GUJARATJUNAGADH

પ્રાદેશિક કમિશ્નર નગરપાલિકાઓ, ભાવનગર ઝોન : કેશોદ, માંગરોળ, બાંટવા સહિત જૂનાગઢની નગરપાલિકાઓ દ્વારા ‘સ્વચ્છોત્સવ’ની ઉજવણી સફળતાપૂર્વક સમાપન

પ્રાદેશિક કમિશ્નર નગરપાલિકાઓ, ભાવનગર ઝોન : કેશોદ, માંગરોળ, બાંટવા સહિત જૂનાગઢની નગરપાલિકાઓ દ્વારા 'સ્વચ્છોત્સવ'ની ઉજવણી સફળતાપૂર્વક સમાપન

ભારત સરકારના સ્વચ્છ ભારત મિશનના ૧૧ વર્ષની ઉજવણીના ભાગરૂપે, વર્ષ ૨૦૨૫ના સ્વચ્છતા કાર્યક્રમને “સ્વચ્છતા હી સેવા-૨૦૨૫” તરીકે “સ્વચ્છોત્સવ” ના શીર્ષક હેઠળ ઉજવવામાં આવ્યો. કેન્દ્રીય સ્તરે ૧૭ સપ્ટેમ્બર, ૨૦૨૫ થી ૨ ઓક્ટોબર, ૨૦૨૫ સુધી આયોજિત આ અભિયાનને, રાજ્ય સરકાર દ્વારા નિર્મળ ગુજરાત ૨.૦ની કામગીરી અને આગામી સ્વચ્છ સર્વેક્ષણ-૨૦૨૬ની પ્રાથમિકતાને ધ્યાનમાં રાખીને, તા. ૧૭ સપ્ટેમ્બર, ૨૦૨૫ થી તા. ૩૧ ઓક્ટોબર, ૨૦૨૫ સુધી લંબાવવામાં આવ્યું હતું.પ્રાદેશિક કમિશ્નર નગરપાલિકાઓ, ભાવનગર ઝોન હેઠળની જૂનાગઢ જિલ્લાની કેશોદ, બાંટવા, ચોરવાડ, વંથલી, માણાવદર, માંગરોળ અને વિસાવદર નગરપાલિકાઓ દ્વારા આ સમગ્ર સમયગાળા દરમિયાન ‘સ્વચ્છતા હી સેવા’ કેમ્પેન અંતર્ગત સઘન અને વ્યાપક સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જેનું તા. ૩૧ ઓક્ટોબર, ૨૦૨૫ ના રોજ સફળતાપૂર્વક સમાપન કરવામાં આવ્યું છે.આ ઝુંબેશ દરમિયાન, પબ્લિક ટ્રાન્સપોર્ટ હબ અને હાઈવેની સફાઈ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. જેમાં બસ સ્ટેશન, રેલ્વે સ્ટેશન વિસ્તારો, તમામ રિક્ષા/ટેક્ષી સ્ટેન્ડ્સ, સાઇકલ સ્ટેન્ડ અને જાહેર પાર્કિંગની સંપૂર્ણ સાફ-સફાઈ કરવામાં આવી. આ ઉપરાંત, શહેરી વિસ્તારમાં આવેલ તેમજ પસાર થતા રાજ્યના/રાષ્ટ્રીય ધોરી માર્ગો અને રીંગ રોડની સફાઈ કરાઈ. મહત્વનું છે કે કચરાનાં એકત્રીકરણ અને વર્ગીકરણનાં તમામ સાધનોની પણ સફાઈ હાથ ધરવામાં આવી હતી.સ્વચ્છતા હી સેવા અભિયાન હેઠળ, ધાર્મિક અને પ્રવાસન સ્થળોની સફાઈ તથા વોટર બોડીસ/નાળાની સફાઈની કામગીરીને પ્રાધાન્ય આપવામાં આવ્યું. ધાર્મિક સ્થળો, પ્રવાસન સ્થળો, બાગ-બગીચાઓ, ઐતિહાસિક સ્થળોની સઘન સફાઈ કરવામાં આવી. જળસ્રોતોની વાત કરીએ તો, નદી, તળાવ, સરોવર, સમુદ્ર કિનારાની સફાઈ તેમજ વરસાદી પાણીના નાળા અને ચેક પોઈન્ટ્સની સફાઈ દ્વારા પાણીના યોગ્ય નિકાલની વ્યવસ્થા સુનિશ્ચિત કરાઈ.શહેરી સૌંદર્ય અને સ્વચ્છતા જાળવવા માટે સર્કલ/સિગ્નલ્સ, પ્રતિમાઓ અને ખુલ્લા પ્લોટ, શેરીઓની સફાઈ પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું. સર્કલ/ચાર રસ્તા, સિગ્નલ્સ અને શહેરમાં પ્રસ્થાપિત પ્રતિમાઓની સફાઈ ઉપરાંત, ખુલ્લા પ્લોટ માંથી કચરો હટાવીને સ્વચ્છ કરવામાં આવ્યા. વ્યાપારી ગતિવિધિઓ ધરાવતા વિસ્તારોની સ્વચ્છતા માટે માર્કેટ અને વાણિજ્ય વિસ્તારની સઘન સફાઈ કરવામાં આવી, જેમાં APMC, શાકભાજી માર્કેટ, ફૂડ માર્કેટ સહિત તમામ વાણિજ્યિક વિસ્તારો આવરી લેવાયા.પ્રાદેશિક કમિશ્નર નગરપાલિકાઓ, ભાવનગર ઝોન દ્વારા જૂનાગઢ જિલ્લાની તમામ નગરપાલિકાઓના પદાધિકારીઓ, કર્મચારીઓ અને સ્થાનિક નાગરિકોનોઓની કામગીરીને બિરદાવવામાં આવેલ. આ ઉત્કૃષ્ટ પ્રયાસો નિર્મળ ગુજરાત ૨.૦ના લક્ષ્યને હાંસલ કરવા અને આગામી સ્વચ્છ સર્વેક્ષણમાં ઝોનને ગૌરવવંતુ સ્થાન અપાવવા માટે અત્યંત મહત્વપૂર્ણ પૂરવાર થશે.

રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

Back to top button
error: Content is protected !!