ઝઘડિયા તાલુકાના ઉમધરા ગામે ખેતરના કૂવામાંથી મહાકાય અજગરનું રેસ્ક્યુ
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ઉમધરા ગામની સીમમાંથી એક ખેતરના અંદાજિત 60 ફૂટ ઊંડા કૂવામાં મહાકાય અજગર દેખાતા ગામલોકોમાં ચકચાર મચી હતી.ગામલોકોએ તરત જ આ અંગે વન વિભાગ તથા સેવ એનિમલ ટીમને જાણ કરી. માહિતી મળતા જ બંને ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી.વન વિભાગના માર્ગદર્શન હેઠળ રેસ્ક્યુ ઑપરેશન શરૂ કરવામાં આવ્યું. ભારે ઊંડા કૂવામાં અજગર ફસાયેલ હોવાથી ઓપરેશન મુશ્કેલ બન્યું હતું, પરંતુ સેવ એનિમલ ટીમના વિજય વસાવાએ હિંમત દાખવીને કૂવામાં ઊતરી અજગરને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં સફળતા મેળવી.અંદાજે 10 ફૂટ લાંબા આ અજગરને બહાર કાઢતા ગામલોકોએ પણ રાહતનો શ્વાસ લીધો. અજગરને પકડ્યા બાદ વન વિભાગના અધિકારીઓએ તેને પોતાના કબ્જામાં લઈ લીધું છે.વન વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, આ મહાકાય અજગરને જરૂરી આરામ, ખોરાક અને પાણી આપ્યા બાદ તેને જંગલના એવા વિસ્તારમાં છોડવામાં આવશે, જ્યાં તેનું સ્વાભાવિક નિવાસ હોય અને તે સુરક્ષિત રીતે રહી શકે.આ સમગ્ર રેસ્ક્યુમાં સેવ એનિમલ ટીમ તેમજ ઉમલ્લા વનવિભાગની ટીમનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું.
✍️ ઈરફાન ખત્રી
રાજપારડી