ધર્મ પરિવર્તન કરતાં અનુસૂચિત જાતિનો દરજ્જો પણ સમાપ્ત થઈ જાય…: હાઇકોર્ટ
આંધ્ર પ્રદેશની હાઇકોર્ટે એક કેસમાં સુનાવણી કરતાં અનુસૂચિત જાતિ સમુદાયના લોકોના ધર્મ પરિવર્તનને લઈને મોટું નિવેદન આપ્યું છે. કોર્ટે કહ્યું કે, જો કોઈ અનુસૂચિત જાતિનો વ્યક્તિ ધર્મ પરિવર્તન કરી લે છે, તો તેનો SCનો દરજ્જો પણ ખતમ થઈ જાય છે. એટલે કે તે અનુસૂચિત જાતિ તથા જનજાતિ અધિનિયમ હેઠળ તે સંરક્ષણનો દાવો કરી શકતો નથી.
હાઇકોર્ટની સિંગલ બેન્ચ પર જસ્ટિસ હરિનાથે ગુંટૂર જિલ્લાના રહેવાસી અકલ્લા રામી નામના વ્યક્તિની અરજી પર સુનાવણી કરતી વખતે આ નિવેદન આપ્યું હતું. અકલ્લા પર આરોપ હતો કે, હિન્દુમાંથી ઈસાઈ (ખ્રિસ્તી) બનેલા એક ચિંતાદા નામના વ્યક્તિને જાતિ સંબંધિત અપશબ્દો બોલી હતી. અકલ્લાના વકીલે કોર્ટમાં દાવો કર્યો હતો કે, ચિંતાદાના દાવો કર્યો છે કે, તેણે દસ વર્ષ પહેલાં પોતાની મરજીથી ધર્મ પરિવર્તન કર્યુ હતું. હવે જ્યારે ખ્રિસ્તી ધર્મ જાતિ વ્યવસ્થાને માન્યતા આપતો નથી, તો પછી SC-ST કાયદાનો કોઈ અર્થ નથી.
જસ્ટિસ હરિનાથે કહ્યું કે જ્યારે ચિંતાદા પોતે કહી રહ્યા છે કે તેઓ છેલ્લા 10 વર્ષથી ખ્રિસ્તી ધર્મનું પાલન કરી રહ્યા છે, તો પોલીસે આરોપીઓ સામે SC ST ઍક્ટ હેઠળ કેસ દાખલ ન કરવો જોઈતો હતો. ન્યાયાધીશ હરિનાથે અકલ્લાના વકીલની દલીલ સ્વીકારી અને કહ્યું કે SC-ST કાયદો તે સમુદાયની વ્યક્તિઓના રક્ષણ માટે છે, ધર્મ પરિવર્તન કરનારા લોકો માટે નહીં. એ પછી જસ્ટિસ હરિનાથે આરોપી સામેનો કેસ ફગાવી દીધો.
ઉલ્લેખનીય કે, અનુસૂચિત જાતિ અધિનિયમ 1950 મુજબ, ભારતમાં જન્મેલા ધર્મોના અનુસૂચિત જાતિ સમુદાયો(હિન્દુ, શીખ, બૌદ્ધ)ને જ બંધારણમાં માન્યતા આપવામાં આવી છે. જો કોઈ આ ધર્મનો હોય તો તેને અનુસૂચિત જાતિમાં ગણવામાં આવશે. તેમજ જો કોઈ મુસ્લિમ કે ખ્રિસ્તી ધર્મ અપનાવે છે, તો તેનો આ દરજ્જો નાબૂદ કરવામાં આવશે. કેન્દ્ર સરકારે 2022માં સુપ્રીમ કોર્ટમાં એક સોગંદનામું પણ દાખલ કર્યું હતું કે, આવા લોકોને અનામત આપી શકાતી નથી, કારણ કે તેઓ આ ધર્મ ફક્ત એટલા માટે અપનાવે છે જેથી તેમને અસ્પૃશ્યતાનો સામનો ન કરવો પડે.
સુપ્રીમ કોર્ટે પણ થોડા સમય પહેલા આ અંગે સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે, જો કોઈ ખ્રિસ્તી કે મુસ્લિમ વ્યક્તિ ફક્ત અનામતનો લાભ મેળવવા માટે પોતાનો ધર્મ બદલે છે, તો તે બંધારણ સાથે વિશ્વાસઘાત હશે. તેથી જો તે SC દરજ્જો મેળવવા માંગતો હોય તો, તેને વિશ્વસનીય પ્રમાણપત્ર અને સમુદાયની સ્વીકૃતિની જરૂર પડશે.