સાગબારા તાલુકાના બોર્ડર વિલેજમાં રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ આંગણવાડી, બાલવાટિકાના ભૂલકાઓ અને શાળાના બાળકોને નામાંકન કરી શાળા પ્રવેશ કરાવશે,
સાગબારા તાલુકાના બોર્ડર વિલેજમાં રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ આંગણવાડી, બાલવાટિકાના ભૂલકાઓ અને શાળાના બાળકોને નામાંકન કરી શાળા પ્રવેશ કરાવશે,
વાત્સલ્ય સમાચાર
જેસીંગ વસાવા
જિલ્લા કલેકટર શ્વેતા તેવતિયા અને વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓની ટીમ દ્વારા ગઈકાલે અને આજે સાગબારા તાલુકાના બોર્ડર વિલેજના ગામોની મુલાકાત કરી સ્થળ વિઝીટ કરી જરૂરી વ્યવસ્થા અને ભૌતિક સુવિધાની ચકાસણી કરી હયાત રિસોર્સ અંગે સ્થળ પર સમીક્ષા કરી સંબંધિત અધિકારીઓને મુખ્યમંત્રીના આગમન પૂર્વે જરૂરી પ્રોટોકોલ વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવા અપાયેલી સૂચના
સાગબારા તાલુકામાં પ્રથમ દિવસે નરવાડી અને ચીકાલી ગામની સ્થળ વિઝીટ કરી મુખ્યમંત્રીની સુરક્ષાને ધ્યાને રાખી બોર્ડર વિલેજના ગામની આખરી પસંદગીમાં આજે જાવલી ગામે ગ્રામસભા યોજી આખરી પસંદગી ઉતારી છે
ગુજરાત રાજ્યમાં આગામી ૧૨થી ૧૪મી જૂન-૨૦૨૩ દરમિયાન રાજ્યવ્યાપી શાળા પ્રવેશોત્સવ- ૨૦૨૩ યોજાશે. જેમાં માન. મુખ્યમંત્રી સહિત રાજ્યના મંત્રીશ્રીઓ, સચિવઓ અને ઉચ્ચ અધિકારીશ્રીઓ તથા પદાધિકારીઓ આ શાળા પ્રવેશોત્સવ અભિયાનમાં જોડાઈને આંગણવાડી, બાલવાટિકા તથા ધોરણ-૦૧માં પ્રવેશપાત્ર બાળકોને નામાંકન કરી શાળા પ્રવેશ કરાવશે. જેની કાર્ય યોજના અને આયોજન અમલવારી અંગે તંત્ર દ્વારા બેઠકો યોજીને પ્રવેશોત્સવ પૂર્વે તૈયારીઓ અને સમીક્ષાનો દોર શરૂ કર્યો છે. જેનો તાલુકા તેમજ ગ્રામ્ય લેવલે અમલ કરવામાં આવી રહ્યો છે. શિક્ષણ વિભાગ દ્વારા પણ આ અંગેની કવાયત હાથ ધરવામાં આવી હતી. જેમાં સાગબારા તાલુકાના જાવલી ગામની પસંદગી કરવામાં આવી છે. અને આજે સાંજે ગ્રામજનો સાથે સંવાદ અર્થે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લા કલેકટર શ્વેતા તેવતિયાના અધ્યક્ષ સ્થાને ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દૂધધારા ડેરી ભરૂચના ચેરમેનશ્રી અને ધારીખેડા સુગર ફેકટરીના ચેરમેન ઘનશ્યામભાઈ પટેલ, તાલુકા પંચાયતના પ્રમુખ રવિદાસ વસાવા, ગામના સરપંચ ચાંદભાઈ વસાવા, બીઆરસી કો-ઓર્ડીનેટર નાનસિંગભાઈ વસાવા સહિત સંબંધિત વિભાગના અમલીકરણ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
મુખ્ય મંત્રીના નર્મદા જિલ્લામાં આગમનની પૂર્વ તૈયારીના ભાગરૂપે આજે સાંજે જાવલી ગામની પ્રાથમિક શાળાના સંકુલમાં ગામલોકો અને વહીવટી તંત્રના અધિકારીઓની ઉપસ્થિતિમાં ગ્રામસભા યોજાઈ હતી. જેમાં ગામના વિકાસના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. ગામ લોકોએ જિલ્લા કલેકટર સમક્ષ ગામના વિદ્યાર્થીઓને તાલુકા મથક સુધી જવા માટે એસ.ટી. બસ, ગામમાં લાયબ્રેરી, યુવાનો માટે રમત ગમતનું મેદાન, આવાસ અને શૌચાલયની યોજનામાં બાકી રહી ગયેલા લાભાર્થીઓને સહાય મળે, સિકલસેલના નિદાન માટે જરૂરી મેડિકલ સુવિધા ઉપલબ્ધ થાય અને આગજનીના સમયમાં ફાયર બ્રિગેડની સુવિધા સરળતાથી મળી રહે તેવી માંગણી ગામલોકો દ્વારા કરવામાં આવી હતી. ગામલોકોની આ માગણીઓ સાંભળી બનતી ત્વરાએ યોગ્ય કાર્યવાહી કરવા જિલ્લા કલેકટરએ ખાતરી આપી જરૂરી માર્ગદર્શન પુરુ પાડ્યું હતું. આ તબક્કે દૂધધારા ડેરીના ચેરમેનશ્રી અને ધારીખેડા સુગર ફેકટરીના ચેરમેન ઘનશ્યામભાઈ પટેલે પણ ગામ લોકોને તેમની માગણીઓનું યોગ્ય નિરાકરણ લાવવા માટે આશ્વાસન પુરૂં પાડ્યું હતું.
