
વાત્સલ્યમ્ સમાચાર,
પૂજા ઠક્કર – મુંદરા કચ્છ.
ગુંદાલા : પતિની પુણ્યતિથિએ મહિલા વાલીએ બાળકોને તિથિભોજન કરાવી માનવતા મહેકાવી
ગુંદાલા,તા.12: પિતાની છત્રછાયા ગુમાવવી એ પરિવાર માટે ખૂબ મોટું દુઃખ હોય છે પરંતુ આ દુઃખને સેવામાં પરિવર્તિત કરી ગુંદાલા ગામના એક જાગૃત મહિલા વાલીએ સમાજ સામે ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. સ્વ. દાફડા ધનજીભાઈ ડાયાભાઈની પુણ્યતિથિ નિમિત્તે તેમના પત્ની મીનાબેન ધનજીભાઈ દ્વારા ગુંદાલા ગામની શાળાઓ અને આંગણવાડીના બાળકો માટે ‘તિથિભોજન’નું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.
શિયાળાની કડકડતી ઠંડીની ઋતુમાં બાળકોની રોગપ્રતિકારક શક્તિ જળવાઈ રહે અને તેમને પૂરક પૌષ્ટિક આહાર મળી રહે તેવા ઉમદા હેતુ સાથે આ ભોજન પીરસવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગુંદાલા કુમાર પ્રાથમિક શાળા, કન્યા પ્રાથમિક શાળા તેમજ ગામની ત્રણેય આંગણવાડીઓના તમામ બાળકોએ હોંશે હોંશે આ ભોજનનો લાભ લીધો હતો. મીનાબેનનો આ પ્રયાસ માત્ર પિતૃવંદના જ નહીં પરંતુ સામાજિક જવાબદારીનું પણ પ્રતીક છે જે અન્ય વાલીઓ અને દાતાઓ માટે પ્રેરણારૂપ બનશે.
આ સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે ગુંદાલા કુમાર શાળાના આચાર્યા દિપકલાબા ઝાલા તથા કન્યા શાળાના આચાર્યા ભાવનાબેન મકવાણાના માર્ગદર્શન હેઠળ તમામ સ્ટાફ મિત્રોએ ભારે જહેમત ઉઠાવી હતી. શાળા પરિવાર અને શિક્ષકગણ દ્વારા મીનાબેનના આ ઉમદા કાર્યને બિરદાવવામાં આવ્યું હતું અને બાળકોના સ્વાસ્થ્ય પ્રત્યેની તેમની ચિંતા અને સેવાભાવ બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. અંતમાં સ્વર્ગસ્થના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવી હતી.



વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો :
-પુજા ઠક્કર,
9426244508,
ptindia112@gmail.com




