કારખાના ધારા વિધેયક-2025 વિધાનસભા ગૃહમાં પાસ, સપ્તાહના 48 કરતા વધુ સમય કામ માટે વધારાનું વેતન
48 કલાક કરતા વધુ સમય કામ કરાવવા માટે મંજૂરી લેવાની રહેશે અથવા તો ઓવરટાઇમ આપવો પડશે. 6 કલાક બાદ 30 મિનિટની રીસેસ કામદારને મળશે. દિવસના 9 કલાક કરતા વધુ સમય અને સપ્તાહના 48 કરતા વધુ સમય કામ માટે વધારાનું વેતન મળશે.

કારખાના ધારા સુધારા વિધેયક ગૃહમાં બહુમતીથી પસાર કરવામાં આવ્યું હતું. કારખાના ધારામાં 6 કલમોમાં સુધારો કરવામાં આવ્યો છે. કામનો સમય, આરામનો સમય, કુલ સમયગાળોનો સમાવેશ થાય છે. ત્રણ મહિનાનો ઓવરટાઈમ સમયગાળો અને મહિલા શ્રમિકો માટે સમયગાળાનો સમાવેશ કરવામાં આવ્યો છે. મહિલા શ્રમિકોને પૂર્વ મંજૂરી સાથે રાત્રી શિફ્ટમાં કામ કરી શકશે. કામદારો મંજૂરી સાથે 12 કલાક કામ કરી શકશે. સપ્તાહના 48 કલાક કામ કરાવવાનું રહેશે. ત્યાર બાદ જો વધારે કલાક કામ થાય તો તે સરકારી ધારાધોરણ અનુસાર ઓવરટાઇમમાં ગણાશે.
48 કલાક કરતા વધુ સમય કામ કરાવવા માટે મંજૂરી લેવાની રહેશે અથવા તો ઓવરટાઇમ આપવો પડશે. 6 કલાક બાદ 30 મિનિટની રીસેસ કામદારને મળશે. દિવસના 9 કલાક કરતા વધુ સમય અને સપ્તાહના 48 કરતા વધુ સમય કામ માટે વધારાનું વેતન મળશે. સરકાર દ્વારા શ્રમિકોના હિતમાં નિર્ણય લેવામાં આવ્યો છે. જેના કારણે ન માત્ર શ્રમિકોને કામ ઉપરાંત ઓવરટાઇમનો પણ હક મળશે પરંતુ સાથે સાથે તેઓ પરિવારને પણ વધારે સમય ફાળવી શકશે.
મહિલા શ્રમ યોગીઓના હિતમાં તેમની સલામતી-સ્વાસ્થ્ય સંબંધી શરતોને આધીન રાત્રિપાળીમાં કામે રાખી શકાશે તેવી શ્રમ અને રોજગાર મંત્રી બલવંતસિંહ રાજપૂતે સ્પષ્ટતા કરી હતી.
કારખાના ધારા (ગુજરાત સુધારા) વિધેયક-2025 વિધાનસભા ગૃહમાં પાસ કરવામાં આવ્યું હતું. શ્રમ અને રોજગાર મંત્રી બલવંતસિંહ રાજપુતે વિધાનસભા ગૃહમાં કારખાના ધારા (ગુજરાત સુધારા) વિધેયક 2025 રજુ કરતા કહ્યું હતું કે, રાજ્યમાં આર્થિક પ્રવૃત્તિઓને વેગ આપવા, રાષ્ટ્રીય હિતમાં નવા ઔદ્યોગિક એકમોમાં રોકાણ આકર્ષવું અને રાજ્યમાં વધુ રોજગારી ઉભી કરવા માટે કારખાનાઓને યોગ્ય રાહતો આપવાની સાથે-સાથે શ્રમિકોના હિતનું રક્ષણ કરવામાં આવશે.
કારખાના ધારો કેન્દ્ર સરકારનો કાયદો છે. તેમાં મળેલ સત્તાઓ અનુસંધાને માનનીય રાષ્ટ્રપતિની અનુમતિથી રાજ્ય સરકારો પોતાના રાજ્યને લાયક જરૂરી સુધારા કરી શકે છે અને તે સત્તા હેઠળ ખાસ કારખાના જૂથને અથવા વર્ગને દૈનિક કામના કલાકો તથા ઓવરટાઇમના કલાકોની સંખ્યામાં ફેરફાર કરવાની અને રાત્રીપાળીમાં મહિલા શ્રમયોગીઓને કામે રાખવાની પરવાનગી આપવાની સત્તા ગુજરાત સરકારને પ્રાપ્ત થાય તેવી જોગવાઇ કરવાનો આ વિધેયકનો મુખ્ય ઉદ્દેશ છે.
મંત્રી રાજપુતે કહ્યું હતું કે, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં સરકારને જરૂરી લાગે તેવી શરતો-ખાસ કરીને મહિલા શ્રમયોગીઓની સલામતી અને સ્વાસ્થ્ય સંબંધી શરતોને ધ્યાને રાખીને આ અંગે જાહેરનામું પ્રસિદ્ધ કરીને જ આવી મંજૂરી રાજ્ય સરકાર દ્વારા આપવામાં આપશે તેવી જોગવાઇ આ વિધેયકમાં કરવામાં આવી છે.
