નવસારી: જલાલપોરના સુલતાનપુર ગામમાં કેન્દ્ર સરકારની CIBA સંસ્થાના સહાયથી વિકસેલું સુખાકારી મોડેલ
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના સુલતાનપુર ગામના આદિવાસી પરિવારો કાયમી રોજગારી માટે અન્ય તથા આકસ્મિક તહેવારો જેવા પરિબળો પર આધારિત હતા. ક્યારેક મજૂરી, ક્યારેક અસ્થાયી કામથી ઘર ચલાવવું મુશ્કેલ બનતું. પણ આજે એ જ ગામમાં એક નવું દ્રશ્ય જોવા મળે છે – માછલીઓથી ભરેલા તળાવ, શાકભાજીના હરિયાળા ખેતરો, બકરાંઓના રેવડા અને કૂકડાની કૂકડકૂ. આ બધું શક્ય બન્યું છે કેન્દ્ર સરકારની “Integrated Aqua-Agri-Poultry and Goat Farming in Brackishwater Pond” મિશ્ર સંકલિત ખેતી પ્રોજેક્ટના અમલથી કેન્દ્ર સરકારની ICAR – CIBA ( કેન્દ્રીય ખારા જલજીવ પાલન અનુસંધાન) સંસ્થા તથા નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા અમલમાં મુકાયેલી આ યોજના હેઠળ ગામના લોકો માટે ભાંભરા ( ખારાં – મીઠા મિશ્ર) પાણીના તળાવમાં માછલી ઉછેર, શાકભાજીની ખેતી, બકરી પાલન તેમજ કૂકડા ઉછેર જેવા વિવિધ પ્રયોગો કરવામાં આવ્યા છે.
આ સંકલિત ખેતીના પ્રયાસો આજે ગામના અનેક પરિવારો માટે રોજગારીનું સશક્ત સાધન સાબિત થઈ રહ્યા છે. આ યોજનાના અમલ માટે ICAR-CIBA, નવસારી અને નવસારી કૃષિ યુનિ. એ સાથે મળી સુલતાનપુર ગામની ખાર ખાજણ બિનઉપજાઉ જમીનને સુખાકારીના કેન્દ્રમાં રૂપાંતરિત કરી. આ બિનઉપયોગી જમીન પર CIBA દ્વારા ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ માટેનું સંપૂર્ણ નાણાકીય રોકાણ કરવામાં આવ્યું, જેમાં તળાવનું ઊંડાણ, માછલી ઉછેર માટે આવશ્યક સુવિધાઓની રચના, ગુણવત્તાયુક્ત માછલીના બીજ, દવા, ખાતર અને અન્ય જરૂરી સામગ્રીની ઉપલબ્ધિનો સમાવેશ થાય છે. ખાસ કરીને, ત્રણ વર્ષ સુધીના તમામ ખર્ચ CIBA દ્વારા જ ઉઠાવવામાં આવશે, જેથી ગામના પરિવારો પર કોઈ નાણાકીય ભાર ન પડે સાથે, હળપતિ મત્સ્ય મંડળના સભ્યોને પ્રત્યક્ષ તાલીમ આપવામાં આવી, જેથી તેઓ માછલી ઉછેરના નવા વૈજ્ઞાનિક ઉપાયો સારી રીતે અપનાવી શકે. નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા ગ્રામજનોને શાકભાજી ઉત્પાદન, બકરી પાલન અને કૂકડા ઉછેર માટે તાલીમ આપવામાં આવી, જેના પરિણામે ખેતીની પરંપરાગત પદ્ધતિઓમાં નવીનતા સાથે વૈવિધ્ય ઉમેરાયું. આ પ્રોજેક્ટના હળપતિ મત્સ્ય મંડળના સંચાલક રમેશભાઈ હળપતિ જણાવે છે કે, એક જ સ્ત્રોત પર આધારિત રહેવાના બદલે આજે બહુવિધ આવકનાં રસ્તા ખુલ્યા છે. આ પ્રોજેક્ટે અમને માત્ર રોજગારી જ નથી આપી, પણ આત્મવિશ્વાસ અને આત્મનિર્ભરતા પણ આપી છે. અમે બધા આ યોજના દ્વારા ખરેખર આત્મનિર્ભર બન્યા છીએ. તેમણે વધુમાં જણાવ્યું કે , અગાઉ પરિવારનું ગુજરાન આવકના એક જ સ્ત્રોત પર ચલાવવું મુશ્કેલ હતું, પરંતુ હવે દરેક પરિવારે પોતાની મહેનતથી અનેક સ્ત્રોતોમાંથી આવક મેળવવાની દિશા અખત્યાર કરી છે. આ પરિવર્તનથી ઘરમાં આર્થિક સ્થિરતા સાથે ખુશહાલી પણ આવી છે. તાજેતરમાં સુરતના દાંડી બીચ ખાતે યોજાયેલા માત્ર ત્રણ દિવસના મેળામાં જ મંડળે રૂ.૧.