ગાંધીનગર ખાતે આરોગ્ય વિભાગ દ્વારા સર્પદંશ નિવારણ – વ્યવસ્થાપન વિષયક રાજ્યસ્તરીય એક દિવસીય વર્કશોપનું આયોજન કરાયું

આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અંતર્ગતના સ્ટેટ હેલ્થ સિસ્ટમ્સ રિસોર્સ સેન્ટર–ગુજરાત (SHSRC-G) તથા સ્ટેટ એપીડેમિક સેલ દ્વારા “સર્પદંશ નિવારણ અને વ્યવસ્થાપન વિષયક રાજ્યસ્તરીય વર્કશોપ” નું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્કશોપનો મુખ્ય ઉદ્દેશ્ય રાજ્યમાં સર્પદંશના કારણે થતા મૃત્યુમાં ઘટાડો કરવા તેમજ આરોગ્ય અધિકારીઓમાં જાગૃતિ લાવવાનો હતો.
આ પ્રસંગે ફાઉન્ડેશન ફૉર પિપલ સેન્ટ્રિક હેલ્થ સિસ્ટમ્સ ઓર્ગેનાઇઝેશનના ડિરેક્ટર – ડૉ. ચંદ્રકાંત લાહરીયાએ જણાવ્યું હતું કે, સર્પદંશ ભારત માટે એક ગંભીર જાહેર આરોગ્ય સમસ્યા છે. વિશ્વ આરોગ્ય સંગઠન (WHO)એ તેને અવગણાયેલી બિમારી તરીકે જાહેર કરી છે. ગુજરાતમાં ગ્રામ્ય તથા કૃષિ આધારિત વિસ્તારોમાં સર્પદંશની સમસ્યા વધુ ગંભીર બની રહી છે. ગુજરાતમાંથી છેલ્લા પાંચ વર્ષ દરમિયાન ૧૦૮ EMRI ખાતે આશરે ૫૫૦૦ થી ૭૦૦૦ જેટલા સર્પદંશ માટેના કોલ ડાંગ ,વલસાડ, તાપી અને નર્મદા જેવા ટ્રાઈબલ જિલ્લાઓમાંથી આવ્યા હતા.
વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, આરોગ્યકર્મીઓને WHO-ICMR પ્રોટોકોલ મુજબની સારવાર માટે, તાલીમ બાબતે તેમજ પ્રાથમિક સારવાર માટે “Carry No R.I.G.H.T.” સિદ્ધાંતના અમલ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.
ડૉ. એ. એમ. કાદરીની ઉપસ્થિતિમાં રાજ્યની આરોગ્ય સંસ્થાઓમાં એન્ટી-સ્નેક વેનમ સીરમ (ASVS)ની ઉપલબ્ધતા, તેની યોગ્ય વહેંચણી અને સતત પુરવઠો વધારે સુદ્રઢ કરી શકાય તે અંગે આરોગ્ય અધિકારીઓ સાથે ઉંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત ગ્રામ્ય તથા શહેરી વિસ્તારોમાં સર્પદંશ અંગે જાગૃતિ વધારવા સહિતના મુદ્દાઓ પર આરોગ્યકર્મીઓ સાથે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
વધુમાં શ્રી કાદરીએ જણાવ્યું કે,ચોમાસા દરમિયાન તથા બાંધકામોની જગ્યાએ સર્પદંશના કેસ વધારે જોવા મળે છે. રાજ્યની અમુક મેડિકલ કોલેજ ખાતે પણ ચોમાસા ઋતુમાં દૈનિક એકથી બે જેટલા સર્પદંશના કેસ સારવાર માટે આવતા હોય છે.
આ વર્કશોપમાં ડેપ્યુટી ડિરેક્ટર એપીડેમિક ડૉ. જયેશ કતીરા, સ્ટેટ એપીડેમિયોલોજીસ્ટ ડૉ. જયેશ સોલંકી સહિત જિલ્લા તથા મહાનગરપાલિકા આરોગ્ય તંત્રના અધિકારીશ્રીઓ, મેડિકલ કોલેજોના ફેકલ્ટીશ્રી અને તબીબી અધિકારીશ્રીઓ સક્રિય ભાગ લીધો હતો.





