14 એપ્રિલ વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા જિલ્લા બ્યુરો
શ્રી પાંત્રીસી ઔદિચ્ય સહસ્ર બ્રહ્મસમાજની શૈક્ષણિક વિકાસ સમિતિ દ્વારા જ્ઞાતિના જિજ્ઞાસુઓ માટે જ્યોતિષ શાસ્ત્રનો વર્ગ પ્રારંભ કરવામાં આવ્યો છે. દર શનિવારે રાત્રે 7થી 10 વાગ્યા સુધી ડિસેમ્બર, 2023થી ચાલતા આ વર્ગમાં સમાજના જ પ્રતિષ્ઠિત અગ્રણી તથા અનન્ય જ્યોતિષ વાળા શ્રી જગદીશચંદ્ર પી. મહેતા ગુરુજી તરીકે પોતાની નિ:શુલ્ક સેવા આપી રહ્યા છે. ઉક્ત વર્ગમાં જ્યોતિષને સંબંધિત ગણિત, ફળાદેશ, મુહૂર્ત શાસ્ત્ર વગેરેનો તો તલસ્પર્શી અભ્યાસ કરાવવામાં આવે જ છે પણ અન્ય સંબદ્ધ ક્ષેત્રો જેવાં કે વાસ્તુશાસ્ત્ર, હસ્તરેખા વિજ્ઞાન વગેરે અંગે પણ વિશેષ સત્રોનું આયોજન કરવામાં આવે છે જેથી ભવિષ્યમાં સમાજને મળનારા જ્યોતિષીઓ સર્વ રીતે સુસજ્જ હોય. ગત માસે વાસ્તુ શાસ્ત્રી શ્રી વનરાજભાઈ પંડ્યાના વાસ્તુ વિષયક વ્યાખ્યાનની અભૂતપૂર્વ સફળતા પછી આ મહિને ગુજરાતના સુપ્રતિષ્ઠિત હસ્તરેખા શાસ્ત્રી શ્રી આર. જી. શુક્લ સરનું હસ્તરેખા વિજ્ઞાન ઉપર વ્યાખ્યાન અને માર્ગદર્શન ગોઠવવામાં આવ્યું હતું. આમ તો જ્યોતિષ વર્ગ સમાજના કાશીબા સાંસ્કૃતિક ભવન ખાતે જ ચાલે છે પણ આજના વિશેષ વર્ગનું આયોજન જિલ્લાની જાણીતી શૈક્ષણિક સંસ્થા ડીવાઈન ટચ ઇન્ટરનેશનલ સ્કૂલ, આબુ હાઇવે, પાલનપુર ખાતે કરવામાં આવ્યું હતું. આજના વિશેષ સત્રના લાભાર્થી તરીકે માત્ર જ્યોતિષ વર્ગના નિયમિત વિદ્યાર્થીઓ જ નહિ, પરંતુ પાં. ઔ. સ. બ્રહ્મસમાજની વિવિધ સંસ્થાઓના પદાધિકારીઓ પણ આમંત્રિત હતા. સૌ વિદ્યાર્થીઓ અને આમંત્રિતોનું તિલક અને પુષ્પવૃષ્ટિથી સ્વાગત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ બરાબર પોણા સાત વાગ્યે પ્રાર્થનાથી પ્રારંભ કરાયો. શૈક્ષણિક વિકાસ સમિતિના પ્રમુખ શ્રી નરેન્દ્રભાઇ રાજગોર દ્વારા સ્વાગત પ્રવચન બાદ, યજમાન સંસ્થાના ટ્રસ્ટી શ્રી ગજેન્દ્રભાઈ જોષી દ્વારા પણ સ્વાગત પ્રવચન કરવામાં આવ્યું. જ્યોતિષ વર્ગના પ્રધાનાચાર્ય ગુરુ શ્રી જગદીશભાઈ મહેતા