૫ લાખથી વધુની આવક મેળવી. ગ્રામજનો માટે આ માત્ર આવક નથી, પરંતુ તેમની મહેનત અને સંઘર્ષના સપનાનું સાકાર સ્વરૂપ છે. સુલતાનપુર ગામના સરપંચ શશિકાંતભાઈ પટેલ જણાવે છે કે, આ પ્રોજેક્ટ માટે વહીવટીતંત્ર સાથે રહી ગામમાં ૨ એકર જમીન પર પ્રોજેક્ટના અમલીકરણનો નિર્ણય ગામ માટે અત્યંત ફાયદાકારક નિર્ણય સાબિત થયો છે. આ પ્રોજેક્ટથી હળપતિ યુવાનોને ઘર આંગણે જ આવકના સાધન મળતા તેઓ ગામમાં જ આત્મનિર્ભર બની રહ્યા છે, જે અમારા માટે ગૌરવની બાબત છે. આવો પ્રયોગ જો દરિયાકાંઠાના અન્ય ગામોમાં પણ થાય તો ખાસ કરીને નબળા વર્ગના પરિવારોને રોજગારી, આત્મનિર્ભરતા અને સુખાકારીનો માર્ગ સરળ બની શકે. આ પ્રોજેક્ટના યંગ પ્રોફેશનલ ટુર સાગર ખરા જણાવે છે કે, આ પહેલનો મુખ્ય હેતુ ગામના એસ.ટી. વર્ગ હેઠળ આવતા હળપતિ સમાજના લોકોને સ્થાનિક સ્તરે રોજગારી ઉપલબ્ધ કરાવવો અને તેમની આવકમાં વધારો કરવો છે. આ માટે સુલતાનપુર મત્સ્યમંડળના તમામ સભ્યોને જરૂરી ટેકનિકલ તથા પ્રેક્ટિકલ તાલીમ આપવામાં આવી છે, જેથી તેઓ આધુનિક પદ્ધતિઓથી માછીમારી, કૃષિ અને પશુપાલન કરી શકે. શરૂઆતમાં આ પ્રોજેક્ટ હેઠળ એક જ તળાવ હતું, પરંતુ સરપંચશ્રી તથા હળપતિ યુવાનોની સંકલ્પશક્તિ અને મહેનતથી આજે બીજું તળાવ પણ ઉભું થયું છે, જે આત્મનિર્ભરતા તરફના આ અભિયાનનું જીવંત પ્રતિક છે. આજે સુલતાનપુર ગામ માત્ર નવસારી જિલ્લો જ નહીં પરંતુ સમગ્ર દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારો માટે પ્રેરણાનું કેન્દ્ર બની ગયું છે. અહીંનો અનુભવ બતાવે છે કે જો યોગ્ય માર્ગદર્શન અને સંકલિત ખેતી મોડેલ અપનાવવામાં આવે તો નાના ગામડાં પણ સમૃદ્ધિના કેન્દ્ર બની શકે છે. સુલતાનપુરની ધરતી પર આજે એક અનોખો ત્રિવેણી સંગમ જીવંત થયો છે. એક તરફ કેન્દ્ર સરકારની “Integrated Aqua-Agri-Poultry and Goat Farming in Brackishwater Pond (ST Component)” યોજના, બીજી તરફ સુલતાનપુર ગ્રામપંચાયતનો સહકાર અને ત્રીજી તરફ ગામજનોની અખૂટ મહેનત; આ ત્રણેય મળી એક એવી શક્તિ બની છે કે જેના કારણે બિનઉપજાઉ જમીન પણ સુખાકારીનો ખજાનો સાબિત થઈ રહી છે. કાલ સુધી આકસ્મિક રોજગારી માટે મજબૂર રહેલા પરિવારો આજે પોતાના ગામમાં જ કાયમી રોજગારી મેળવી રહ્યા છે;
પરિવારોને એક જ સ્ત્રોત પર આધારિત રહેવાની જરૂર નથી રહી આ સફળતા માત્ર એક સુલતાનપુર ગામની કહાની નથી, પણ એ એક જીવંત સંદેશ છે- “જ્યારે યોજના, સહકાર અને મહેનતનું ત્રિવેણી સંગમ થાય, ત્યારે બિનઉપજાઉ જમીન પણ સુખાકારીના સોનેરી બીજ ઉગાડે છે.”
બોક્ષ આઈટમ :
કેન્દ્ર સરકારના “Integrated Aqua-Agri-Poultry and Goat Farming in Brackishwater Pond (ST Component)” પ્રોજેક્ટ અંતર્ગત સુલતાનપુર ગામમાં ૨ એકર ખાજણ બિનઉપજાઉ જમીન પર વિવિધ પ્રકારનાં પાકો અને પશુપાલનનું સંકલન કરવામાં આવ્યું છે, જે ગામના લોકો માટે બહુવિધ આવકનાં રસ્તા ખોલે છે. અહીં સીસેબાસ ફ્રાય, મિલ્કફિશ, મડ ક્રેબ, સીસેબાસ જુવેનાઈલ્સ અને પર્લસ્પોટ જેવા માછલીઓનો ઉછેર કરવામાં આવે છે. સાથે જ દેશી કૂકડાં, બકરાં, શાકભાજીના રોપાં અને ફળનાં છોડ વાવવામાં આવ્યા છે.
આ રીતે પાણી, જમીન અને પશુપાલન ત્રણેયનો