NATIONAL

ભારતના ઈતિહાસમાં વર્ગ વિભાગને ધ્યાને રાખીને કોઈપણ વ્યક્તિનો ‘સેકન્ડ ક્લાસ મુસાફર’ તરીકે ઉલ્લેખ કરવો તે બંધારણ વિરોધી:સુપ્રીમ કોર્ટ

સુપ્રીમ કોર્ટે ભારતીય રેલવેમાં સુધારો અને મુસાફરોની સુરક્ષા અંગે મોટો નિર્ણય સંભળાવ્યો છે. જસ્ટિસ સંય કરોલ અને જસ્ટિસ એન.કોટિશ્વર સિંહની બેંચે રેલવેના દસ્તાવેજોમાં લખાયેલ ‘સેકન્ડ ક્લાસ મુસાફર’ શબ્દથી તીવ્ર વાંધો ઉઠાવ્યો છે.

સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કહ્યું કે, ભારતના ઈતિહાસમાં વર્ગ વિભાગને ધ્યાને રાખીને કોઈપણ વ્યક્તિનો ‘સેકન્ડ ક્લાસ મુસાફર’ તરીકે ઉલ્લેખ કરવો તે બંધારણ વિરોધી છે, તેથી મુસાફરના બદલે રેલવે કોચ કે ડબ્બા માટે શ્રેણીનો ઉલ્લેખ કરવો વધુ યોગ્ય રહેશે. કોર્ટે આદેશ આપ્યો છે કે, મુસાફરોએ ચુકવેલ રકમના આધારે નહીં, પરંતુ ટ્રેનના કોચના આધારે કેટેગરી નક્કી કરવી જોઈએ, જેમાં તે વ્યક્તિ સફર કરવાનો છે. એટલે કે હવે કેટેગરીનો ઉલ્લેખ મુસાફરના બદલે માત્ર કોચના સંદર્ભમાં જ કરવો જોઈએ.

સુપ્રીમ કોર્ટે રેલવે સુરક્ષા વ્યવસ્થા અને મુસાફરોની સુવિધાને લગતા મુદ્દા પર ટિપ્પણી કરતા કહ્યું કે, ‘રેલવેની મોટાભાગની સુવિધાઓને અસરકારક રીતે લાગુ કરવા માટે વધુ કર્મચારીઓની જરૂર છે. રેલવે સ્ટેશનો અને ટ્રેનોમાં કામ કરતા કર્મચારીઓની સંખ્યા વધારવી પડશે. દેશમાં આધુનિકીકરણના યુગમાં રેલવેમાં યુવાઓને રોજગાર આપવાથી તેઓને કાયમ આજીવિકા મળશે, આ ઉપરાંત મુસાફરોનો જીવ બચાવવામાં પણ મદદ મળશે.

Back to top button
error: Content is protected !!