
આસીફ લુણાવાડા
પોલીયો નાબૂદી અભિયાન અંતર્ગત મહીસાગર જિલ્લામાં ૫ વર્ષ સુધીના ૧ .૪૫ લાખ બાળકોને પીવડાવાશે પોલીયોના બે ટીપાં
મહીસાગર જિલ્લા કલેક્ટર નેહાકુમારીએ લુણાવાડા અર્બન હેલ્થ ખાતેથી કરાવ્યો પોલિયો રસીકરણ અભિયાનનો આરંભ
રાજ્ય સરકારના આરોગ્ય અને પરીવાર કલ્યાણ વિભાગ – દ્વારા સમગ્ર રાજ્યની સાથે મહીસાગર જિલ્લામાં ૦ થી ૫ વર્ષ ના બાળકોને પોલીયોના બે ટીપા પીવડાવવાની ૨૩ જૂન થી ૨૫ જૂન ત્રિદિવસીય ઝુંબેશની શરૂઆત થઈ છે ત્યારે કલેકટર નેહા કુમારીએ લુણાવાડા અર્બન હેલ્થ સેન્ટરના પોલિયો બૂથ પર બાળકોને પોલીયોના બે ટીપા પીવડાવી શુભારંભ કરાવ્યો છે.
આ ત્રી-દિવસીય ઝુંબેશ દરમિયાન મહીસાગર જિલ્લાના કુલ ૧ .૪૫ લાખ કરતા વધુ બાળકોને જિલ્લાના આરોગ્ય કર્મીઓ દ્વારા પોલીયોના બે ટીપા પીવડાવવામાં આવશે.જેમાં મહીસાગર જિલ્લામાં પ્રથમ દિવસે ૬૪૦ બુથ પર પોલીયોના ટીપા પીવડાવવામાં આવશે. ૨૪ જૂન અને ૨૫ જૂન ના દિવસે બાકી રહેલ બાળકોને મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર, ફીમેલ હેલ્થ વર્કર, સી.એચ.ઓ., આશા બહેન તેમજ આશા ફેસિલેટર અને આઈ.સી.ડી.એસ. ના આંગણવાડી બહેનોની કુલ ૧૨૮૦ જેટલી ટીમ દ્વારા ઘરે ઘરે જઈને પોલીયોના બે ટીપા પીવડાવવામાં આવશે. જિલ્લા કલેકટરેએ ૦ થી ૫ વર્ષ ના બાળકોના વાલીઓને નજીકના પોલિયો બૂથ પર જઈ “ દો બુંદ જિંદગી કી” પોલિયોના બે ટીપાં પીવડાવી ભારતને પોલિયો મુક્ત બનાવી રાખવાના અભિયાનમાં જોડાવવા અપીલ કરી હતી.
આ પ્રસંગે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી , અધિક જિલ્લા આરોગ્ય અધિકારી , તાલુકા આરોગ્ય અધિકારી ,આયુષ મેડિકલ ઓફિસર તેમજ આરોગ્યકર્મીઑ ઉપસ્થિત રહ્યા હતા




