NATIONAL

ભારતીય સેનાએ પાકિસ્તાનમાં ધ્વસ્ત કર્યા 9 આતંકી ઠેકાણાં, 90થી વધુ આતંકીઓ ઠાર

પહેલગામ આતંકવાદી હુમલાનો બદલો લેતા, ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાનમાં 9 આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો. ઓપરેશન સિંદૂર ભારતીય સેના અને ભારતીય વાયુસેના દ્વારા સંયુક્ત રીતે હાથ ધરવામાં આવ્યું હતું. ભારતીય વાયુસેનાના લડાકુ વિમાનોએ હવાઈ હુમલા કર્યા જ્યારે સેનાએ મિસાઈલોનો ઉપયોગ કર્યો. પાકિસ્તાની એર ડિફેન્સને કોઈ ખ્યાલ નહોતો કે ભારતે મિસાઇલ લોન્ચ કરી છે. ભારતે આ મિસાઇલો પોતાની સરહદથી લોન્ચ કરી હતી.

ભારતીય વાયુસેનાએ પુષ્ટિ આપી છે કે કાશ્મીરમાં એરફિલ્ડ બંધ કરી દેવામાં આવ્યા છે અને આજે શ્રીનગર એરપોર્ટથી કોઈ નાગરિક વિમાન ઉડાન ભરશે નહીં.

હાફિઝ સઈદ અને મસૂદ અઝહરના ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવ્યા

પાકિસ્તાની મીડિયા સંગઠનો અનુસાર, ભારતીય સેનાના ઓપરેશન સિંદૂર દરમિયાન બહાવલપુરમાં જામી મસ્જિદ સુભાનઅલ્લાહ પર પણ હવાઈ હુમલો કરવામાં આવ્યો હતો. આ મસ્જિદ જૈશ-એ-મોહમ્મદનું મુખ્ય મથક છે. પાકિસ્તાનના કોટલીમાં હિઝબુલ મુજાહિદ્દીનનું એક તાલીમ કેન્દ્ર છે. મુઝફ્ફરાબાદમાં લશ્કરનું તાલીમ કેન્દ્ર અને હિઝબુલ મુજાહિદ્દીનનું મુખ્ય મથક છે. ઉલ્લેખનીય છે કે આ આતંકવાદી ઠેકાણા હાફિઝ સઈદ અને મસૂદ અઝહરના અડ્ડાઓ છે.

પાકિસ્તાનના પીએમ શાહબાઝ શરીફે કહ્યું, “ભારતે પાકિસ્તાનમાં પાંચ સ્થળોએ હુમલો કર્યો છે. પાકિસ્તાનને ભારતના આ યુદ્ધના કૃત્યનો કડક જવાબ આપવાનો સંપૂર્ણ અધિકાર છે અને તેનો કડક જવાબ આપવામાં આવી રહ્યો છે. આખો દેશ પાકિસ્તાન સશસ્ત્ર દળો સાથે ઉભો છે અને સમગ્ર પાકિસ્તાની રાષ્ટ્રનું મનોબળ અને ભાવના ઉચ્ચ છે. પાકિસ્તાની રાષ્ટ્ર અને પાકિસ્તાની સશસ્ત્ર દળો જાણે છે કે દુશ્મનનો સામનો કેવી રીતે કરવો. અમે ક્યારેય દુશ્મનને તેના દુષ્ટ ઇરાદાઓમાં સફળ થવા દઈશું નહીં.”

પહેલગામ આતંકવાદી હુમલા પછી, ભારતે આતંકવાદ સામેની તેની નીતિને વધુ આક્રમક બનાવી અને સોમવારે રાત્રે ‘ઓપરેશન સિંદૂર’ હાથ ધર્યું. આ ગુપ્ત કાર્યવાહી હેઠળ, ભારતીય વાયુસેનાએ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK) માં સ્થિત કુલ 9 આતંકવાદી ઠેકાણાઓ પર હવાઈ હુમલા કર્યા. આ ઓપરેશન રાત્રે લગભગ 1:30 વાગ્યે હાથ ધરવામાં આવ્યું હતું અને તેનો ઉદ્દેશ્ય આતંકવાદીઓના લોન્ચપેડ અને શસ્ત્રોના ડેપોનો નાશ કરવાનો હતો.

સૂત્રોના જણાવ્યા અનુસાર, ભારતીય વાયુસેનાના અદ્યતન ફાઇટર જેટ્સ જેમ કે મિરાજ-2000 અને સુખોઈ-30 MKI એ બહાવલપુર, કોટલી અને મુઝફ્ફરાબાદ વિસ્તારોને નિશાન બનાવ્યા હતા. આ વિસ્તારોને લાંબા સમયથી જૈશ-એ-મોહમ્મદ અને લશ્કર-એ-તૈયબા જેવા આતંકવાદી સંગઠનોનો ગઢ માનવામાં આવે છે.

પાકિસ્તાનમાં વધી રહેલા તણાવ વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે. ઇસ્લામાબાદ અને લાહોર એરપોર્ટની બધી ફ્લાઇટ્સ આગામી સૂચના સુધી રદ કરવામાં આવી છે. તાજેતરની સુરક્ષા પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.

