ભરૂચ જિલ્લાના દહેજ સેઝ 2, લખી ગામ નજીક આવેલી હિન્દુસ્તાન એમ.આઈ.શ્વાકો લિમિટેડ કંપની દ્વારા જમીન ગુમાવનાર ખેડુતો તથા વર્ષોથી કામ કરતા સ્થાનિક કામદારો સાથે ગંભીર અને કાયદા વિરુદ્ધ અન્યાય કરવામાં આવ્યો હોવાના આક્ષેપો સાથે આમ આદમી પાર્ટી દ્વારા કલેક્ટરને આવેદનપત્ર

સમીર પટેલ, ભરૂચ
ભરૂચ જિલ્લાના દહેજ સેઝ 2, લખી ગામ નજીક આવેલી હિન્દુસ્તાન એમ.આઈ.શ્વાકો લિમિટેડ કંપની દ્વારા જમીન ગુમાવનાર ખેડુતો તથા વર્ષોથી કામ કરતા સ્થાનિક કામદારો સાથે ગંભીર અને કાયદા વિરુદ્ધ અન્યાય કરવામાં આવ્યો હોવાના આક્ષેપો સાથે આમ આદમી પાર્ટી દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરી છે.
આમ આદમી પાર્ટી ભરૂચ જિલ્લા પ્રમુખ શ્રી પિયુષ પટેલે જણાવ્યું કે તા.26 ડિસેમ્બર 2025 ના રોજ કંપનીએ કોઈ પૂર્વ સૂચના વિના પ્લાન્ટ બંધ કરી ગેટ પર નોટિસ લગાવી કામદારોને નોકરીમાંથી બહાર કરી દીધા.સરકારના નિયમ મુજબ જમીન ગુમાવનાર ખેડુતોને કાયમી રોજગાર આપવાની ફરજ હોવા છતાં કંપનીએ તેનો અમલ કર્યો નથી.
કંપની દ્વારા જમીન ગુમાવનાર ખેડુતોને માત્ર રૂ.1.50 થી 3 લાખ જેટલી રકમ આપી મામલો પૂર્ણ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, જે અન્યાયપૂર્ણ છે. આ રકમ સ્વીકારવામાં ઇનકાર કરનાર કામદારોને ધમકીભર્યા નોટિસો પાઠવવામાં આવી રહ્યા હોવાનું પણ જણાવાયું છે.
આ બાબતે પ્રમુખ પિયુષ પટેલે ઉમેર્યું કે કુલ 22 જમીન ગુમાવનાર ખેડુતો અને કામદારોને અચાનક નોકરીમાંથી દૂર કરવામાં આવ્યા છે.એક કામદાર ગંભીર બીમારી અને આર્થિક સંકટમાં સારવારના અભાવે મૃત્યુ પામ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આમ આદમી પાર્ટી દ્વારા માંગ કરવામાં આવે છે કે સમગ્ર મામલાની ઉચ્ચસ્તરીય તપાસ કરાઈ જમીન ગુમાવનાર ખેડુતો અને કામદારોને કાયમી નોકરી અથવા યોગ્ય વળતર આપવામાં આવે, તેમજ મૃત્યુ પામેલ કામદારના પરિવારને સહાય આપવામાં આવે.જો દિન પંદર અંદર ન્યાય નહીં મળે તો પાર્ટી દ્વારા લોકશાહી રીતે ઉગ્ર આંદોલન કરવામાં આવશે.




