેમાં ધાદિંગબેસીને જોડતો મહત્વનો પુલ પણ સામેલ છે. પુલ તૂટી જવાના કારણે ઘણા વિસ્તારોનો સંપર્ક તૂટી ગયો છે અને વાહનવ્યવહાર ઠપ્પ થઈ ગયો છે.

પૂરના પ્રકોપથી 11 હાઇડ્રો પાવર પ્લાન્ટ ક્ષતિગ્રસ્ત થયા છે. પ્લાન્ટ્સને નુકસાન થવાના કારણે 431 મેગાવોટ વીજળીનું ઉત્પાદન સિસ્ટમમાંથી બહાર થઈ ગયું છે, જેની સીધી અસર અસરગ્રસ્ત વિસ્તારોના વીજ પુરવઠા પર પડી છે.

નાણાકીય ક્ષેત્રને પણ પૂરનો મોટો માર પડ્યો છે. અડધા ડઝનથી વધુ બેંકો અને નાણાકીય સંસ્થાઓની ઓફિસો પાણીના પ્રવાહમાં વહી ગઈ છે, જ્યારે કુલ 12 થી વધુ બેંક શાખાઓને નુકસાન પહોંચતા કામગીરી અટકી ગઈ છે.

સંચાર વ્યવસ્થા પર પણ પૂરની ગંભીર અસર થઈ છે. NTC અને Ncell ના ટાવર્સ, ઓપ્ટિકલ ફાઈબર કેબલ્સ સહિત 25 થી વધુ ટેલિકોમ સાઈટ્સ ક્ષતિગ્રસ્ત થઈ છે. નેપાળ ટેલિકોમની ચીન સાથે જોડાતી ફાઈબર લાઇન પણ તૂટી ગઈ છે. આ સિવાય રસુવા, ધાદિંગ અને નુવાકોટમાં 6 સ્થળોએ લગાવેલી ફ્લડ અર્લી વોર્નિંગ સિસ્ટમ પણ તૂટી ગઈ છે.

નુવાકોટના બિદુર-6 સ્થિત ખામ્પાકામ્પમાં સેન્ટ્રલ જેલનું વહીવટી મકાન અને નેપાળ પોલીસ સુરક્ષા યુનિટની બિલ્ડિંગ પ્રભાવિત થઈ છે. ઇમારતોની બહારની દીવાલો અને વાહનોને નુકસાન થયું છે, જોકે રાહતની વાત એ છે કે જેલમાં બંધ તમામ 800 કેદીઓ સુરક્ષિત છે.

કાઠમંડુ સ્થિત ભારતીય દૂતાવાસ અને વિદેશ મંત્રાલય નેપાળ સરકારના સતત સંપર્કમાં છે, જેથી પૂરગ્રસ્ત વિસ્તારોમાં ફસાયેલા ભારતીય નાગરિકોને ઝડપથી સુરક્ષિત બહાર લાવી શકાય. દૂતાવાસે ભારતીય નાગરિકોની માહિતી અને મદદ માટે બે ઇમરજન્સી હેલ્પલાઇન નંબર +977 985 131 6807 અને +977 970 910 7500 જાહેર કર્યા છે.

Back to top button
error: Content is protected !!