મંત્રીએ કહ્યું હતું કે, કોઇપણ રાજ્યમાં નવા-નવા ઉદ્યેાગો અને મૂડીરોકાણ કરવા માટે ઉદ્યેાગકાર ત્યારે જ આવે કે જ્યારે રાજ્યમાં તેને ઉદ્યોગ સ્થાપવા માટે અનુકૂળ વાતાવરણ હોય. આ માટે અનુકૂળ વાતાવરણ એટલે ઉદ્યોગ સ્થાપવા માટે જરૂરી જમીન સરળતાથી પ્રાપ્ત થાય, માળખાનો ઝડપી વિકાસ થઇ શકે તેવા સંજોગો હોય, તેમને જરૂરી કુશળ માનવબળ ઉપલબ્ધ થાય, સરકારની ઉદાર આર્થિક નીતિઓ હોય તેમજ ઉદ્યેાગ શરૂ કરી તેને સફળતાપૂર્વક ચલાવવા માટે કાયદાકીય રીતે ઓછી આટીઘૂંટી અને સરળ જોગવાઇઓ ધરાવતુ વાતાવરણ મળી રહેતું હોય છે.
મંત્રીએ કહ્યું હતું કે, આપણો દેશ અને આપણું ગુજરાત છેલ્લા કેટલાક વર્ષોથી ઔદ્યેાગિક ક્ષેત્રે હરણફાળ ભરી રહ્યુ છે. રાજ્યમાં અને દેશમાં નવા-નવા ઉદ્યેાગો, નવી-નવી ટેકનોલોજી અને તેના થકી રાજ્યમાં અને દેશમાં આંતરરાજ્ય તેમજ આંતરરાષ્ટ્રીય મૂડીરોકાણનો પ્રવાહ સતત વધી રહ્યો છે. તેમણે કહ્યું હતું કે, આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને જુદા-જુદા ઉદ્યોગોથી સમૃદ્ધ કરવાની અને રાજ્યના અર્થતંત્રને વધુ મજબૂત બનાવવાનો સંકલ્પ લીધો છે. આપણે સૌ જાણીએ છીએ તેમ ભારતના સૌથી મોટા રેલ્વેતંત્ર માટે ટ્રેનના ડબ્બા/કંમ્પાર્ટમેન્ટ બનાવવાની તક પણ આપણા યશસ્વી વડાપ્રધાનએ ગુજરાતને આપી છે.
મંત્રીએ કહ્યું હતું કે, રાજ્યના વિકાસમાં નારી શક્તિની ભાગીદારી મહત્વની છે. રાજ્યના યુવાનો તેમની કુશળતા અને કૌશલ્યનો ઉપયોગ કરીને આર્થિક રીતે પગભર થાય અને રાજ્યના આર્થિક વિકાસમાં તેઓનું યોગદાન આપી શકે તેવી તકોનું નિર્માણ તેમજ કામદારોના હિત જાળવવા સહિત રોજગારીનું સર્જન કરવા અને તેમને વધુને વધુ આર્થિક ફાયદો થાય તે અંગે રાજ્ય સરકાર દ્વારા પ્રયાસો થઇ રહ્યાં છે. પ્રસ્તાવિત વિધેયકમાં કારખાના ધારા-1948 ની કુલ-6 કલમોમાં સુધારા સૂચવેલ છે. જેમાં કામના કલાકો, આરામનો સમય, કામનો કુલ સમયગાળો, ઓવરટાઇમ, ત્રણ મહિનાનો ઓવરટાઇમનો સમયગાળો અને મહિલા શ્રમયોગીઓ માટે રાત્રી પાળીમાં કામ કરવાની બાબતનો સમાવેશ થાય છે.
હાલની જોગવાઈ મુજબ મહિલા શ્રમયોગીઓ પાસેથી સવારના 06.૦૦ થી સાંજના 07.૦૦ વાગ્યા સિવાયના કલાકોમાં કામ લઇ શકાતુ નથી. આ કલમ હેઠળની અન્ય જોગવાઇ મુજબ, ઉકત સમયગાળા સિવાયના કલાકોમાં મહિલા શ્રમયોગીઓ પાસેથી કામ કરાવવા અંગે રાજય સરકાર સરકારી રાજપત્રમાં જાહેરનામુ બહાર પાડીને મંજુરી આપી શકે છે. વળી, રાત્રીના 10.૦૦ થી સવારના 05.૦૦ કલાકના સમયગાળા દરમ્યાન મહિલા શ્રમયોગીઓને કામે રાખી શકાય નહિ તેવી સ્પષ્ટતા પણ મંત્રી ગૃહમાં કરી હતી. કારખાના ધારા, 1948 માં મહિલા શ્રમયોગીઓને રાત્રી પાળીમાં કામે રાખવાની જોગવાઈ ન હોવા છતાં મહિલા શ્રમયોગીઓને સમાનતા, સ્વતંત્રતા, વ્યવસાય કરવાના અને આર્થિક ઉપાર્જન કરવાના બંધારણીય અધિકારને ધ્યાને લઈને માન. ગુજરાત ન્યાયાલય દ્વારા આપવામાં આવેલ નિર્દેશોને કાયદાકીય સ્વરૂપ આપવા માટે પ્રસ્તાવિત વિધેયકમાં ખાસ જોગવાઈઓ કરવામાં આવી છે.
તેમણે કહ્યું હતું કે, આ વિધેયકમાં જે કંઇ જેાગવાઇઓ કરવામાં આવી છે. તેમાં સૌથી મહત્વની જોગવાઇ એ છે કે હવે મહિલા કામદારોને રાત્રી પાળીમાં તેમની સંમતિથી અને સંપૂર્ણ સલામત વાતાવરણમાં કામ કરવાની કાયદેસરની તક પ્રાપ્ત થશે.





