સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત, રાજકીય પક્ષો હવે જાહેરમાં નહીં કરી શકે સભા કે રેલીઓ

ગુજરાતમાં આગામી 16 ફેબ્રુઆરીએ યોજાનાર સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત થયા છે. રાજકીય પક્ષો હવે જાહેરમાં પ્રચાર નહીં કરી શકે. વિગતો મુજબ હવે ઉમેદવારો ડોર ટૂ ડોર મતદાન માટે અપીલ કરી શકશે. નોંધનીય છે કે, રાજ્યમાં 16 ફેબ્રુઆરીએ 66 પાલિકા, ૩ તાલુકા પંચાયત અને એક મહાપાલિકાની ચૂંટણી યોજાઈ રહી છે. આ સાથે મતદાન પૂર્ણ થયા બાદ આગામી 18 ફેબ્રુઆરીએ મતગણતરી થશે. નોંધનીય છે કે, મતદાનના દિવસે શ્રમયોગી-કર્મચારીઓને સવેતન રજા આપવાની રહેશે.
રાજ્યની મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ, જિલ્લા પંચાયતો અને તાલુકા પંચાયતોની સામાન્ય/મધ્યસત્ર/પેટા ચૂંટણી અંતર્ગત મતદાનના દિવસે શ્રમયોગી-કર્મચારીઓને સવેતન રજા આપવાની રહેશે. રાજ્યમાં આગામી 16 ફેબ્રુઆરીએ રવિવારના રોજ સવારના 7:00 વાગ્યાથી સાંજના 6:00 વાગ્યા સુધી મતદાન યોજાનાર છે. આ દિવસે જે તે વિસ્તારમાં ગુજરાત શોપ્સ એન્ડ એસ્ટાબ્લીશમેન્ટસ (રેગ્યુલેશન ઓફ એમ્પ્લોયમેન્ટ એન્ડ કંડીશન્સ ઓફ સર્વિસ) એકટ-2019 હેઠળ નોંધાયેલ સંસ્થાઓના શ્રમયોગીઓ-કર્મચારીઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે ચૂંટણી હેઠળના સમગ્ર વિસ્તારમાં વૈકલ્પિક વ્યવસ્થા તરીકે આવા કર્મચારી- કામદારોને મતદાન માટે વારાફરતી ત્રણ કલાકની ખાસ રજા આપવામાં આવે અથવા જે દિવસે અઠવાડિક રજા હોય તે દિવસે સંસ્થાઓ ચાલુ રાખીને અવેજીમાં કે બદલીમાં મતદાનના દિવસે રજા આપવામાં આવે તેવી વ્યવસ્થા કરવાની રહેશે..
સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓની સામાન્ય/મધ્યસત્ર /પેટા ચૂંટણીઓમાં રાજ્ય ચૂંટણી આયોગની સુચના મુજબ નગરપાલિકા સામાન્ય ચૂંટણીઓ માટે મતદારો સવારના 7:00 વાગ્યાથી સાંજના 6:00 વાગ્યા સુધી મતદાન કરી શકશે. મતદારો ઓળખ માટે ચૂંટણી કાર્ડ ઉપરાંત અન્ય 12 વૈકલ્પિક દસ્તાવેજોથી પણ મતદાન કરી શકાશે. આ દસ્તાવેજોમાં આધાર કાર્ડ, મનરેગા હેઠળ આપવામાં આવતા જોબ કાર્ડ, બેંક/પોસ્ટ ઓફિસ તરફથી આપવામાં આવતી ફોટોગ્રાફ સાથેની પાસબુક, શ્રમ મંત્રાલયની યોજના હેઠળ આપવામાં આવેલ હેલ્થ ઇન્સ્યોરન્સ સ્માર્ટ કાર્ડ, ડ્રાઇવીંગ લાયસન્સ, પાનકાર્ડ, એન.પી.આર અન્વયે આર.જી.આઇ દ્વારા ઇસ્યુ કરેલ સ્માર્ટ કાર્ડ, ઇન્ડિયન પાસપોર્ટ, ફોટોગ્રાફ સાથેના પેન્શન ડોક્યુમેંટ, કેન્દ્ર/રાજય સરકાર/જાહેર ક્ષેત્ર ઉપક્રમો/જાહેર લિમિટેડ કંપનીઓએ કર્મચારીઓને ઇસ્યુ કરેલા ફોટોગ્રાફ સાથેના સર્વિસ ઓળખપત્રો, સંસદસભ્યો/ધારાસભ્યો/વિધાન પરિષદના સભ્યોને ઇસ્યુ કરેલા સરકારી ઓળખપત્રો અને ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય દ્વારા ઇસ્યુ કરેલ Unique Disability ID(UDID) કાર્ડ, ફોટો સાથેના હથિયારોના લાયસન્સ (ચૂંટણીની તારીખથી એક માસ પહેલાં ઈસ્યુ થયેલા), સક્ષમ અધિકારી દ્વારા આપવામાં આવેલા દિવ્યાંગનું ફોટા સાથેનું પ્રમાણપત્ર (ચૂંટણીની તારીખથી એક માસ પહેલા ઈસ્યુ થયેલા),નો સમાવેશ થાય છે, કર્મચારી રાજય વીમા યોજના (ESI) હેઠળ આપવામાં આવેલા ફોટા સાથેનું ઓળખકાર્ડ રજૂ કરી મતદાન કરી શકાશે. ઉલ્લેખનીય છે કે, મતદાન મથક અને મતગણતરી કેન્દ્ર ખાતે સેલ્યુલર ફોન, કોર્ડલેસ ફોન, વાયરલેસ, મોબાઈલ ફોન સાથે પ્રવેશવા તથા તેના ઉપયોગ પર પ્રતિબંધ મુકાયો છે, કોઈ પણ વ્યક્તિ મતદાન મથકોએ ફોન સાથે પ્રવેશ કરી શકશે નહીં.
