જન્મ આપનાર માતાના સ્મરણમાં એક વૃક્ષનુ વાવેતર અચૂક કરીએ: જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી હરેશભાઈ ઠુંમર
જિલ્લા કક્ષાના વન મહોત્સવમાં એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત વૃક્ષ વાવેતર અને જતન માટે આહવાન
જૂનાગઢ તા.૧૩ મેંદરડાના માનપુર ખાતે ૭૫માં વન મહોત્સવની જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી હરેશભાઈ ઠુંમરની અધ્યક્ષતામાં ઉજવણી કરવામાં આવી હતી. એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત જિલ્લા પંચાયતના પ્રમુખશ્રીએ જન્મ આપનાર માતાના સ્મરણમાં એક વૃક્ષનુ અચૂક વાવેતર કરવા માટે અનુરોધ કર્યો હતો.
માનપુરના આલ્ફા વિદ્યા સંકુલ ખાતે જિલ્લા કક્ષાના આ કાર્યક્રમમાં શ્રી હરેશભાઈ ઠુંમરે જણાવ્યું કે, છોડમાં રણછોડ એટલે કે વૃક્ષમાં પણ પરમાત્માનો વાસ છે, તેવુ માનનાર ઉજળી ભારતીય સંસ્કૃતિ છે, વૃક્ષો ગુણોનો ભંડાર છે, ફળ-ફૂલ આપવાની સાથે પશુ-પક્ષીઓને છાયડો આપે છે, વૃક્ષો પ્રાણવાયુ ઓક્સીજન આપે છે, તેના વાવેતરથી વરસાદ આવે છે અને તેથી જ ધરતી હરિયાળી રહે છે. ઔષધીય વૃક્ષો આરોગ્ય બક્ષે છે. આમ, વૃક્ષો આપણી સંસ્કૃતિ અને ધર્મ સાથે અતૂટ રીતે વણાયેલા છે. ત્યારે સાચા અર્થમાં પ્રકૃતિ અને પર્યાવરણ પ્રેમી બની વૃક્ષ વાવેતર પહેલમાં આપણે અગ્રસર બનીએ. તેમ તેમણે જણાવ્યું હતું.
આ પ્રંસગે મુખ્ય વન સંરક્ષક શ્રી કે. રમેશે અને આઈએફએસ શ્રી વિકાસ યાદવએ શાબ્દિક સ્વાગત કરતા વૃક્ષ વાવેતર અને જતનનુ મહત્વ સમજાવ્યું હતું અને એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત વૃક્ષ વાવેતર અને જતન માટે આહવાન કર્યું હતું.
આ કાર્યક્રમની શરૂઆતમાં આલ્ફા વિદ્યા સંકુલના વિદ્યાર્થીઓ દ્વારા સ્વાગત ગીત રજુ કરવામાં આવ્યું હતુ. મહાનુભાવોનું સ્વાગત તુલસીના રોપા આપી કરવામાં આવ્યું હતુ. ઉપરાંત ” એક પેડ માં કે નામ ” ટૂંકી ફીલ્મ દ્વારા આ અભિયાનથી અવગત કરવામાં આવ્યાં હતા.
આ કાર્યક્રમમાં સમારંભના અતિથિ વિશેષ તરીકે ધારાસભ્ય શ્રી દેવાભાઈ માલમ, આસિસ્ટંટ કલેક્ટર ઐશ્વર્યા દૂબે, આલ્ફા વિદ્યાસંકુલના ટ્રસ્ટી શ્રી જીગ્નેશ નકુમ આચાર્યશ્રી શ્રી સુરસિંહ ઝાલા, વંદે માતરમ્ સેવા સમિતિ મંત્રી શ્રી મોહનભાઇ મુછડીયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
રેન્જ ફોરેસ્ટ ઓફિસર શ્રી ડી.એમ.કાગડાએ આભાર વિધિ કરી હતી. કાર્યક્રમના અંતમાં મહાનુભાવાએ બોરસલી,પી૫ળ, પ્રાગવડ, પારસ પી૫ળો,પુત્રમજીવા, વડ, પી૫ળો, સેમળો, બીલી વગેરે વૃક્ષોનું વાવેતર કર્યું હતુ. અને વૃક્ષ રથને મહાનુભાવોએ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ કાર્યક્રમનું સફળ સંચાલન આ કાર્યક્રમના નોડલ અધિકારી અને નાયબ વન સંરક્ષક શ્રી પ્રશાંતતોમર (IFS)એ કર્યું હતું.