Rajkot: ૬૮ રાજકોટ(પૂર્વ) વિધાનસભા મતવિસ્તારમાં યોજાયેલી એકતા પદયાત્રામાં બહોળી સંખ્યામાં નાગરિકો ઉત્સાહભેર જોડાયા

તા.૧૮/૧૧/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
શ્રી સરદાર પટેલના મૂર્તિમંત કરાયેલા એકતા, અખંડિતતા અને રાષ્ટ્રસેવાના મૂલ્યોને જીવનમાં ઉતારવા અનુરોધ કરતા સાંસદશ્રી પુરુષોતમભાઈ રૂપાલા
મોરબી રોડ, જકાતનાકાથી શરૂ થયેલી યાત્રા પટેલ સમાજ વાડી, ભાવનગર રોડ ખાતે પૂર્ણ થઈ
સરદાર સાહેબ અમર રહો અને ભારત માતા કી જયના નારાઓથી સમગ્ર વાતાવરણ બન્યું રોમાંચિત
Rajkot: સરદાર પટેલની ૧૫૦ મી જન્મ જયંતી નિમિત્તે ૬૮ રાજકોટ(પૂર્વ) વિધાનસભા મતવિસ્તારમાં એકતા પદયાત્રા યોજાઈ હતી. આ પદયાત્રાનું પ્રસ્થાન મોરબી રોડ, જકાતનાકાથી મેયરશ્રી નયનાબેન પેઢડિયા, સાંસદશ્રી પુરુષોતમભાઈ રૂપાલા, ધારાસભ્યશ્રી ઉદય કાનગડ અને શ્રી દર્શિતાબેન શાહની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે સાંસદશ્રી પુરુષોતમભાઈ રૂપાલાએ શુભેચ્છાઓ પાઠવતાં જણાવ્યું હતું કે, વિકસિત ભારતના સપનાને સાકાર કરવા માટે સૌએ એક બનીને આગળ વધવું પડશે. અખંડ ભારતના ઘડવૈયા શ્રી સરદાર પટેલે સમગ્ર ભારતને એક કરીને એકતાનો સંદેશ આપ્યો હતો ત્યારે દરેક નાગરિકે એકતા, અખંડિતતા અને રાષ્ટ્રસેવાના મૂલ્યોને જીવનમાં ઉતારવા જોઈએ
ધારાસભ્યશ્રી ઉદય કાનગડે જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રીએ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ‘સ્ટેચ્યૂ ઓફ યુનિટી’ના નિર્માણ થકી સરદાર પટેલને ખરા અર્થમાં શ્રદ્ધાંજલિ આપી છે. વધુમાં તેમણે વિકસિત ભારતના સપનાને સાકાર કરવા સ્વદેશીને પ્રાધાન્ય આપવા પર ભાર મૂક્યો હતો. તેઓએ લોખંડી પુરુષના વિચારોને જન જન સુધી પહોંચાડવા આહ્વાન કર્યું હતું.
મહાનુભાવો દ્વારા સરદાર પટેલની પ્રતિમાને ફૂલહાર પહેરાવી યાત્રાનું પ્રસ્થાન કરાવાયું હતું, મોરબી રોડ જકાતનાકા- ધોળકિયા સ્કૂલ થી થઈને ડી-માર્ટ ચોક (કુવાડવા રોડ) – સેટેલાઈટ ચોક (પેડક રોડ) થી થઈને બાલક હનુમાન ચોક- જલગંગા ચોક( સંતકબીર રોડ) થી થઈને ભાવનગર રોડ કોર્નર – પટેલ વાડી (ભાવનગર રોડ) ખાતે સમાપન કરવામાં આવ્યું હતું. સમાપન વેળાએ સર્વે ઉપસ્થિતોએ સ્વદેશીના શપથ ગ્રહણ કર્યા હતા.
આ પ્રસંગે અગ્રણી શ્રી માધવ દવે, પૂર્વ ધારાસભ્ય ટપુભાઈ લીંબસિયા, પ્રયાસ સંસ્થાના અગ્રણી શ્રી પૂજા પટેલ, નિવાસી અધિક કલેકટરશ્રી એ.કે. ગૌતમ, રમત અધિકારી (શહેર) શ્રી વી. પી.જાડેજા, રમત અધિકારી (ગ્રામ્ય) શ્રી રમા મદ્રા, પુરવઠા અધિકારી શ્રી અજય ઝાપડા, જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રી હિતેશ દિહોરા સહિતના અધિકારી કર્મચારીઓ તથા શાળાના વિદ્યાર્થીઓ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.











