ગુજરાત સરકારને સુપ્રીમ કોર્ટે કહ્યું ‘ગુરુરબ્રહ્મ, ગુરુરવિષ્ણુ, ગુરુરદેવો મહેશ્વર’ ગાવાનું નકામું

દેશમાં શિક્ષકોની સ્થિતિ પર મોટી ટિપ્પણી કરતા સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે જો તેમને માનદ વેતન પણ નથી મળી રહ્યું, તો ‘ગુરુરબ્રહ્મ, ગુરુરવિષ્ણુ, ગુરુરદેવો મહેશ્વર’ ગાવાનું નકામું છે. ગુજરાત સરકારની ટીકા કરતા સુપ્રીમ કોર્ટે કહ્યું કે કરાર આધારિત સહાયક પ્રોફેસરોને માત્ર 30,000 રૂપિયાનો પગાર આપવામાં આવી રહ્યો છે, જ્યારે એડહોક અને રેગ્યુલર એસોસિયેટ પ્રોફેસરોનો પગાર 1.2 થી 1.4 લાખ રૂપિયાની વચ્ચે છે.
જસ્ટિસ પીએસ નરસિંહા અને જસ્ટિસ જોયમલ્યા બાગચીની બેન્ચે કહ્યું કે, આપણી આવનારી પેઢીઓનું ભવિષ્ય નક્કી કરનારા અને આવનારા સમય માટે તૈયાર કરનારા શિક્ષકો સાથે આવું વર્તન સહન કરી શકાય નહીં. બેન્ચે કહ્યું કે, શિક્ષકો કોઈપણ દેશની કરોડરજ્જુ જેવા છે જે આપણા બાળકોને ભવિષ્યના પડકારો માટે અને સારું જીવન જીવવા માટે તૈયાર કરે છે. શિક્ષક જ પોતાના સંશોધન, વિચારો અને મૂલ્યો દ્વારા આ સમાજમાં પ્રગતિનો માર્ગ બતાવે છે.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે સમાજમાં શિક્ષકોના અમૂલ્ય યોગદાનને માન્યતા આપવામાં આવી રહી નથી તે ખૂબ જ ચિંતાનો વિષય છે. કોર્ટે કહ્યું, જો શિક્ષકોને સન્માનજનક પગાર નહીં મળે, તો જ્ઞાન અને બૌદ્ધિક સફળતાને દેશમાં યોગ્ય સ્થાન નહીં મળે. હાઈકોર્ટે પોતાના નિર્ણયમાં સરકારને આ મામલે ‘સમાન કામ, સમાન પગાર’ ના સિદ્ધાંતનું પાલન કરવાનો નિર્દેશ આપ્યો હતો.
સુપ્રીમ કોર્ટે કહ્યું, છેલ્લા બે દાયકાથી સહાયક પ્રોફેસરોને આટલો ઓછો પગાર આપવામાં આવી રહ્યો છે તે ખૂબ જ ચિંતાનો વિષય છે. અમને માહિતી મળી છે કે 2720 ખાલી જગ્યાઓ હતી, જેમાંથી અત્યાર સુધીમાં ફક્ત 923 જગ્યાઓ પર કાયમી ભરતી કરવામાં આવી છે. શિક્ષકોના અભાવે શિક્ષણ કાર્ય પણ અવરોધાઈ રહ્યું છે. માહિતી અનુસાર, 158 એડહોક અને 902 કોન્ટ્રાક્ટ સહાયક પ્રોફેસરોની ભરતી કરવામાં આવી હતી. તે જ સમયે, 737 જગ્યાઓ હજુ પણ ખાલી છે. કોર્ટે કહ્યું કે મોટી સંખ્યામાં ખાલી જગ્યાઓ હોવા છતાં, શિક્ષકોને ફક્ત એડહોક અને કોન્ટ્રાક્ટ ધોરણે જ રાખવામાં આવી રહ્યા છે.





