Rajkot: રાજકોટ જિલ્લામાં “મનરેગા” યોજના અંતર્ગત રોજગારીનો લાભ લેવા શ્રમિકોને અનુરોધ

તા.૨૧/૪/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
મનરેગા’ના વ્યક્તિગત અને સામૂહિક કુલ ૩૫૦ તેમજ ૧૫૯ ગ્રામ પંચાયતમાં કામ પ્રગતિ હેઠળ: ૩૪૯૬ શ્રમિકોને રોજગારી સાથે આરોગ્ય તપાસ સહિતના લાભ
Rajkot: ગ્રામ્ય શ્રમિકોને રોજગારી મળે અને ગ્રામ્ય અર્થતંત્ર ધબકતું રહે તે માટે સરકારશ્રી દ્વારા મહાત્મા ગાંધી ગ્રામીણ રોજગાર યોજના – મનરેગા અંતર્ગત રાજકોટ જિલ્લાના તમામ તાલુકાના ગામોમાં કામનો પ્રારંભ કરવામાં આવી રહ્યો છે.
હાલમાં જિલ્લામાં “મનરેગા” યોજના હેઠળ વ્યક્તિગત અને સામૂહિક કુલ ૩૫૦ કામ તેમજ ૧૫૯ ગ્રામ પંચાયતમાં કામ ચાલી રહયા છે, જેમાં કુલ ૩૪૯૬ શ્રમિકો કામ કરી રહ્યા છે. પંચાયત તથા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા સામુહિક કામની જગ્યા પર હીટવેવના દિવસો દરમ્યાન શ્રમિકોને છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું.
સાઇટ પર શ્રમિકોના આરોગ્યની કાળજી પણ લેવામાં આવે છે. જયાં આરોગ્ય વિભાગ દ્વારા આરોગ્ય કેમ્પ યોજી શ્રમજીવીઓની આરોગ્ય તપાસ કરી, ઓ.આર.એસનું વિતરણ કરવામાં આવ્યું હતું. વધુને વધુ શ્રમિકોને “મનરેગા” યોજના અંતર્ગત ગ્રામ્યકક્ષાએ રોજગારીનો લાભ લેવા જિલ્લા વિકાસ અધિકારીશ્રી અનંદુ સુરેશ ગોવિંદ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. ઈચ્છુકોને તાલુકા પંચાયત કચેરી અથવા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી રાજકોટનો સંપર્ક કરવા નિયામકશ્રી એ.કે.વસ્તાણીની યાદીમાં જણાવાયું છે.