સાહેબે આવનાર વિદ્વાન શ્રી આર. જી. શુક્લ સરનો વિશેષ પરિચય આપી પ્રાસ્તાવિક પ્રવચન કર્યું હતું. ત્યારબાદ સમાજના પદાધિકારીશ્રીઓ દ્વારા આજના અતિથિ શ્રી શુક્લ સાહેબનું તથા આજના યજમાન શ્રી ગજેન્દ્રભાઇનું હાર, ખેસ તથા પુષ્પગુચ્છથી સન્માન કરાયું હતું. સ્વાગત સન્માન વિધિ પૂર્ણ થતાં શ્રી શુક્લ સાહેબે પોતાનું હસ્તરેખા વિજ્ઞાનની પાયાની સંકલ્પનાઓ તથા સિદ્ધાંતોને બહુ જ સરળ શૈલીમાં સમજાવતું વ્યાખ્યાન આપ્યું હતું. બરાબર પોણા નવ વાગ્યે ભોજન માટે વિશ્રાંતિ અપાઈ હતી જેમાં સૌ કોઈએ ભાવતાં ભોજન કરી પુનઃ સવા નવ વાગ્યે દ્વિતીય સત્ર માટે ગોઠવાઈ ગયા હતા. શ્રી શુક્લ સાહેબે પોતાના અગાઉના વ્યાખ્યાનનું અનુસંધાન સાધી આગળ ઊંડાણમાં જ્ઞાન આપ્યું હતું. કાર્યક્રમના અંત ભાગમાં કૃતજ્ઞતા જ્ઞાપન એવં સન્માનપત્ર આપી શ્રી શુક્લ સાહેબને સન્માનિત કરવામાં આવ્યા હતા. સમાજના નીચે મુજબના અગ્રણીઓ આ કાર્યક્રમમાં પૂર્ણ સમય ઉપસ્થિત હતા.શ્રી અમૃતલાલ એલ. રાવલ, પ્રમુખશ્રી,શ્રી અમૃતલાલ એમ. પંડ્યા, ઉપપ્રમુખશ્રી,શ્રી પ્રબોધભાઈ જી. વ્યાસ, મંત્રીશ્રી,શ્રી કનૈયાલાલ ત્રિવેદી એમ. ડી. શ્રી,શ્રી કનૈયાલાલ સી. જોષી, ડીંડરોલ, ટ્રસ્ટીશ્રી,શ્રી ભીખાલાલ એમ. રાવલ,શ્રી મહેન્દ્રભાઈ વ્યાસ,શ્રી રમેશચંદ્ર એમ. પંડ્યા,શ્રી અશોકભાઈ પી. દવે,શ્રી લલિતભાઈ વી. વ્યાસ,શ્રી હિતેશભાઈ પી. મહેતા. આ સૌએ જ્યોતિષ વર્ગની ઉત્કૃષ્ટ કામગીરીને બિરદાવી પૂર્ણ સંતોષ વ્યક્ત કર્યો હતો. શ્રી કનૈયાલાલ સી. જોશીએ જ્યોતિષ વર્ગને રૂપિયા 11000/- નું રોકડ દાન આપ્યું હતું. શ્રી દીપકભાઈ જોષીએ ઋણ સ્વીકાર વિધિ કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી ભાસ્કરભાઈ રાવલે કર્યું હતું.સમગ્ર કાર્યક્રમને સંપૂર્ણ સફળ બનાવવા માટે આયોજન અને અમલીકરણમાં જ્યોતિષ વર્ગ પ્રબંધન સમિતિ ઉપરાંત ડીવાઈન ટચ ઇન્ટર નેશનલ સ્કૂલ પરિવારનાં હાર્દિકભાઈ જોષી, અવનીબેન જોષી, સંસ્કાર જોષી,હર્ષ મહેતા,કો♥કિલાબેન જોષી, સ્પંદન જોષી, વિશાખાબેન જોષી વગેરેએ પણ ખૂબ સહયોગ કર્યો હતો.