એસ્પિરેશનલ નર્મદા જિલ્લાના બોર્ડર વિલેજના ગામોમાં બાળકોને શાળા પ્રવેશોત્સવ કરાવવા માટે રાજ્યના માન. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ નર્મદા જિલ્લામાં પધારનાર હોય આગામી ૧૩મી જૂને તેઓ નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના મહારાષ્ટ્રની બોર્ડરના ગામ જાવલી ખાતે એક દિવસીય શાળા પ્રવેશોત્સવમાં આંગણવાડીના ભુલકાંઓ, બાલવાટિકા તેમજ પ્રાથમિક શાળાના બાળકોને શાળા પ્રવેશ કરાવશે તેમજ એસએમ. સી. ના સભ્યો સાથે બેઠક યોજશે અને સરકારી માધ્યમિક શાળા જાવલી ખાતે ગ્રામજનો સાથે વાર્તાલાપ પણ કરશે. સાથે આંગણવાડીના વિકાસના કામોનું ભૂમિપૂજન કરશે અને ગામની શાળાની કમ્પ્યુટર લેબનું ઉદઘાટન પણ કરશે. બાદમાં શાળામાં ઉપલબ્ધ કરાવવામાં આવેલી ભૌતિક સુવિધાઓનું નિરીક્ષણ કરી મૂલ્યાંકન કરશે. શાળા પ્રવેશોત્સવના પેરામીટર્સને ચકાસશે તેમજ સમગ્રતયા શાળાનું મુલ્યાંકન કરશે અને શાળાના પટાંગણમાં વૃક્ષારોપણ પણ કરશે.
માન. મુખ્યમંત્રીના નર્મદા જિલ્લાના એક દિવસીય શાળા પ્રવેશોત્સવની મુલાકાત સંદર્ભે જિલ્લા કલેકટર શ્વેતા તેવતિયા દ્વારા ગઈકાલે સાગબારા તાલુકાના બોર્ડર વિલેજ નરવાડી અને ચીકાલી ગામની જિલ્લાના વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ અને શિક્ષણ વિભાગના અધિકારીઓ તથા જિલ્લાના સંબંધિત વિભાગના અધિકારીઓ દ્વારા સંયુક્ત સ્થળ વિઝીટ કરવામાં આવી હતી. અને શાળામાં ભૌતિક ચકાસણી, સભાસ્થળ, કાર્યક્રમની રૂપરેખા અંગેના આગોતરા આયોજન અંગે શાળાના આચાર્ય, ગ્રામ પંચાયતના સરપંચ અને ગામના અગ્રણીઓ સાથે વાર્તાલાપ કરવામાં આવ્યો હતો. અને હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર તથા આંગણવાડીની રૂબરૂ મુલાકાત કરી સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. ચકાસણી અને પરામર્શના અંતે સાગબારા તાલુકાના જાવલી ગામની મુખ્યમંત્રીના કાર્યક્રમ માટે પસંદગી કરવામાં આવી છે. મુખ્યમંત્રીની સુરક્ષા, સુગમતાને ધ્યાને રાખી બોર્ડર વિલેજના ગામોની વધુ તપાસ અને સુગમતા રહે તે અંગે આજે તા. ૦૮/૦૬/૨૦૨૩ના રોજ જાવલી ગામને પસંદ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ સુંદર અને યાદગાર બની રહે તે માટે સૌ અધિકારીઓને અપીલ કરવામાં આવી હતી.
આ સંયુક્ત મુલાકાત વેળાએ જિલ્લા પોલીસવડાશ્રી પ્રશાંત સુંબે, જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ, પ્રાયોજના વહીવટદાર હનુલ ચૌધરી, નાયબ વન સંરક્ષ નીરજકુમાર(જનરલ) અને શ્રી મિતેશભાઇ પટેલ(સામાજિક વનીકરણ), જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી જે. કે. જાદવ, ઇન્ચાર્જ પ્રાંત અધિકારી અને નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી સુશ્રી જીજ્ઞા દલાલ, જિલ્લા શિક્ષણાધિકારી એમ.સી.ભૂસારા અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી જયેશ પટેલ, જિલ્લા અને તાલુકા આરોગ્ય વિભાગના અધિકારીઓ, માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર, નાયબ પોલીસ અધિક્ષકઓ, મામલતદાર-તાલુકા વિકાસ અધિકારી અને જિલ્લાના અન્ય વિભાગના અધિકારીઓ બીજા દિવસે પણ સ્થળ પર ઉપસ્થિત રહ્યા હતા. અને ગ્રામસભામાં ઉત્સાહભેર મોટી સંખ્યામાં ગ્રામજનો-મહિલાઓ હાજર રહ્યાં હતાં.