
રૂપિયા 8.43 કરોડના ખર્ચે કણબીપીઠા–દેવમોગરા રોડનું રિસર્ફેસિંગ કાર્ય હાથ ધરાયું.
તાહિર મેમણ – ડેડીયાપાડા- 20/11/2025 – નર્મદા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં સુવિધાસભર માર્ગવ્યવસ્થા ઉભી કરવા અને નાગરિકોના સર્વાંગી વિકાસને વેગ આપવા રાજ્ય સરકાર દ્વારા સતત પ્રયત્નો થઈ રહ્યા છે. આ પ્રયાસોની કડીરૂપે સાગબારા તાલુકાના દેવમોગરા ગામે આવેલા આદિવાસી સમાજના કુળદેવી યાહા મોગી પાંડુરી માતાના મંદિરે જતાં કણબીપીઠા-દેવમોગરા માર્ગનું રિસર્ફેસિંગ કાર્ય માર્ગ અને મકાન વિભાગ પંચાયત દેડિયાપાડા સબડિવિઝન દ્વારા હાથ ધરાયું છે.
ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ રાજ્યોમાંથી હજારો ભાવિક ભક્તો પાંડોરી માતાના દર્શનાર્થે આવે છે. જ્યાં સુધી પહોંચવા માટેના 10 કિમી લાંબા આ માર્ગનું કામ પૂરજોશમાં ચાલુ હોવાથી ભાવિકોમાં ઉત્સાહ અને સંતોષની લાગણી જોવા મળી રહી છે. કામગીરી પૂર્ણ થતા માતાના મંદિરે આવવા-જવામાં વધુ સરળતા અને સુવિધા સર્જાશે.
મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત કણબીપીઠા–દેવમોગરા રોડના રિસર્ફેસિંગ માટે અંદાજિત રૂપિયા 8.43 કરોડનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો છે. ગુણવત્તાયુક્ત રીતે થઈ રહેલા આ વિકાસ કાર્યો સ્થાનિક નાગરિકો માટે પણ લાભદાયી સાબિત થઈ રહ્યા છે. આ કાર્ય પૂર્ણ થતા દેવમોગરા ગામ તેમજ આસપાસના વિસ્તારોને સુગમ માર્ગવ્યવસ્થા મળશે અને ત્રણ રાજ્યોમાંથી આવતા શ્રદ્ધાળુઓને પણ મંદિરે પહોંચવામાં વિશેષ રાહત મળશે.