ભારતીય સશસ્ત્ર દળો દ્વારા ‘ઓપરેશન સિંદૂર’ શરૂ કરવાના અહેવાલો અંગે, યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તાએ ANI ને જણાવ્યું, “અમે આ અહેવાલોથી વાકેફ છીએ. જોકે, હાલમાં અમારી પાસે કોઈ મૂલ્યાંકન નથી. આ એક બદલાતી પરિસ્થિતિ છે, અને અમે ડેવલોપમેન્ટ પર નજીકથી નજર રાખી રહ્યા છીએ.”

પાકિસ્તાની સેનાના પ્રવક્તાએ પુષ્ટિ આપી છે કે મુઝફ્ફરાબાદ, કોટલી અને બહાવલપુરમાં હવાઈ હુમલા કરવામાં આવ્યા છે. પ્રવક્તાએ જણાવ્યું હતું કે નુકસાનનું મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે અને હુમલા દરમિયાન કોઈ પણ ભારતીય વિમાન કે જેટ પાકિસ્તાની હવાઈ ક્ષેત્રમાં પ્રવેશી શક્યું નહીં. દરમિયાન, વધતા તણાવને ધ્યાનમાં રાખીને, પાકિસ્તાને આગામી 48 કલાક માટે લાહોર અને સિયાલકોટ એરપોર્ટ બંધ કરવાની જાહેરાત કરી.

ભારતીય હુમલા પછી તરત જ, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજિત ડોભાલે યુએસ NSA અને વિદેશ સચિવ માર્કો રુબિયો સાથે વાત કરી. વોશિંગ્ટન ડીસીમાં ભારતીય દૂતાવાસ દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે અજિત ડોભાલે તેમને લેવામાં આવેલી કાર્યવાહી વિશે સંપૂર્ણ માહિતી આપી અને ભારતની સ્થિતિથી વાકેફ કર્યા.

પાકિસ્તાનના ડોન ન્યૂઝના અહેવાલ મુજબ, ઇન્ટર-સર્વિસિસ પબ્લિક રિલેશન્સ (ISPR) ના ડિરેક્ટર જનરલ લેફ્ટનન્ટ જનરલ અહેમદ શરીફ ચૌધરીએ જણાવ્યું હતું કે કાશ્મીરમાં આતંકવાદી હુમલાઓને પગલે બંને દેશો વચ્ચેના તીવ્ર તણાવ વચ્ચે ભારતે કોટલી, બહાવલપુર અને મુઝફ્ફરાબાદમાં મિસાઇલ હુમલા કર્યા હતા.

એરસ્ટ્રાઈકમાં તબાહ થાય પાકિસ્તાનના 9 આતંકી ઠેકાણાં

 

1. બહાવલપુર – આંતરરાષ્ટ્રીય સરહદથી લગભગ 100 કિમી દૂર આવેલું, તે જૈશ-એ-મોહમ્મદનું મુખ્ય મથક હતું, જેને ભારતીય સેના દ્વારા દ્વસ્ત કરવામાં આવ્યું છે.

2. મુરિદકે – આ આતંકવાદી ઠેકાણું આંતરરાષ્ટ્રીય સરહદથી 30 કિમી દૂર આવેલું છે. તે લશ્કર-એ-તૈયબાનો કેમ્પ હતો જે 26/11ના મુંબઈ હુમલા સાથે જોડાયેલો હતો.

3. ગુલપુર– આ આતંકવાદી ઠેકાણું LoC (પુંછ-રાજૌરી) થી 35 કિમી દૂર આવેલું છે.

4. લશ્કર કેમ્પ સવાઈ – આ આતંકવાદી ઠેકાણું પીઓકે તંગધાર સેક્ટરમાં 30 કિમી અંદર આવેલું છે.

5. બિલાલ કેમ્પ – જૈશ-એ-મોહમ્મદનું લોન્ચપેડ, આ ઠેકાણાનો ઉપયોગ આતંકવાદીઓને સરહદ પાર મોકલવા માટે કરવામાં આવતો હતો.

6. કોટલી – LoC થી 15 કિમી દૂર સ્થિત લશ્કર કેમ્પ. આ એક એવું ઠેકાણું હતું જેમાં 50 થી વધુ આતંકવાદીઓ હતા.

7. બરનાલા કેમ્પ– આ આતંકવાદી ઠેકાણું LoC થી 10 કિમી દૂર આવેલું હતું.

8. સરજાલ કેમ્પ– જૈશનું તાલીમ કેન્દ્ર સાંબા-કઠુઆની સામે આંતરરાષ્ટ્રીય સરહદથી 8 કિમી દૂર સ્થિત છે.

9. મેહમૂના કેમ્પ (સિયાલકોટ નજીક) – તે હિઝબુલ મુજાહિદ્દીનનો તાલીમ કેમ્પ હતો અને આંતરરાષ્ટ્રીય સરહદથી 15 કિમી દૂર સ્થિત હતો.

Back to top button
error: Content is protected !!