Rajkot: ‘સંકલ્પસે સિદ્ધિ કી ઓર – સરદારધામ ભૂમિવંદના સમારોહ’ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે રાજકોટ ખાતે કણકોટ નજીક નિર્માણ પામનારા સરદારધામનું ભૂમિપૂજન કરાયું

તા.૨૭/૭/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
કણકોટ ખાતે અંદાજે રૂ. ૧૦૦ કરોડના ખર્ચે ૪૦ હજાર વાર જમીનમાં ભવ્ય ભવન નિર્માણ પામશે
સરદારધામનું નિર્માણ ઉચ્ચ સામાજિક દાયિત્વ છે, જેના નિર્માણ થકી ભવિષ્યની પેઢી જ્ઞાનના ક્ષેત્રે અવ્વલ શિખરો સર કરશે
સમાજના વિકાસમાં સમાજનો પ્રત્યેક નાગરિક સામેલ થાય તે સરકાર માટે આનંદની બાબત છે
સરદારધામ સમા વટવૃક્ષના નિર્માણથી આવનારી પેઢીને ઉત્તમ માર્ગદર્શન મળી રહેશે
પર્યાવરણ સુરક્ષાના અભિયાનો અને યોજનાઓ જનભાગીદારીથી જ સફળ થઈ શકશે
Rajkot: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આજે રાજકોટ તાલુકાના કણકોટ ગામ નજીક અંદાજે રૂ. ૧૦૦ કરોડના ખર્ચે નિર્માણ પામનારા ‘સરદારધામ’નું ભૂમિપૂજન કરાયું હતું.
આ નિમિત્તે હોટેલ રિજન્સી લગુન ખાતે યોજાયેલા કાર્યક્રમમાં સંબોધન કરતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશભરમાં સરદાર પટેલની ૧૫૦મી જન્મજયંતી ઉજવાઇ રહી છે, ત્યારે રાજકોટમાં નિર્માણ પામી રહેલા સરદારધામ મારફતે થઈ રહેલા કાર્યનું પરિણામ ખૂબ સારું આવે તેવી શુભેચ્છાઓ છે.
સરદારધામ સમા વટવૃક્ષના નિર્માણથી આવનારી પેઢીને ઉત્તમ માર્ગદર્શન મળી રહેશે એવો વિશ્વાસ વ્યક્ત કરતાં મુખ્યમંત્રીશ્રીએ આ નિર્માણ એ એક ખૂબ મોટું સામાજિક દાયિત્વ છે, જેમાં સમાજના તમામ વ્યક્તિઓએ શક્ય તેટલું યોગદાન આપવું જોઈએ તેમ જણાવ્યું હતું.
વડાપ્રધાનશ્રીના “સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ, સૌનો પ્રયાસ” સૂત્રને સાર્થક કરવાની દિશામાં સરદારધામનું નિર્માણ એ યોગ્ય દિશામાં શરૂઆત છે, તેમ જણાવતાં મુખ્યમંત્રીશ્રીએ ઉપસ્થિતોને રાષ્ટ્રપ્રેમની ભાવના સાથે આગળ વધવા અનુરોધ કર્યો હતો.
મુખ્યમંત્રીશ્રીએ વિશેષમાં જણાવ્યું હતું કે સમાજના વિકાસમાં સમાજનો પ્રત્યેક નાગરિક સામેલ થાય તે સરકાર માટે આનંદની બાબત છે. સરદાર ધામના નિર્માણ થકી ભવિષ્યની પેઢી જ્ઞાનના ક્ષેત્રે અવ્વલ શિખરો સર કરશે. સરકાર દ્વારા હાઈડ્રોજન પ્લાન્ટ, સોલાર અને અન્ય ગ્રીન એનર્જી, સેમિકન્ડક્ટર વગેરે બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરીને વિશેષ સંશોધનો હાથ ધરાઈ રહ્યા છે તેમ જણાવી તેમણે ઉમેર્યું હતું કે આવનારી સદી વિજ્ઞાનની સદી છે તથા તમામ સમસ્યાનું સમાધાન જ્ઞાન છે, ત્યારે તમામ સમાજે જ્ઞાનનો મહત્તમ ઉપયોગ કરીને પ્રગતિના ઉન્નત સોપાન સર કરવા જોઈએ.
પર્યાવરણ જાળવણીનો સંદેશ આપતાં મુખ્યમંત્રીશ્રી કહ્યું હતું કે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ પર્યાવરણ સુરક્ષા માટે શરૂ કરાવેલ “એક પેડ, મા કે નામ” જેવા અભિયાન અને “કેચ ધ રેઈન” જેવી યોજનાઓ જન સામાન્યની સામેલગીરીથી જ સફળ થઈ શકશે અને પર્યાવરણનું જતન થઈ શકશે. ગ્લોબલ વોર્મિંગ અટકાવવા ગ્રીન કવર વધારવું જોઈએ, તેવી મુખ્યમંત્રીશ્રીએ આ તકે અપીલ કરી હતી.
