MORBI:કરુણા એનિમલ એમ્બ્યુલન્સ ૧૯૬૨ હેલ્પલાઈનના સફળ ૮ વર્ષ; મોરબી જિલ્લામાં ૨૧ હજારથી વધુ પશુ પક્ષીઓને નવજીવન મળ્યું
MORBI:કરુણા એનિમલ એમ્બ્યુલન્સ ૧૯૬૨ હેલ્પલાઈનના સફળ ૮ વર્ષ; મોરબી જિલ્લામાં ૨૧ હજારથી વધુ પશુ પક્ષીઓને નવજીવન મળ્યું
પશુ-પક્ષીઓ માટે દેવદૂત ૧૯૬૨ હેલ્પલાઈન; ઇજાગ્રસ્ત અને બીમાર પશુ-પક્ષીઓને સ્થળ પર જ સારવાર આપવા સતત કાર્યરત
તાલીમબદ્ધ વેટરનરી ઓફિસર અને પાયલોટ સાથે તમામ દવાઓ અને અધ્યતન સાધનસામગ્રીથી સજ્જ 1962 વાન પશુઓની સેવા માટે હર હંમેશ ખડેપગે
મોરબી જિલ્લામાં ગુજરાત સરકારનો મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ ‘કરુણા એનિમલ એમ્બ્યુલન્સ ૧૯૬૨’ પશુ-પક્ષીઓ માટે દેવદૂત સમાન સાબિત થયો છે. છેલ્લા આઠ વર્ષથી કાર્યરત આ હેલ્પલાઇન થકી ૨૧ હજારથી વધુ પશુ પક્ષીઓને નવજીવન મળ્યું છે.
તારીખ ૬ ઓક્ટોબર, ૨૦૧૭ થી રાજ્ય સરકાર દ્વારા શરૂ કરાયેલી આ સેવાએ તાજેતરમાં સફળતાપૂર્વક ૦૮ વર્ષ પૂર્ણ કર્યા છે. EMRI GHS અને પશુપાલન વિભાગના સંયુક્ત ઉપક્રમે કાર્યરત આ સેવા ૦૮ વર્ષના ગાળામાં મોરબી જિલ્લામાં અનેક ઇજાગ્રસ્ત અને બીમાર પશુ-પક્ષીઓની સ્થળ પર જ તાત્કાલિક સારવાર આપી તેમના માટે આશીર્વાદરૂપ સાબિત થઈ છે.
કરુણા હેલ્પલાઈનના ડો.વિપુલભાઈ કાનાણએ જણાવેલી વિગતો અનુસાર પશુ પક્ષીઓની હર હંમેશ દરકાર માટેની આ સંવેદનશીલ સેવાના માધ્યમથી મોરબીમાં છેલ્લા ૦૮ વર્ષમાં કુલ ૨૧,૮૩૬ પશુ-પક્ષીઓની નિ:શુલ્ક સારવાર કરવામાં આવી છે. જેમાં ૧૭,૨૯૫ શ્વાન, ૩,૦૬૨ ગાય, ૬૨૮ બિલાડી, કબૂતર સહિત સુરખાબ, ચકલી, પોપટ, બકરી, કાગડા, સસલા અને ઊંટ જેવા વિવિધ જીવોનો સમાવેશ થાય છે. કરુણા એનિમલ એમ્બ્યુલન્સ ૧૯૬૨ ની દરેક વાન તમામ દવાઓ અને અધ્યતન સાધનસામગ્રીથી સજ્જ છે, જેમાં એક તાલીમબદ્ધ વેટરનરી ઓફિસર અને એક પાયલોટ હાજર હોય છે.
કરુણા એનિમલ એમ્બ્યુલન્સના પ્રોગ્રામ મેનેજર ડો. મોહમ્મદ સોયબ ખાન દ્વારા નગરના લોકોને શહેરના કોઈ પણ સ્થળે ઇજાગ્રસ્ત કે બીમાર હાલતમાં પશુ-પક્ષી જોવા મળે તો તુરંત જ ૧૯૬૨ હેલ્પલાઇન નંબર પર ફોન કરી આ સરકારી વિનામૂલ્યે સેવાનો લાભ લેવા અને મૂંગા જીવોને મદદરૂપ થવા અનુરોધ કરવામાં આવ્યો છે.