જૂનાગઢ કામધેનુ યુનિવર્સિટી ખાતે પશુ વિજ્ઞાન કેન્દ્ર ભૂતવડ અને સંશોધન અને તાલીમ કેન્દ્ર- મહુવાની વૈજ્ઞાનિક સલાહકાર સમિતિની બેઠક યોજાઈ

જૂનાગઢ કામધેનુ યુનિવર્સિટી ખાતે પશુ વિજ્ઞાન કેન્દ્ર ભૂતવડ અને સંશોધન અને તાલીમ કેન્દ્ર- મહુવાની વૈજ્ઞાનિક સલાહકાર સમિતિની બેઠક યોજાઈ
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ

કામધેનુ યુનિવર્સિટી, ગાંધીનગરનાં નેજા હેઠળ વિસ્તરણ પ્રવૃતિના કેન્દ્રો જેમાં કે પશુ વિજ્ઞાન કેન્દ્ર ભુતવડ અને મત્સ્ય સંશોધન અને તાલીમ કેન્દ્ર મહુવાની વૈજ્ઞાનિક સલાહકાર સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગત વર્ષે થયેલા કાર્યોની વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. તેમજ આવનાર વર્ષમાં થનાર કાર્યોને વિસ્તૃત ચર્ચાની સાથે ખેડૂતોના સૂચનોને સમાવેશ કરીને બહાલી આપવામાં આવી હતી.
બેઠકનું ઉદ્ઘાટન ડૉ.પી.એચ.ટાંક, કુલપતિ, કામધેનુ યુનિવર્સિટી, ગાંધીનગર, ડૉ.વી.પી.ચોવટિયા, કુલપતિ, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢ, ડૉ.એસ.કે.ભાવસાર, સંશોધન નિયામક, કામધેનુ યુનિવર્સીટી, ગાંધીનગર, ડૉ.એમ.એમ.ત્રિવેદી, ડૉ.એન.બી.જાદવ, વિસ્તરણ શિક્ષણ નિયામકઓ, ડૉ.એમ.આર.ગડરિયા, આચાર્ય, વેટરનરી કોલેજ, કામધેનુ યુનિવર્સીટી, જૂનાગઢ તથા ડૉ.કે.એચ.વાઢેર, આચાર્ય, ફિશરીઝ કોલેજ, કામધેનુ યુનિવર્સીટી, વેરાવળ દ્વારા દીપ પ્રાગટ્ય વડે કરવામાં આવી હતી.
ડૉ. એન.બી. જાદવએ પશુ વિજ્ઞાન કેન્દ્ર ભુતવડ કે જે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર પીપળીયાથી નજીકના અંતરે આવેલ હોય ભવિષ્યમાં વિસ્તરણને લગતી પ્રવૃતિઓમાં જરૂરી સાથ અને સહકાર આપવાની બાહેંધરી આપી હતી. તેમજ ડૉ.એસ.કે.ભાવસાર, સંશોધન નિયામકે કામધેનુ યુનિવર્સિટી અંતર્ગત આવેલા ૫૨ સંશોધન કેન્દ્રો દ્વારા હાથ ધરવામાં આવતા વિવિધ સંશોધનો અંગેની ૧૪૭ જેટલી સંશોધનની ભલામણો તેમજ ૧૯૦ સંશોધન પ્રોજેક્ટ અંગે વિસ્તૃત માહિતી આપી હતી. જે ખેડૂત મિત્રો અને પશુપાલક મિત્રોને ઉપયોગી સાબિત થશે.
તેમજ ડૉ.વી.પી.ચોવટિયા, કુલપતિ, જૂનાગઢ કૃષિ યુનિવર્સીટીએ જણાવ્યું હતું કે, ખેતી અને પશુપાલન એ એક સિક્કાની બે બાજુઓ હોઈ છે. તે સાથે મળીને સહકારથી કામગીરી કરીએ તો ખેડૂતોને ઉપયોગી સાબિત થાય તેમજ પશુઓમાં આવતા વિવિધ રોગો જેવા કે લમ્પી, ખરવા મોવાસા અંગે પશુપાલકોને રોગ વિરોધી રસીકરણ અંગે માહિતીગાર કરી શકાય છે.
ડૉ.પી.એચ.ટાંક, કુલપતિએ વધુમાં આગળ જણાવ્યું હતું કે, ગાયોની ગીર અને કાંકરેજ ઓલાદોને મૂળ સ્વરૂપે સાચવી રાખવાની ખાસ જરૂર છે. આ સમિતિમાં ડેરી તથા મત્સ્યપાલન ઉદ્યોગના સાહસિકોને આમંત્રિત કરવા જેથી તેમના દ્વારા જરૂરી સૂચનો મળી રહે જે વિસ્તરણની પ્રવૃતિઓ માટે ખુબ જરૂરી છે. આ સમિતિમાં હાજર રહેલા પશુપાલકો અને મત્સ્યપાલકો દ્વારા જે સૂચનો કરવામાં આવે તેને ભવિષ્યમાં કરવામાં આવતી વિસ્તરણ પ્રવૃતિઓમાં સામેલ કરવાની ખાસ ભલામણ કરી હતી.





