MORBI:મોરબી સ્વામિનારાયણ સોસાયટીના રહીશો દ્વારા રસ્તા-ગટર જેવી પ્રાથમિક સુવિધાઓ ન મળતા રહીશોનો પાલિકા મહાનગરપાલિકા કચેરીએ ઘેરાવ કર્યો

MORBI:મોરબી સ્વામિનારાયણ સોસાયટીના રહીશો દ્વારા રસ્તા-ગટર જેવી પ્રાથમિક સુવિધાઓ ન મળતા રહીશોનો પાલિકા મહાનગરપાલિકા કચેરીએ ઘેરાવ: શનિવારે ચક્કાજામની ચીમકી
રસ્તા-ગટર જેવી પ્રાથમિક સુવિધાઓ ન મળતા રહીશોનો પાલિકા કચેરીએ ઘેરાવ: શનિવારે ચક્કાજામની ચીમકી
મોરબી નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બન્યા બાદ પણ હજુ અનેક વિસ્તારો વિકાસ અને પ્રાથમિક સુવિધાઓથી વંચિત હોવાની બૂમ ઉઠી છે. આજે વાવડી રોડ પર આવેલી સ્વામિનારાયણ સોસાયટીના રહીશોએ નબળી માળખાગત સુવિધાઓના વિરોધમાં મહાનગરપાલિકા કચેરી ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરી તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો હતો.
કચેરી ગુંજી ઉઠી ‘હાય હાય’ ના નારાથી વાવડી રોડની સ્વામિનારાયણ સોસાયટીમાં લાંબા સમયથી રોડ-રસ્તા અને ગટર જેવી પાયાની જરૂરિયાતોને લઈને રહીશો પરેશાન છે. અનેકવાર રજૂઆતો કરવા છતાં કોઈ ઉકેલ ન આવતા આજે મોટી સંખ્યામાં સોસાયટીના પુરુષો અને મહિલાઓ મહાનગરપાલિકા કચેરીએ દોડી ગયા હતા. રહીશોએ “મોરબી મહાનગરપાલિકા હાય હાય” ના નારા લગાવી કચેરી પરિસર ગજવી મૂક્યું હતું અને અધિકારીઓનો ઘેરાવ કર્યો હતો.ધૂળ અને ગટરના પાણીથી રહીશો ત્રસ્ત રહીશોનો આક્ષેપ છે કે સોસાયટીમાં રસ્તાઓ બિસ્માર હાલતમાં છે, જેના કારણે ચોમાસામાં કાદવ-કીચડ અને ઉનાળામાં ધૂળની ડમરીઓથી લોકોના સ્વાસ્થ્ય સામે ખતરો ઉભો થયો છે. વારંવારની રજૂઆતો છતાં તંત્ર દ્વારા માત્ર આશ્વાસનો જ આપવામાં આવતા હોવાથી રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
આજે માત્ર રજૂઆતથી સંતોષ ન માનતા રહીશોએ તંત્રને કડક ચેતવણી આપી છે. જો આગામી બે દિવસમાં તેમની સમસ્યાનો નક્કર ઉકેલ લાવવાની દિશામાં કામગીરી શરૂ કરવામાં નહીં આવે, તો આગામી શનિવારે વાવડી રોડ પર રહીશો દ્વારા ઉગ્ર ચક્કાજામ કરવામાં આવશે.










