ધારાસભ્ય ચૈતર વસાવા ફરીથી પરિવર્તનની લડાઈ શરૂ કરશે: મનોજ સોરઠીયા
આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાએ ધારાસભ્ય ચૈતર વસાવાને હાઈકોર્ટમાંથી જામીન મળતા વિડીયોના માધ્યમથી ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, છેલ્લા અઢી મહિનાથી અમારા ધારાસભ્ય ચૈતર વસાવા જેલમાં હતા એમને આજે હાઇકોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા છે. કોર્ટમાં જે રીતે દલીલો થઈ, ચાર્જશીટ ઉપર ચર્ચા થઈ એના પરથી ચોક્કસ એ સાબિત થાય છે કે ચૈતર વસાવા સામે ખોટા આરોપો લગાવીને જેલમાં નાખવાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું. ચાર્જશીટની અંદર જે અધિકારીઓની ઉપસ્થિતિ હતી એ સરકારી અધિકારીઓએ પણ કબૂલ્યું છે કે ચૈતર વસાવા સાથે ગાળાગાળીની કોઈ ઘટના ઘટી નથી એવું એમને સ્ટેટમેન્ટ પણ આપ્યું છે. અન્ય અધિકારીઓએ પણ જે સ્ટેટમેન્ટ આપ્યા છે એ અને FIRની જે સ્ક્રીપ્ટ છે એ તદ્દન અલગ છે. કોર્ટની અંદર જ્યારે આ વાત ફ્લોર ઉપર રાખવામાં આવી ત્યારે કોર્ટે પણ આ વાત સ્વીકારી છે. તેથી જ હાઇકોર્ટ દ્વારા ચૈતર વસાવાને જામીન આપવામાં આવ્યા છે. પરંતુ એક વર્ષ સુધી વિધાનસભામાં નહીં જવાની શરત સાથે આ જામીન આપવામાં આવ્યા છે.
પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાએ સંવિધાનિક અધિકારોના ઉલ્લંઘનની વાત કરતા જણાવ્યું હતું કે, આમ તો ચૂંટાયેલા ધારાસભ્યને પોતાના વિસ્તારના મતદારોથી દૂર રાખવા એ સંવિધાનિક અધિકારોનું ઉલ્લંઘન છે. તે છતાં પણ આમ આદમી પાર્ટી પાસે અને ચૈતર વસાવા પાસે જે પણ લીગલ રેમેડીઝ છે તેનો ઉપયોગ કરીશું અને આ જે શરત રાખવામાં આવી છે એમાંથી પણ છુટકારો મળશે એવી અમને આશા છે. અંતે તો આદિવાસી સમાજ માટે, આદિવાસી વિસ્તાર માટે અને ગુજરાતના લોકો માટેની લડાઈ લડનાર ચૈતર વસાવા લોકોની સેવા કરવા માટે, આદિવાસી લોકોની સેવા કરવા માટે અને ગુજરાતને એક નવો વિકલ્પ આપી શકાય, ગુજરાતમાં સત્તામાં બેસેલા તાનાશાહોને બદલી શકાય, એમને ઘરે બેસાડી શકાય, ગુજરાતમાં પરિવર્તન લાવી શકાય એ માટેની લડાઈ લડવા માટે બહાર આવી રહ્યા છે. આજથી ચૈતર વસાવા ફરીથી ભાજપ સામેની લડાઈ શરૂ કરવાના છે. આમ આદમી પાર્ટી આગામી દિવસોમાં ચૈતર વસાવા સાથે ઘરઘર સુધી જઈ ભાજપ સામે લડાઈ લડશે અને અમને વિશ્વાસ છે કે આ જે લડાઈ છે એમાં ગુજરાતમાં લોકોનું સમર્થન અમને મળશે અને ગુજરાતમાં પરિવર્તન આવશે.