દિલ્હીના રોહિણીમાં ભીષણ આગ, 800 ઝૂંપડા બળીને રાખ
દિલ્હીના રોહિણી સેક્ટર-17 સ્થિત ઝૂંપડપટ્ટીમાં ભીષણ આગ લાગી હતી. આ અકસ્માતમાં બે નાના બાળકોના દુઃખદ મોત થયા હતા અને પાંચ લોકો ઘાયલ થયા હતા. દિલ્હી ફાયર સર્વિસ (DFS)ના અધિકારીઓના જણાવ્યા અનુસાર, આગ એટલી ઝડપથી ફેલાઈ ગઈ કે 800થી વધુ ઝૂંપડીઓ બળીને રાખ થઈ ગઈ છે. ફાયર સર્વિસને સવારે 11:55 વાગ્યે આગ લાગવાની માહિતી મળી હતી. શરૂઆતમાં 17 ફાયર બ્રિગેડ વાહનો ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા હતા, પરંતુ આગની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ‘મીડિયમ કેટેગરી’માં અપગ્રેડ કરવામાં આવી હતી અને કુલ 26 ફાયર ટેન્કર ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા હતા. ફાયર ફાઇટરોએ ત્રણ કલાકની મહેનત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો જો કે, આગ ઓલવવાનું કામ હજુ પણ ચાલુ છે.
પોલીસ અધિકારી જણાવ્યું હતું કે બે બાળકો, એક અઢી વર્ષનો અને એક ત્રણ વર્ષનો બાળકનો મૃતદેહ મળી આવ્યો છે. બંનેના મૃતદેહને હોસ્પિટલ મોકલી દેવામાં આવ્યા છે. ઝૂંપડાઓ એકબીજાને અડીને આવેલા હતા. ફાયર વિભાગે જણાવ્યું હતું કે,આગ ઓલવવી મુશ્કેલ હતી કારણ કે સામે એક એપાર્ટમેન્ટ કોમ્પ્લેક્સની ઊંચી દિવાલો હતી, જેના કારણે ફાયર એન્જિનને અંદર પ્રવેશવામાં વિલંબ થયો હતો
આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા માટે તપાસ કરવામાં આવી રહી છે. પ્રાથમિક તપાસ મુજબ ઝૂંપડપટ્ટીમાં અવ્યવસ્થિત વીજળીના વાયર અને ઘણા LPG સિલિન્ડર મળી આવ્યા હતા, જેના કારણે આગ ઝડપથી ફેલાઈ શકે તેવી શક્યતા છે. પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમો હજુ પણ ઘટનાસ્થળે શોધ અને કુલિંગ કામગીરી કરી રહી છે