GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના મુમુક્ષુ વિધિબેને 28 વર્ષે જૈન દીક્ષા લીધી: લીંબડીમાં સંયમનો માર્ગ અપનાવી આત્મકલ્યાણનો સંદેશ આપ્યો

 

MORBI:મોરબીના મુમુક્ષુ વિધિબેને 28 વર્ષે જૈન દીક્ષા લીધી: લીંબડીમાં સંયમનો માર્ગ અપનાવી આત્મકલ્યાણનો સંદેશ આપ્યો

 

મોરબીમાં રહેતા 28 વર્ષીય મુમુક્ષુ વિધિબેન એ જૈન ભાગવતી દીક્ષા અંગીકાર કરી સંયમ જીવનનો માર્ગ અપનાવ્યો હતો. આ ભવ્ય દીક્ષા મહોત્સવ શેઠ નાનજી ડુંગરશી સ્થાનકવાસી મોટા ઉપાશ્રય જૈન સંઘના આયોજને આત્મયોગી ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત ભાવચંદ્રજી સ્વામીની પાવન નિશ્રામાં યોજાયો હતો.

મોરબી નિવાસી અશ્વિનભાઈ મહેતા અને અનિલાબેન મહેતાની સુપુત્રી વિધિબેનએ આજના ભૌતિકવાદી યુગમાં ઉચ્ચ શિક્ષણ, વૈભવ અને સાંસારિક સુખોનો ત્યાગ કરી આત્મકલ્યાણનો માર્ગ પસંદ કર્યો છે. યુવાન વયે વિષય-વાસનાઓ અને મોહમાયાથી દૂર રહી સંયમનો માર્ગ સ્વીકારવાનો તેમનો નિર્ણય જૈન સમાજ માટે પ્રેરણાસ્રોત બન્યો છે. અને લીંબડી મોટા ઉપાશ્રય જૈન સંઘ માટે આ અવસર વિશેષ મહત્વનો હતો, કારણ કે ત્રણ વર્ષના લાંબા ગાળા બાદ શહેરમાં દીક્ષા મહોત્સવ યોજાયો હતો.

 

દીક્ષા પૂર્વે એક ભવ્ય વરઘોડો કાઢવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં શ્રાવક-શ્રાવિકાઓ જોડાયા હતા અને સમગ્ર શહેરમાં ધાર્મિક વાતાવરણ સર્જાયું હતું. દીક્ષા વિધિ દરમિયાન આચાર્ય ભગવંતના પાવન આશીર્વાદ સાથે મંત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. અને કેશલોચન વિધિ બાદ વિધિ કુમારીએ શ્વેત વસ્ત્રો ધારણ કરી સંયમ જીવનમાં પ્રવેશ કર્યો હતો. આ પ્રસંગે આચાર્ય ભગવંતે સંયમના માર્ગની મહત્તા સમજાવતા જણાવ્યું હતું કે સંયમ એ આત્મકલ્યાણનો સર્વોત્તમ માર્ગ છે. દીક્ષા વિધિ પૂર્ણ થતાં જ નવદીક્ષિત સાધ્વીજીના દર્શન માટે લીંબડી સહિત આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. જેથી લીંબડીમાં ભક્તિ અને વૈરાગ્યનો અનોખો સંગમ આજે જોવા મળ્યો હતો.

Back to top button
error: Content is protected !!