NATIONAL

પહલગામ આતંકી હુમલાની FIRમાં સુરક્ષા પર ઉઠયા સવાલ ’30 મિનિટ સુધી અંધાધૂંધ ગોળીબાર…!!!

જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલા અંગે નોંધાયેલી એફઆઇઆરમાં ચોંકાવનારા ઘટસ્ફોટ થયા છે. એફઆઇઆર મુજબ, આ હુમલો સંપૂર્ણપણે પૂર્વયોજિત હતો અને આતંકીઓએ સરહદ પારથી તેમના હેન્ડલરોના નિર્દેશ પર તેને અંજામ આપ્યો હતો. આતંકીઓએ ગેરકાયદે રીતે મેળવેલા ઓટોમેટિક હથિયારોનો ઉપયોગ કરીને લગભગ 30 મિનિટ સુધી અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો, જેમાં 28 પ્રવાસીઓ માર્યા ગયા. આ હુમલો મંગળવાર (22મી એપ્રિલ) બપોરે 1.50થી 2.20 વાગ્યાની વચ્ચે થયો હતો.

અહેવાલ અનુસાર, FIRમાં જણાવાયું છે કે હુમલાખોરો આર્મી જવાનોના કપડામાં હતા અને અચાનક બેસરન ખીણની આસપાસના ગાઢ પાઇન જંગલોમાંથી બહાર આવ્યા. આ દરમિયાન પ્રવાસીઓ હરિયાળીનો આનંદ માણી રહ્યા હતા. અચાનક ગોળીબાર અને ચીસોનો અવાજ આવ્યો. થોડીવારમાં ઘણાં લોકો જમીન પર પડી ગયા અને ઘણાં ઈજાગ્રસ્ત થયા હતા. પોલીસને બપોરે 2.30 વાગ્યે હુમલાની માહિતી મળી હતી અને સુરક્ષા દળો ઘટનાસ્થળે પહોંચ્યા ત્યાં સુધીમાં હુમલાખોરો ભાગી ગયા હતા. બેસરન સુધી જવા માટે કોઈ મોટરેબલ રસ્તો ન હોવાથી, સુરક્ષા દળોને ત્યાં પહોંચવામાં ઘણો સમય લાગ્યો.

એફઆઇઆરમાં જણાવાયું છે કે, પોલીસને સૂત્રો પાસેથી માહિતી મળી હતી કે સરહદ પારથી તેમના આકાઓ દ્વારા આપવામાં આવેલા નિર્દેશો પર ગેરકાયદે ઓટોમેટિક હથિયારોનો ઉપયોગ કરીને પહેલગામના બેસરન ખાતે આતંકી દ્વારા પૂર્વ આયોજિત હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલાનો હેતુ માત્ર હત્યા કરવાનો જ નહીં પરંતુ લોકોમાં ભય અને આતંક ફેલાવવાનો પણ હતો.

આ મામલે ભારતીય દંડ સંહિતા(IPC)ની અનેક કડક કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. ભારતીય દંડ સંહિતા(IPC)ની કલમ 11, 103 અને 109, ગેરકાયદે પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમ (UAPA), અને શસ્ત્ર અધિનિયમ સહિત ગંભીર જોગવાઈઓ હેઠળ FIR નોંધવામાં આવી હતી. આર્મ્સ અધિનિયમની કલમ 7 અને 27, અને UAPAની કલમ 16, 18 અને 20 પણ લાગુ કરવામાં આવી છે.

પ્રાથમિક તપાસમાં ખબર પડી કે આતંકવાદીઓએ બોડીકેમ પહેરેલા હતા. હુમલાખોરોએ આ હુમલાની વીડિયોગ્રાફી કરી હતી. આતંકવાદીઓએ મહિલાઓ અને પુરૂષોને અલગ-અલગ કરી દીધા હતા. ત્યારબાદ એક-એક કરીને લોકોને માર્યા હતા. કેટલાક લોકોને દૂરથી ગોળી મારવામાં આવી જ્યારે બાકી લોકોને નજીકથી ગોળી મારવામાં આવી.

તપાસમાં ખબર પડી કે આતંકવાદીએ જાણીજોઇને પહલગામને હુમલા માટે પસંદ કર્યું. અહીં સુરક્ષાદળો તહેનાત હોતા નથી અને હુમલા બાદ બચાવ કાર્યમાં સમય લાગશે. આતંકવાદીઓએ સંતાવવા માટે ગાઢ જંગલમાં અડ્ડા બનાવ્યા હતા. સ્થાનિક આતંકવાદીઓની મદદથી આતંકવાદીઓએ કદાચ હવે પોતાનું લોકેશન બદલી દીધું છે.

Back to top button
error: Content is protected !!