
ઝઘડિયા તાલુકાના અશા ગામે દિપડો દેખાતા વન વિભાગે મુકેલ પાંજરામાં માદા દિપડી ઝડપાઇ
ગામ નજીક આંટાફેરા મારતા દિપડાને લઇને ગ્રામજનો ભયભીત બનતા વનવિભાગને જાણ કરાઇ હતી
ઝઘડિયા તા.૨ ઓગસ્ટ ‘૨૫
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના અશા ગામે કપિલેશ્વર મહાદેવના મંદિર નજીક વન વિભાગ દ્વારા મુકવામાં આવેલ પાંજરા માં દીપડો પુરાયો હતો. આ અંગે જાણવા મળ્યા મુજબ અશા ગામ નજીક પાછલા કેટલાક દિવસો દરમિયાન દીપડો નજરે પડતા ગ્રામજનો અને ખાસ કરીને સીમમાં જતા ખેડૂતો,પશુપાલકો અને ખેતમજુરોમાં ભય ફેલાયો હતો.ગામ નજીક દિપડાના આંટાફેરાથી ભયભીત બનેલા લોકોએ વનવિભાગને આ બાબતે જાણ કરી હતી.ત્યારે વનવિભાગે સ્થળ પર જઇને તપાસ કરીને જ્યાં દિપડાની હાજરી જણાતી હતી તે સ્થળે મારણ સાથે પાંજરૂ ગોઠવ્યું હતું. વનવિભાગે મુકેલ પાંજરામાં એક માદા દિપડી ઝડપાઇ હતી અને તેણે પાંજરામાં મુકેલ મારણનું ભક્ષણ પણ કર્યું હતું. અસા ગામ નજીક ઝડપાયેલ આ માદા દીપડાને વનવિભાગ દ્વારા ખોરાકપાણી મળી રહે તેવા સલામત સ્થળે છોડી દેવાશે એમ જણાવાયું હતું.ઉલ્લેખનીય છેકે ઝઘડિયા તાલુકામાં લાંબા સમયથી દિપડાની વસતિ જોવા મળે છે. તાલુકામાં શેરડીનો પાક વિપુલ પ્રમાણમાં લેવાતો હોઇ શેરડીના ખેતરો દિપડા માટે આશ્રય સ્થાન મનાય છે. અશા ગામે નજરે પડતો દિપડો ઝડપાતા લોકોએ રાહતનો દમ લીધો હતો.
ઈરફાન ખત્રી
રાજપારડી






