કાલોલ શામળદેવી ચોકડી પાસે લકઝરી બસે બાઇકને અડફેટે લેતાં શામળદેવી ગામના ઇસમનું કમકમાટીભર્યું મોત.

તારીખ ૨૬/૧૦/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ શામળદેવી ચોકડી પાસે ગોધરા વડોદરા હાઈવે રોડ ઉપર એક લકઝરી બસે બાઇકને અડફેટે લેતાં બાઇક પર સવાર મોટી શામળદેવી ગામના સોમાભાઇ નું ઘટનાસ્થળે કમકમાટીભર્યું મોત નિપજતાં મૃતકના પરિવારજનોમાં ભારે ગમગીની છવાઈ ગઈ હતી.પ્રાપ્ત માહિતી અનુસાર કાલોલ તાલુકાના મોટી શામળદેવી ગામના સોમાભાઇ મોહનભાઇ પરમાર ઘરેથી કાલોલ ખાતે જવા માટે નીકળેલ હતા અને શામળદેવી ચોકડી પાસે રોડ ક્રોસ કરતી વખતે રાત્રીના સાડા દશેક વાગ્યાના અરસામાં એક લક્ઝરી ટ્રાવેલ્સ બસ નંબર એમપી-44-ઝેડડી-2592 ની પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લઈ આવી સોમાભાઇ ની મોટર સાયકલ નંબર જીજે-17-પી-9838 ને ટક્કર મારી દેતા સોમાભાઇ ને રોડ ઉપર નીચે પાડી દેતા તેઓને માંથાના ભાગે તથા ડાબા હાથે તેમજ શરીરે ગંભીર પ્રકારની ઇજાઓ પહોંચાડી સ્થળ પર મોત નિપજ્યું હતું. લકઝરી બસ ચાલકે અકસ્માત બાદ મૃતકની મોટરસાયકલ ને શામળદેવી પાટિયા થી છેક વૃંદાવન હોટલ સુધી ઘસડી ગયો હતો.જે અંગેની ફરિયાદ મરણજનાર ના ભાઇ શનાભાઈ મોહનભાઈ પરમાર દ્વારા કાલોલ પોલીસ સ્ટેશનમાં નોંધાવતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. ત્યારે સ્થાનિક રહીશોએ આ ગોધરા-વડોદરા હાઈવે રોડ પર સતત વધી રહેલા અકસ્માતોને ધ્યાને લઈને વાહન વ્યવહાર માટે વધુ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવાની તાકીદ કરી છે. જ્યારે બીજી તરફ આ દુર્ઘટના બાદ મૃતકના પરિવારજનોમાં ગમગીની છવાઈ ગઈ છે. આ ચોકડી પાસે વારંવાર અકસ્માત થતા હોય છે અને નિર્દોષ લોકો પોતાનો જીવ ગુમાવી બેસે છે ત્યારે યોગ્ય અંતરે સ્પીડ બ્રેકર મુકાય તેવી સ્થાનીક ગ્રામજનોની માંગ છે. શુક્રવારે સાંજના સમયે શામળદેવી પાટિયા પાસે ગ્રામજનો એકત્ર થઈ ચક્કા જામ કર્યા હતો. ચોકડી પાસે યોગ્ય રીતે સ્પીડ બ્રેકર મુકવા માંગ કરી છે. જામ ને પગલે પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. જ્યાં ટોલ કંપની ના અધિકારી પણ પહોંચ્યા હતા અને બે દિવસમાં આ સ્થળે સ્પીડ બ્રેકર મુકવા સમજાવટ કર્યા બાદ ટ્રાફિક રાબેતા મુજબ નો થયો હતો. જ્યાં ચક્કાજામ ને લઈ હાઈવેની બંને તરફ વાહનોની કતારો લાગી હતી જે દરમ્યાન ઘટના સ્થળે પહોચેલી સ્થાનિક પોલીસની ભારે સમજાવટો બાદ મામલો થાળે પડ્યો હતો.






