Upleta: મોટી પાનેલી સ્થિત કે.જે.પટેલ હાઈસ્કૂલ ખાતે કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો

તા.૧૮/૨/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચારઆશરે ૩૦૦ વિદ્યાર્થીઓએ મેળવ્યો ઉજ્જવળ ભવિષ્યનો માર્ગ
Rajkot, Upleta: ગુજરાત સરકારે રાજ્યના બાળકોના શ્રેષ્ઠ ભાવિ માટે વિવિધ યોજનાઓ અમલીકરણમાં મૂકી છે. જે અન્વયે રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના મોટી પાનેલી ગામ સ્થિત કે.જે. પટેલ હાઈસ્કૂલ ખાતે પ્રાદેશિક માહિતી કચેરી રાજકોટ, રોજગાર કચેરી રાજકોટ અને વ્યવસાયિક સંસ્થા અમદાવાદ(રાયખડ)ના માર્ગદર્શન હેઠળ રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના સંયુક્ત ઉપક્રમે કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં કે.જે. પટેલ વિદ્યાલયના ધોરણ ૯ થી ૧૨ના એમ કુલ મળીને આશરે ૩૦૦ વિદ્યાર્થીઓએ મેળવી કારકિર્દીને ઉજાગર કરવા ઉજ્જ્વળ ભવિષ્યનો માર્ગ બતાવવામાં આવ્યો હતો.
પ્રાદેશિક માહિતી કચેરી રાજકોટના માહિતી મદદનીશશ્રી રિધ્ધિબેન ત્રિવેદીએ વિદ્યાર્થીઓને માહિતી ખાતાની કામગીરી તેમજ માહિતી ખાતા દ્વારા પ્રકાશિત થતા ગુજરાત પાક્ષિક, રોજગાર સમાચાર અને અન્ય પ્રકીર્ણ સાહિત્ય અંગેની માહિતી આપી હતી. અને બાળકોને સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગી સાહિત્ય અંગેની વિસ્તૃત જાણકારી આપી હતી. અને સ્કૂલની લાઇબ્રેરીને સમૃદ્ધ બનાવવા પ્રકીર્ણ સાહિત્યની ભેટ આપી હતી.
વિદ્યાર્થીઓ પોતાની આવડત અને કૌશલ્યને સાચી દિશા આપે તે માટે જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના શાળા સલાહકારશ્રી ભાવનાબેન ભોજાણીએ વિદ્યાર્થીઓને આત્મનિર્ભર બનવા માટે તેઓએ પોતાના રસના વિષયો પર વધુ કામ કરવા તેમજ જીવનમાં દરેક પરિસ્થિતિ સામે લડવા મજબુત મનોબળ રાખવા અનેક કિસ્સાઓના માધ્યમથી સમજાવ્યું હતું. વધુમાં તેઓએ શિક્ષણ, આત્મનિર્ભરતા અને કારકિર્દીના મહત્વ અંગે ખુબ જ ઊંડાણપૂર્વક વિદ્યાથીઓને સમજાવ્યું હતું. રમતગમત, વિજ્ઞાન, શિક્ષણ સહિતના ક્ષેત્રોમાં સંઘર્ષ કરીને સફળતા હાંસિલ કરેલા મહાનુભાવોના ઉદાહરણ આપીને ઉપસ્થિત સર્વેને પ્રેરિત કર્યા હતા.
આ તકે રોજગાર કચેરીના કરિયર કાઉન્સિલરશ્રી રાજેશભાઈ ચૌહાણે રોજગાર કચેરી વિદ્યાર્થીઓના ભાવિ કારકીર્દિને ઉજળી બનાવવા મદદરૂપ થાય તે તમામ પાસાઓનું વિસ્તૃત વર્ણન કર્યું હતું. ઉપરાંત, વિદ્યાથીઓએ પોતાનામાં રહેલા કૌશલ્યને જાણીને એ દિશામાં આગળ વધવું જોઈએ. ઊપરાંત, એમ્લોયમેન્ટ કાર્ડ કઢાવવાની પ્રક્રિયા અંગે જાણકારી આપી હતી.
રોજગાર કચેરીના પ્લેસમેન્ટ ઓફિસરશ્રી પ્રવીણભાઈએ જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓને શાળામાં થતી વિવિધ પ્રવૃતિઓમાં ભાગ લેવો જોઈએ. જેથી, જીવનમાં સૂઝબૂઝ અને ખેલદિલીની ભાવના કેળવાઈ છે. વિદ્યાર્થીકાળમાં ઉપયોગી શિસ્તતા, એકાગ્રતા અને લક્ષ્ય તરફ હંમેશા વળગીને કામ કરવા જણાવ્યું હતું.
આ તકે કે.જે. પટેલ હાઈસ્કૂલના શિક્ષકશ્રી લાખીબેન કંદોરિયા તથા અન્ય શિક્ષકશ્રીઓ સહિત બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.





