
વિજાપુર પિલવાઈમાં ખોડીયાર માતાજીનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ભવ્ય રીતે ઉજવાયો
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકાના પિલવાઈ ગામે સ્થિત આઈશ્રી ખોડીયાર માતાજીના મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ધાર્મિક આસ્થા અને ભક્તિભાવ સાથે ભવ્ય રીતે સંપન્ન થયો. પરમ કૃપાળુ ખોડીયાર માતાજીની અસીમ કૃપાથી આયોજિત આ મહોત્સવ દરમિયાન સમગ્ર ગામ ભક્તિમય વાતાવરણમાં ગરકાવ બન્યું હતું.
મહોત્સવ અંતર્ગત શતચંડી મહાયજ્ઞ, ચંડીપાઠ, યજ્ઞવિધિ, દેવસ્થાપન, સ્નાપન, અગ્નિપ્રાગટ્ય સહિત વિવિધ વૈદિક ક્રિયાઓ સંપન્ન કરવામાં આવી. વેદમંત્રોના ગુંજારવ અને શ્લોકોચ્ચારણથી મંદિર પરિસર પાવન બન્યું હતું. માતાજીની પ્રાણપ્રતિષ્ઠા તથા ધજા આરોહણવિધિ દરમિયાન ભક્તોમાં વિશેષ ઉત્સાહ અને ભાવવિભોર દ્રશ્યો જોવા મળ્યા.
આ મહોત્સવમાં જલયાત્રા, મંડપ પ્રવેશ, પાઠહોમ વિધિ, રાજોપચાર પૂજન, અન્નકૂટ, ઉત્તર તંત્ર અને પૂર્ણાહૂતિ જેવી વિધિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. અંતે મહાપ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ ધર્મલાભ લીધો.
સમગ્ર કાર્યક્રમ યજ્ઞના આચાર્ય બાલકૃષ્ણભાઈ જાની તથા ભાર્ગવભાઈ જાનીના માર્ગદર્શન હેઠળ શાસ્ત્રોક્ત રીતે સંપન્ન થયો. ખોડીયાર માતાજીના આ દિવ્ય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવે પિલવાઈ ગામ તથા આસપાસના વિસ્તારોમાં ભક્તિ, શ્રદ્ધા અને સમરસતાનો સંદેશ પ્રસરાવ્યો હતો.





