ગોધરામાં આવેલી જય જલારામ ઈન્ટરનેશનલ સ્કૂલ જ સમગ્ર નીટ પેપર લીક કૌભાંડનું એપી સેન્ટર

ગોધરામાં આવેલી જય જલારામ ઈન્ટરનેશનલ સ્કૂલ જ સમગ્ર નીટ પેપર લીક કૌભાંડનું એપી સેન્ટર છે. એટલું જ નહીં, નીટની પરીક્ષામાં પાસ કરવાના હેતુથી ચોક્કસ પરીક્ષાર્થીઓ પાસે એડવાન્સમાં નાણાં અને ચેક લેવામાં આવ્યા હતાં. જો સમગ્ર પ્રકરણમાં નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તો ઘણી ચોંકાવનારી વિગતો બહાર આવી શકે છે.
ગોધરાની સ્કૂલમાંથી NEET પેપર લીક કૌભાંડનો મામલો છેક કોર્ટ સુધી પહોંચ્યો છે. ત્યારે અત્યાર સુધી રાજ્ય અને કેન્દ્ર સરકારે સબ સલામત હે ના રટણ રટ્યા હતાં. જો કે, આ કૌભાંડની તપાસ કરનારાં ડીવાયએસપીની તપાસની એફિડેવિટમાં ચોંકાવનારી વિગતોનો ઘટસ્ફોટ થયો છે કે, નીટની પરિક્ષામાં વિદ્યાર્થીઓને સારા ટકા મેળવવા માટે સુવ્યવસ્થિત રીતે કૌભાંડ આચરવામાં આવ્યુ છે.
એવી પણ માહિતી બહાર આવી છે કે, વિદ્યાર્થીઓને જલારામ સ્કૂલના સંચાલકોએ એવી સૂચના આપી હતી કે, જે જવાબ આવડે તેના પર ટીક કરજો. પણ જે પ્રશ્નનો જવાબ ન આવડે તે જગ્યા ખાલી રાખજો. સાથે સાથે વિદ્યાર્થીઓ પાસેથી કોરા ચેક અને 10 લાખ રૂપિયા એડવાન્સમાં લેવાયા હતાં.
પરીક્ષામાં ચોક્કસ વિદ્યાર્થીઓને એવી સૂચનામાં આપવામાં આવી હતી કે, પરીક્ષા માટે સેન્ટર પસંદ કરવાનું ઓપ્શન અપાય તો તેમાં ગોધરામાં જય જલારામ સ્કૂલ ગુજરાતી મિડીયમ સેન્ટર જોઈએ તેની માંગ કરવી. આ કારણોસર ચોક્કસ વિદ્યાર્થીઓએ જલારામ સ્કૂલનુ પરીક્ષા સેન્ટર પસંદ કર્યું હતું.
કૌભાંડીઓ દ્વારા વિદ્યાર્થીઓના વાલીઓને ખાતરી અપાઈ હતી કે, જો વિદ્યાર્થીને નીટની પરીક્ષામાં સારા ટકા આવે અને મેડિકલમાં એડમિશન મળી જાય પછી જ કોરા ચેકમાં રકમ ભરવામાં આવશે.
જય જલારામ સ્કૂલના આચાર્ય પરષોતમ મહાવીર પ્રસાદ શર્મા અને શિક્ષક તુષાર ભટ્ટે પરીક્ષાની ગેરરીતીમાં અહમ ભૂમિકા ભજવી છે. આ બંને જણાએ પ્રશ્નપત્રમાં જવાબો લખી બોક્સમાં સીલ કરી દીધા હતા. એવો આક્ષેપ મૂકાયો છે કે, જય જલારામ સ્કૂલના સંચાલકોને ભાજપના નેતાઓ સાથે રાજકીય ઘરોબો રહ્યો છે. જેની તસવીરો પણ સામે આવી છે. મહત્ત્વની વાત એ છે કે, જય જલારામ સ્કૂલના ટ્રસ્ટી દિક્ષિત પટેલની હજુ સુધી પૂછપરછ કરવામાં આવી નથી જે શંકાને પ્રેરે છે.








