દક્ષિણ લેબનોનમાં થયેલા ઇઝરાયેલી હુમલામાં 5 લોકોના મોત

ઇઝરાયેલ અને હિઝબુલ્લાહ વચ્ચે સીઝફાયર હોવા છતાં શુક્રવારે દક્ષિણ લેબનોનમાં થયેલા ઇઝરાયેલી હુમલામાં 5 લોકોના મોત થયા છે. મૃતકોમાં એક પિતા અને તેના ત્રણ પુત્રો તેમજ લેબનાની સેનાના એક જવાનનો સમાવેશ થાય છે. વળતા પ્રહારમાં હિઝબુલ્લાએ ડ્રોન અને રોકેટ છોડ્યા હતા, જેમાં 2 ઇઝરાયેલી સૈનિકો ઘાયલ થયા છે. 2 માર્ચથી શરૂ થયેલા આ સંઘર્ષમાં અત્યાર સુધી હજારો લોકોએ જીવ ગુમાવ્યા છે અને યુદ્ધવિરામ અત્યારે માત્ર કાગળ પર જ મર્યાદિત રહી ગયો હોય તેવું જણાય છે.
દક્ષિણ લેબનોનના કફર રુમ્મન ગામમાં ઇઝરાયેલી એરસ્ટ્રાઈક બાદ બચાવ કામગીરી દરમિયાન કાટમાળ નીચેથી પાંચ મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા. સ્થાનિક ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર, આ હુમલામાં માલેક હમઝા નામના વ્યક્તિ અને તેના ત્રણ પુત્રો – અલી, ફાડેલ અને હમઝાના મોત થયા છે. આ ઉપરાંત, લેબનાની સેનાએ સત્તાવાર રીતે પુષ્ટિ કરી છે કે તેમના એક સૈનિક અલી જાબેર પણ આ સ્ટ્રાઈકમાં શહીદ થયા છે. ઇઝરાયેલની સૈન્ય કાર્યવાહી માત્ર અહીં જ અટકી નહોતી, તેમણે નબાતીયેહ શહેર પાસેના હબ્બૂશ ગામના લોકોને પણ તાત્કાલિક વિસ્તાર ખાલી કરવાની ચેતવણી આપી હતી, જેમાં જણાવાયું હતું કે હિઝબુલ્લાહના ઠેકાણાઓની આસપાસ રહેવું જોખમી સાબિત થઈ શકે છે.
હિઝબુલ્લાહ તરફથી પણ આ હુમલાનો જડબાતોડ જવાબ આપવામાં આવ્યો હતો. શુક્રવાર બપોર સુધીમાં સંગઠને 6 અલગ-અલગ નિવેદનો જાહેર કરીને ઇઝરાયેલી સૈન્ય ચોકીઓ પર ડ્રોન અને રોકેટ હુમલાની કબૂલાત કરી હતી. ઇઝરાયેલી સેનાએ સ્વીકાર્યું છે કે લેબનોન બોર્ડર પાસે ઉત્તરી ઇઝરાયેલમાં એક વિસ્ફોટક ડ્રોન ક્રેશ થયું હતું. આ ડ્રોન હુમલાને કારણે માર્ગાલિયટ વિસ્તારમાં આગ લાગવાની ઘટના બની હતી અને અન્ય એક હુમલામાં બે ઇઝરાયેલી સૈનિકોને સામાન્ય ઈજાઓ પહોંચી હતી.
આ યુદ્ધની પૃષ્ઠભૂમિ પર નજર કરીએ તો, 2 માર્ચ 2026 ના રોજ જ્યારે ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે તણાવ વધ્યો, તેના બે દિવસ બાદ હિઝબુલ્લાએ ઉત્તરી ઇઝરાયેલ પર રોકેટ છોડીને મોરચો ખોલ્યો હતો. ત્યારથી અત્યાર સુધીમાં લેબનોનમાં હજારો નાગરિકો અને સૈનિકોએ જીવ ગુમાવ્યા છે. જોકે 16 એપ્રિલથી ત્રણ અઠવાડિયા માટે યુદ્ધવિરામ લંબાવવામાં આવ્યો હતો, પરંતુ બંને પક્ષો દ્વારા દરરોજ થતા ઉલ્લંઘનને કારણે તે અર્થહીન બની ગયો છે. સરહદી ગામોમાં લાખો લોકો બેઘર બન્યા છે અને હવે જ્યારે તેઓ ધીમે ધીમે પોતાના જર્જરિત ઘરોમાં પરત ફરી રહ્યા છે, ત્યારે સતત થતા બોમ્બમારો તેમના માટે મોતનો છાયો બનીને ઉભો છે.
રાજકીય વિશ્લેષકોના મતે, આ સંઘર્ષ હવે સીઝફાયરના કરારોથી આગળ નીકળી ગયો છે. ઇઝરાયેલનો હેતુ હિઝબુલ્લાહની લડાયક ક્ષમતાને સંપૂર્ણપણે નષ્ટ કરવાનો છે, જ્યારે હિઝબુલ્લાહ પણ ઈરાનના સમર્થન સાથે પીછેહઠ કરવા તૈયાર નથી. પશ્ચિમ એશિયામાં શાંતિ સ્થાપવા માટેના આંતરરાષ્ટ્રીય પ્રયાસો અત્યારે તો નિષ્ફળ રહ્યા હોય તેવું સ્પષ્ટ દેખાય છે, કારણ કે બંને પક્ષો માત્ર કાગળ પર જ શાંતિની વાતો કરે છે અને જમીન પર અત્યાધુનિક હથિયારો, મિસાઈલો અને ડ્રોન દ્વારા એકબીજા પર મોતનો વરસાદ વરસાવી રહ્યા છે.






