GUJARATNAVSARINAVSARI CITY / TALUKO

નવસારી: ગણદેવીની ડી.આઈ.કે કન્યા વિદ્યાલયમાં તણાવ મુક્ત-સ્વસ્થ શાળા બનાવવા માટે સેમિનાર યોજાયો

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

સર.સી. જે.ન્યુ હાઈસ્કુલ ટ્રસ્ટ સંચાલિત શ્રીમતી ડી. આઇ. કે. કન્યા વિદ્યાલય ગણદેવી ખાતે મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાન હેઠળ “એક ડગલું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય તરફ” એ સૂત્રને સાકાર કરતા શાળાની વિદ્યાર્થીનીઓને શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય વિશે જાગૃત કરવા માટે યોગ, પ્રાણાયામ, મેડીટેશન માટેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ તજજ્ઞ એવા માર્ગદર્શક અને તજજ્ઞશ્રી જીગરભાઈ કોટડીયાની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો હતો.

આ પ્રસંગે જીગરભાઈએ વિદ્યાર્થીનીઓ તથા શાળાની શિક્ષિકા બહેનોને શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે જરૂરી એવા યોગ પ્રાણાયામ અને મેડીટેશન વિશે સમજ આપી હતી. વિદ્યાર્થીનીઓને યોગ્ય માર્ગદર્શન સાથે યોગ પ્રણાયામ કરાવ્યા હતા. નિત્ય જીવનમાં આ પ્રાણાયામ અને યોગ દ્વારા કેવી રીતે નિરોગી રહી શકાય તે બાબતનું માર્ગદર્શન આપ્યું હતું. આજના સમયમાં યુવાનોમાં વધી રહેલ સોશિયલ મીડિયાના વળગણથી દૂર રહી શકે તેમજ તણાવમાં આવી વધતા આત્મહત્યાના બનાવોથી બચવા માનસિક સ્વાસ્થ્ય કેવી રીતે જાળવી શકાય અને આજની ભાગદોડ ભરેલી જિંદગીમાં તણાવ મુક્ત બનવા માટે ઉપસ્થિત સૌને મેડીટેશન કરી તેના દ્વારા કેવી રીતે મનને શાંત કરી શકાય અને માનસિક સ્વાસ્થ્ય જાળવી શકાય તેની યોગ્ય સમજ આપી હતી. વિદ્યાર્થીનીઓને પોતાના રોજિંદા જીવનમાં યોગ પ્રાણાયામ અને મેડીટેશનનો સમાવેશ કરી શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવા ઉપર ભાર મૂક્યો હતો. કાર્યક્રમના પ્રારંભમાં શાળાના આચાર્ય મિતલબેન દેસાઈ દ્વારા ઉપસ્થિત તજજ્ઞશ્રી જીગરભાઈનું શાબ્દિક તેમજ રોપા અને પુસ્તક દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતુ.સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના ઉચ્ચતર માધ્યમિક વિભાગના શિક્ષિકા ચંદ્રિકાબેન કોકણીએ કર્યું હતું.
આ પ્રસંગે ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી સિદ્ધાર્થભાઈ દેસાઈ, અરવિંદભાઈ કાપડીયા, સી.આર.સી. મનીષાબેન પટેલ, શાળા પરિવારના સ્ટાફમિત્રો ઉપસ્થિત રહયા હતાં.

Back to top button
error: Content is protected !!