WAKANER:’જીવનરક્ષક સારથિ’: વાંકાનેર 108ની ટીમે મોતના મુખમાંથી વૃદ્ધને ઉગાર્યા

WAKANER:’જીવનરક્ષક સારથિ’: વાંકાનેર 108ની ટીમે મોતના મુખમાંથી વૃદ્ધને ઉગાર્યા
વાંકાનેર (21/02/2026): માનવતા અને ફરજનિષ્ઠાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતા, વાંકાનેર 108ની ટીમે એક 50 વર્ષીય વૃદ્ધ માટે રક્ષણની ઢાલ બની નવજીવન આપ્યું છે. ગંભીર રીતે ઘટી ગયેલા સુગર લેવલ (RBS 29) અને શ્વાસની અત્યંત તકલીફ વચ્ચે EMT પ્રવીણભાઈ અને પાયલોટ લાલજીભાઈની ટીમે સમયસૂચકતા વાપરી દર્દીને બચાવી લીધા છે.
આજે સવારે વાંકાનેર સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના ડૉ. રુચિ મેડમ દ્વારા ઇમરજન્સી કોલ કરવામાં આવ્યો હતો. 50 વર્ષીય મુકેશભાઈ હીરાભાઈ ‘સીવિયર હાઈપોગ્લાયસેમિયા’ (લોહીમાં શર્કરાનું અત્યંત ઓછું પ્રમાણ) ની સ્થિતિમાં હતા. તેમનું RBS લેવલ માત્ર 29 થઈ ગયું હતું, જેના કારણે શરીરના અંગો ફૂલી ગયા હતા અને ફેફસામાં ઓક્સિજનની ભારે અછત સર્જાઈ હતી.કોલ મળતાની સાથે જ EMT પ્રવીણભાઈ મેર અને પાયલોટ લાલજીભાઈ પ્રાલિયા ગણતરીની મિનિટોમાં હોસ્પિટલ પહોંચ્યા હતા. ERCP ના ફિઝિશિયન ડૉ. પરમાર અને ડૉ. નૂપુરના ટેલિફોનિક માર્ગદર્શન હેઠળ એમ્બ્યુલન્સમાં જ ઓક્સિજન સપોર્ટ અને જરૂરી મેડિકલ પ્રોટોકોલ સાથે સારવાર શરૂ કરી દેવામાં આવી હતી. પાયલોટ લાલજીભાઈએ ભારે ટ્રાફિક વચ્ચે અત્યંત કુશળતાપૂર્વક એમ્બ્યુલન્સ હંકારી લઘુત્તમ સમયમાં રાજકોટની દોશી હોસ્પિટલ પહોંચાડ્યા હતા.સમયસર સારવાર મળતા મુકેશભાઈનો જીવ બચી ગયો હતો, જેનાથી પરિવારજનો ભાવુક થઈ ગયા હતા અને 108ની ટીમનો અંતઃકરણપૂર્વક આભાર માન્યો હતો. રાજકોટના તબીબોએ પણ 108ની ટીમની આ ત્વરિત કામગીરી અને ચોકસાઈને બિરદાવી હતી









