નેપાળમાં વડાપ્રધાન ઓલી બાદ હવે રાષ્ટ્રપતિ રામચંદ્ર પૌડેલે પણ રાજીનામું આપી દીધુ

નેપાળમાં Gen-Z આંદોલને સરકાર ઉઠલાવી પાડી છે. નેપાળમાં વડાપ્રધાન ઓલી બાદ હવે રાષ્ટ્રપતિ રામચંદ્ર પૌડેલે પણ રાજીનામું આપી દીધુ છે. બીજી તરફ નેપાળમાં જેને કારણે હિંસા ભડકી હતી તે સોશિયલ મીડિયા પરથી હવે પ્રતિબંધ હટાવી દેવામાં આવ્યો છે. નેપાળના પૂર્વ વડાપ્રધાન ઝલનાથ ખનાલના પત્ની રાજ્યલક્ષ્મી ચિત્રકારનું નિધન થયું છે. તેમને ઘરમાં આગ લગાવીને જીવતા સળગાવી દેવામાં આવ્યા હતા. આ ઘટના ડલૂ સ્થિત તેમના ઘરે બની હતી જેમાં પૂર્વ વડાપ્રધાન ઝલનાથ ખનાલ પણ ઘાયલ થયા હતા.
નેપાળમાં હિંસક પ્રદર્શન વચ્ચે સ્થિતિ બેકાબૂ બની છે. રાષ્ટ્રપતિ,વડાપ્રધાન અને ગૃહમંત્રીએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધુ છે.નેપાળમાં ઉગ્ર પ્રદર્શન દરમિયાન જે DSPએ પ્રદર્શનકારીઓને જોતા જ ગોળી મારવાનો આદેશ આપ્યો હતો તેને આંદોલનકારીઓએ મોતને ઘાટ ઉતાર્યો છે.
નેપાળના વડાપ્રધાન કેપી શર્મા ઓલીનું રાજીનામું રાષ્ટ્રપતિ તરફથી સ્વીકારવામાં આવ્યું હતું. જોકે, કાઠમાંડુ સહિત કેટલાક શહેરોમાં સ્થિતિ તણાવપૂર્ણ છે. રાજીનામા બાદ પણ પ્રદર્શનકારી શાંત થયા નથી.
ઉગ્રવાદીઓએ સંસદ, રાષ્ટ્રપતિના ઘર તથા કેબિનેટ મંત્રીઓ સહિતના નેતાઓના ઘરમાં આગ લગાવી દીધી છે. સમગ્ર દેશમાં ઠેર ઠેર હિંસાના કારણે પરિસ્થિતિ અત્યંત તણાવપૂર્ણ બની છે. નેપાળની સેનાએ પણ સરકારને અલ્ટિમેટમ આપી દેતા વડાપ્રધાને રાજીનામું આપ્યું છે.
મોટી સંખ્યામાં યુવાનોએ નેપાળના માહિતી સંચાર મંત્રીના નિવાસ સ્થાનને આગ ચાંપી હતી. નવ મંત્રીઓએ રાજીનામું આપી દીધુ છે. એવું કહેવાય છે કે, બાંગ્લાદેશની શેખ હસીનાની સરકારને તોડી પાડવા અપનાવવામાં આવેલી મોડસ ઓપરેન્ડી નેપાળમાં પણ અજમાવાઈ છે. નેપાળમાં મોટાભાગના વિસ્તારોમાં કરફ્યુ હોવા છતાં આંદોલનકારીઓએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રતિબંધ લાદવાનો આદેશ આપનારા અને તેમાં મહત્ત્વની ભૂમિકા ભજવનારા માહિતી સંચાર મંત્રી પૃથ્વી સુબ્બા ગુરૂંગના ખાનગી નિવાસસ્થાનને આગ ચાંપી હતી.
ઘટના બાદ પોલીસ તુરંત ફાયર બ્રિગેડની ગાડીઓ સાથે ઘટના સ્થળે પહોંચી હતી. ફાયરબ્રિગેડ દ્વારા આગ બૂઝાવવાનો અને બચાવ કામગીરી શરૂ કરાઈ હતી. આ આંદોલન સતત ઉગ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. પૂર્વ વડાપ્રધાન પુષ્પ કમલના ઘરે પણ આગ ચાંપી હતી. જ્યારે પૂર્વ ડેપ્યુટી પીએમ રઘુવીર મહાસેઠના જનકપુર સ્થિત ઘર પર ઉપદ્રવીઓએ પથ્થરમારો કર્યો હતો.