આ પ્રસંગે કેન્દ્રીય મંત્રીશ્રી મનસુખભાઈ માંડવીયાએ સમાજના ઉત્કર્ષ માટે સાચા ભાવથી લીધેલા સંકલ્પ ચોક્કસ સિદ્ધ થતા હોય છે તેમ જણાવતા કહ્યું હતું કે સામર્થ્યવાન સમાજના વિકાસ થકી રાજ્ય અને રાષ્ટ્રનો વિકાસ થાય છે. વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રભક્તિના ગુણોની કેળવણી સાથે આપણે સશક્ત રાષ્ટ્રનિર્માણના કાર્યમાં સહભાગી બનવું જોઈએ.
મંત્રીશ્રીએ પાટીદાર સરદાર વલ્લભભાઈ પટેલના વંશજો હોવાનું ગૌરવ વ્યક્ત કરતા કહ્યું હતું કે, સરદાર વલ્લભભાઈ પટેલ માત્ર એક વ્યક્તિ નહિ પરંતુ દ્રઢ સંકલ્પ શક્તિના પ્રતીક છે. ત્યારે, આપણે સરદાર વલ્લભભાઈ પટેલમાંથી પ્રેરણા લઈ સમાજને એકતા અને અખંડિતતાના શિખર પર લઈ જવા આગળ આવવું પડશે.
રાષ્ટ્રગીતથી કાર્યક્રમનો શુભારંભ થયા બાદ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ તથા ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દીપપ્રાગટ્ય વિધિ સંપન્ન થઈ હતી. ટ્રસ્ટીશ્રીઓ સર્વશ્રી ધનજીભાઈ એ. પટેલ, શ્રી બિપીનભાઇ વી. હદવાણી, શ્રી ચંદુભાઈ પી. વિરાણી, ડો. નટવરલાલ વી. રામાણી, શ્રી જીવણભાઈ જી. ગોવાણી, શ્રી વિશ્રામભાઇ જે. પટેલ (વરસાણી)એ મુખ્યમંત્રીશ્રીનું શાલ ઓઢાડી સ્મૃતિચિન્હ એનાયત કરી બહુમાન કર્યું હતું. સંસ્થાના પ્રમુખ શ્રી ગગજીભાઈ સુતરીયાએ સ્વાગત પ્રવચનમાં સરદારધામની વિગતો રજૂ કરી હતી. આ તકે સરદાર ધામના નિર્માણના વિવિધ દાતાઓનું મુખ્યમંત્રીશ્રીએ સન્માન કર્યું હતું.
કાર્યક્રમમાં સાંસદ શ્રી ગોવિંદભાઈ ધોળકિયા, શ્રી નિલેશભાઈ ધુલેશિયાએ પ્રાસંગિક પ્રવચન કર્યા હતા.
ઉલ્લેખનીય છે કે, કણકોટ ખાતે કુલ ૪૦ હજાર વાર જગ્યામાં સરદારધામ કેમ્પસનું નિર્માણ કરવામાં આવશે. જેમાં સૌરાષ્ટ્ર પાટીદાર સમાજના દીકરા-દીકરીઓ માટે છાત્રાલય, સ્કીલ ડેવલપમેન્ટ સેન્ટર, સિવિલ સર્વિસ કેન્દ્ર, ગ્લોબલ પાટીદાર બિઝનેસ ઓર્ગેનાઈઝેશન, યુવા સંગઠન, સ્પોર્ટસ સંકુલ, સામાજિક માર્ગદર્શન કેન્દ્ર જેવા વિવિધ વિભાગો થકી સામાજિક ઉત્થાનના કાર્યો થશે.
આ કાર્યક્રમમાં કૃષિ મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલ,મેયર શ્રી નયનાબેન પેઢડીયા, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી પ્રવિણાબેન રંગાણી, ધારાસભ્ય સર્વ શ્રી દર્શિતાબેન શાહ, શ્રી દુર્લભજીભાઈ દેથરીયા, શ્રી રમેશભાઈ ટીલાળા, શ્રી ઉદયભાઈ કાનગડ, સંસદસભ્યશ્રી પરસોત્તમભાઈ રૂપાલા અને શ્રી રામભાઈ મોકરીયા, અગ્રણીશ્રી જીતુભાઈ વાઘાણી, શ્રી ભરતભાઈ બોઘરા, શ્રી માંધાતાસિંહ જાડેજા, શ્રી મોહનભાઈ કુંડારિયા, શ્રી ગોવિંદભાઈ પટેલ, શ્રી માધવ દવે, શ્રી વિરેન્દ્રસિંહ ઝાલા, શ્રી રાજુભાઈ ધ્રુવ, કલેકટરશ્રી ડૉ. ઓમ પ્રકાશ, રેન્જ આઈ.જી. શ્રી અશોક કુમાર યાદવ, પોલીસ કમિશનરશ્રી બ્રજેશકુમાર ઝા, મ્યુનિસિપલ કમિશનર શ્રી તુષાર સુમેરા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી અનંદુ સુરેશ ગોવિંદ સહિતના વરિષ્ઠ અધિકારીઓ, પાટીદાર અગ્રણીઓ, ઉદ્યોગકારો વગેરે ઉપસ્થિત રહ્યા હતા.














