કાવી-કંબોઈના સ્તંભેશ્વર મહાદેવ મંદિરે મહાશિવરાત્રી:દિવસમાં બે વાર દરિયાના પાણીથી થાય છે શિવલિંગનો જળાભિષેક, હજારો ભક્તોની ભીડ

સમીર પટેલ, ભરૂચ
જંબુસર તાલુકાના કાવી-કંબોઈ ગામે આવેલા સ્તંભેશ્વર મહાદેવ મંદિરે મહાશિવરાત્રી નિમિત્તે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. દક્ષિણ ગુજરાતના મીની સોમનાથ તરીકે ઓળખાતા આ મંદિરની ખાસિયત એ છે કે અહીં દિવસમાં બે વખત દરિયાના પાણીથી શિવલિંગનો જળાભિષેક થાય છે.
દરિયા કિનારે આવેલા આ મંદિરમાં ભરતીના સમયે શિવલિંગ સંપૂર્ણપણે પાણીમાં ડૂબી જાય છે. ઓટના સમયે પાણી ઓસરતા જાણે સાક્ષાત શિવજી પ્રગટ થતા હોય તેવો અનુભવ ભક્તોને થાય છે. આ અદભુત પ્રાકૃતિક ઘટના જોવા માટે હજારો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે.
મહાશિવરાત્રીના અવસરે ગુજરાત અને અન્ય રાજ્યોમાંથી મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવ્યા હતા. મંદિરના મહંત વિદ્યાનંદજી મહારાજે ભક્તો માટે વિશેષ આયોજન કર્યું હતું. ભાતીગળ મેળામાં ભક્તોએ પૂજા-અર્ચના કરી મહાપ્રસાદ લીધો હતો.
સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા મેળાની વ્યવસ્થા કરવામાં આવી હતી. કાવી અને ગજેરા પીએચસી દ્વારા મેડિકલ સેવાઓ પૂરી પાડવામાં આવી હતી. કાવી પોલીસે સુરક્ષા વ્યવસ્થા સંભાળી હતી.




