NATIONAL

વેંકટેશ્વર મંદિરમાં નાસભાગ, 10 શ્રદ્ધાળુઓના મોત

આંધ્ર પ્રદેશના શ્રીકાકુલમ જિલ્લામાં આવેલા વેંકટેશ્વર સ્વામી મંદિરમાં નાસભાગ થતા 10 લોકોનાં મોત થયા છે. તેમજ અનેક લોકો ઘાયલ થયા હોવાના સમાચાર છે.

આંધ્રપ્રદેશના શ્રીકાકુલમ જિલ્લામાં આવેલા કાશિબુગ્ગા વેંકટેશ્વર મંદિરમાં શનિવારે સવારે દર્શન દરમિયાન મચેલી નાસભાગમાં 10 શ્રદ્ધાળુઓનાં મોત થયા છે. આ દુર્ઘટના ત્યારે થઈ જ્યારે મોટી સંખ્યામાં લોકો ભગવાન વેંકટેશ્વરના વાર્ષિક ઉત્સવમાં ભાગ લેવા માટે પહોંચ્યા હતા. રાજ્ય સરકાર પાસેથી મળતી માહિતી મુજબ અચાનક ભીડ વધી જવાના કારણે અફરાતફરી મચી ગઈ હતી. જેના કારણે ઘણા લોકો દબાઈ ગયા. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

કાર્તિક માસની એકાદશીના પાવન અવસરે મંદિરમાં દર્શન માટે શ્રદ્ધાળુઓની ભારે ભીડ એકઠી થઈ હતી, જેના કારણે આ દુર્ઘટના બની. પ્રાથમિક જાણકારી અનુસાર, મંદિરના પ્રવેશ દ્વાર પાસે અચાનક ભીડ વધી ગઈ હતી. આ ભીડને કારણે લોકોમાં અફરાતફરી મચી ગઈ અને ભાગદોડની પરિસ્થિતિ ઊભી થઈ. આ ભાગદોડમાં અનેક લોકો નીચે પડી ગયા અને અન્ય લોકો તેમના પર ચઢતા ગયા, જેમાં કારણે 10 લોકો મૃત્ય પામ્યા અને અનેક ઘાયલ થયા.

જાણ થતાં જ પ્રશાસને રાહત અને બચાવ કાર્ય શરૂ કર્યું. ઘાયલોને નજીકની સરકારી હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. આ મામલે પ્રત્યક્ષદર્શીઓનું કહેવું છે કે સવારથી જ મંદિરમાં ભીડ ખૂબ વધી ગઈ હતી અને પૂરતી સુરક્ષા વ્યવસ્થા ન હોવાને કારણે પરિસ્થિતિ બેકાબૂ બની જતા દુર્ઘટના સર્જાઈ હતી. સ્થાનિક પ્રશાસને આ દુર્ઘટનાની તપાસના આદેશ આપ્યા છે અને એ જાણવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કે ભીડ નિયંત્રણમાં ક્યાં ચૂક થઈ છે.

આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રાબાબુ નાયડુ આ ઘટના અંગે શોક વ્યક્ત કરતા X પર લખ્યું કે, ‘શ્રીકાકુલમ જિલ્લાના કાશિબુગ્ગામાં આવેલા વેંકટેશ્વર મંદિરમાં બનેલી ભાગદોડની ઘટના આઘાતજનક છે. આ દુ:ખદ ઘટનામાં શ્રદ્ધાળુઓનું મૃત્યુ થવું એ અત્યંત દુઃખદ છે. હું મૃતકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું. મેં અધિકારીઓને સૂચના આપી છે કે ઘાયલ થયેલા લોકોને ઝડપી અને યોગ્ય સારવાર પૂરી પાડવામાં આવે. તેમજ સ્થાનિક અધિકારીઓ અને જનપ્રતિનિધિઓને ઘટનાસ્થળની મુલાકાત લઈને રાહતનાં પગલાં પર દેખરેખ રાખવા પણ કહ્યું છે.’

Back to top button
error: Content is protected !!