રાજ્ય ચૂંટણી આયોગે રાજ્યમાં જૂનાગઢ મહાનગરપાલિકા, 68 નગરપાલિકાઓ, ગાંધીનગર, કઠલાલ, કપડવંજ તાલુકા પંચાયતોની સામાન્ય/ મધ્યસત્ર તથા સ્વરાજ્યના એકમોની પ્રસંગોપાત ખાલી પડેલ બેઠકોની પેટા ચૂંટણીઓ તા.16-02-2025ના રોજ યોજવા તા.21-01-2025ના રોજ કાર્યક્રમ જાહેર કરેલ છે. તા.01-02-2025 સુધી સ્થાનિક સ્વરાજ્યના ચૂંટણી હેઠળના તમામ એકમો માટે કુલ 7036 ઉમેદવારી પત્રો રજૂ થયેલ હતા તે પૈકી 1261 અમાન્ય તેમજ 5775 ઉમેદવારી પત્રો માન્ય રહેલ છે. 478 ઉમેદવારોએ ઉમેદવારી પત્રો પરત ખેંચેલ છે. કુલ 213 બેઠકો બિનહરીફ થયેલ છે, તેમજ હરિફાઇ હેઠળની બેઠકો માટે કુલ 5084 ઉમેદવારો હરિફાઇમાં છે.
જૂનાગઢ મહાનગરપાલિકાના 15 વોર્ડોની કુલ 60 બેઠકો પૈકી વોર્ડ નં.3 તથા 14 (કુલ 8 બેઠકો) સંપૂર્ણ બિનહરીફ થયેલ છે બાકીના વોર્ડોની પર( બાવન) બેઠકો પર ચૂંટણી યોજાનાર છે. આ માટે કુલ 157 ઉમેદવારો હરીફાઇમાં રહેલ છે. અમદાવાદ મહાનગરપાલિકાના વોર્ડ નં.7 (સામાન્ય), ભાવનગર મહાનગરપાલિકાના વોર્ડ નં.3 (સામાન્ય) તથા સુરત મહાનગરપાલિકાના વોર્ડ નં.18( પછાતવર્ગ) ની પેટા ચૂંટણી હેઠળની ત્રણ બેઠકો પર ચૂંટણી યોજાનાર છે. આ બેઠકો માટે કુલ 17 ઉમેદવારો હરીફાઇમાં છે. સામાન્ય ચૂંટણી હેઠળની 66 નગરપાલિકાઓના 461 વોર્ડ પૈકી 24 વોર્ડ સંપૂર્ણ બિનહરીફ થયેલ છે. કુલ 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ થયેલ છે જ્યારે 1677 બેઠકો પર ચૂંટણી યોજાનાર છે આ બેઠકો માટે કુલ 4374 ઉમેદવારો હરિફાઇમાં છે. મધ્યસત્ર ચૂંટણી હેઠળની બોટાદ અને વાંકાનેર નગરપાલિકાઓના 18 વોર્ડ પૈકી 4 વોર્ડ સંપૂર્ણ બિનહરીફ થયેલ છે. કુલ 72 બેઠકો પૈકી 23 બેઠકો બિનહરીફ થયેલ છે જ્યારે 49 બેઠકો પર ચૂંટણી યોજાનાર છે આ બેઠકો માટે 101 ઉમેદવારો હરિફાઇમાં છે.
નગરપાલિકાની પેટા ચૂંટણી હેઠળની 21 બેઠકો પૈકી 2 બેઠકો (મોરબી જિલ્લાની માળિયા મિયાણા નગરપાલિકાના વોર્ડ નં.2 તથા 5ની બેઠક) બિનહરીફ થયેલ છે. 19 બેઠકો પર ચૂંટણી યોજાનાર છે. આ બેઠકો માટે કુલ 45 ઉમેદવારો હરિફાઇમાં છે. જિલ્લા પંચાયતની પેટા ચૂંટણી હેઠળની 9 બેઠકો પૈકી 1 બેઠક (પંચમહાલ જિલ્લાની 29-શિવરાજપુર) બિનહરીફ થયેલ છે. 8 બેઠકો પર ચૂંટણી યોજાનાર છે. આ બેઠકો માટે 22 ઉમેદવારો હરિફાઇમાં છે. ગાંધીનગર, કઠલાલ તથા કપડવંજ તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી હેઠળના 78 મતદાર મંડળો માટે 178 ઉમેદવારો હરિફાઇમાં છે. તાલુકા પંચાયતની પેટા ચૂંટણી હેઠળની 91 બેઠકો પૈકી 12 બેઠકો બિનહરીફ થયેલ છે. હારીજ તાલુકા પંચાયતની 12-સાંકરા, બગસરા તાલુકા પંચાયતની 16-વાઘણીયાજુના પર ઉમેદવારી પત્રો ભરાયેલ ન હોય તેમજ બાબરા તાલુકા પંચાયતની 10-કરીયાણા બેઠક પર એક ઉમેદવારી પત્ર રજૂ થયેલ જે રદ થયેલ હોય ચૂંટણી યોજવાની થતી નથી. આ સિવાયની પેટા ચૂંટણી હેઠળની 76 બેઠકો પર ચૂંટણી યોજાનાર છે. આ બેઠકો માટે 190 ઉમેદવારો હરિફાઇમાં છે.





