
અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
અરવલ્લી જિલ્લા આરોગ્ય વિભાગની યશકલગીમાં વધુ ત્રણ મોરપીંછ ઉમેરાયા..! આયુષ્યમાન આરોગ્ય મંદિર પટેલઢુંઢા,બાંઠીવાડા,અને કસાણા ને NQAS પ્રમાણપત્ર એનાયત
અરવલ્લી જીલ્લાના વધુ ત્રણ આયુષ્યમાન આરોગ્ય મંદિરને પ્રમાણપત્ર એનાયત.

અરવલ્લી જીલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં સ્થિત વધુ ત્રણ આયુષ્યમાન આરોગ્ય મંદિર (પી.એચ.સી.) – પટેલઢુંઢા (89.10%), બાંઠીવાડા (89.03%) અને કસાણા (87.56%) ને નેશનલ ક્વોલિટી એશ્યોરન્સ સ્ટાન્ડર્ડ (NQAS) પ્રમાણપત્ર એનાયત થયું છે.

માહે-ફેબ્રુઆરી અને માર્ચ-૨૦૨૫ માં આયુષ્માન આરોગ્ય મંદિર (પી.એચ.સી.) ના દિલ્હીની એનએચએસઆરસીની ટીમ દ્વારા મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી, ડૉ.જયેશ એચ.પરમારના માર્ગદર્શન હેઠળ NQAS એસેસમેન્ટ કરાયું હતું. જેમાં આરોગ્ય કેન્દ્રો ખાતે સગર્ભા માતાની પ્રસૂતિ તથા પ્રસૂતિ પછીની સંભાળ, નવજાત શિશુની સારસંભાળ, રસીકરણ સહિત બાળ સંભાળ અને કિશોર કિશોરીની પૂરતી આરોગ્ય સેવાઓ, કુટુંબ કલ્યાણને લગતી સેવાઓ, રોગચાળા દરમિયાન આપવાની થતી સેવાઓ, રાષ્ટ્રીય આરોગ્ય કાર્યક્રમ તેમજ ઓપીડીની સેવાઓ, ડિલિવરીની સેવાઓ, તમામ આરોગ્યલક્ષી સેવાઓમાં ક્વોલિટીના તમામ માપદંડો ચકાસી મેઘરજ તાલુકાના આયુષ્માન આરોગ્ય મંદિર-પીએચસી પટેલઢુંઢા ને 89.10% ,આયુષ્યમાન આરોગ્ય મંદિર પીએચસી-બાંઠીવાડા ને 89.03% અને આયુષ્યમાન આરોગ્ય મંદિર-કસાણા પીએચસી ને 87.56% મૂલ્યાંકન સાથે અરવલ્લી જીલ્લાના આયુષ્યમાન આરોગ્ય મંદિરને નેશનલ લેવલનાં આ સર્ટિફિકેટ પ્રાપ્ત થયાં છે. જિલ્લા ક્વોલિટી મેડિકલ ઓફિસર ડૉ. રાજીવ બરંડા તેમજ તાલુકા આરોગ્ય અધિકારી ડૉ. એ.એ.બલાત અને મેડિકલ ઓફિસર,કોમ્યુનિટી હેલ્થ ઓફિસર સહિત કેન્દ્રના તમામ સ્ટાફ દ્વારા આરોગ્યની ગુણવત્તાસભર સેવાઓ ધ્યાને લઈ આ સિદ્ધિ મળી છે.



